Abtak Media Google News

જસદણ તાલુકાના ખડવાવડી  ગામે ગઈકાલે વહેલી સવારે દીપડાએ મારણ કરતા માલધારીના ૧૬ બકરા મોત નિપજતા ચકચાર જાગી છે.

આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના ખડવાવડી ગામે રોકડીયા હનુમાન મંદિર ના રસ્તે વગડીયો તરીકે ઓળખાતી જગ્યા નજીક આવેલી વાડીએ વહેલી સવારે દીપડો આવ્યો હતો અને વાડીએ રહેલા ૧૬ જેટલા બકરા ઉપર હુમલો કર્યો હતો.  એક બકરી  ઈજાગ્રસ્ત થતાં  તેની સારવાર ચાલી રહી છે. કુલ સોળ જેટલા બકરાના કમકમાટીભર્યા મોત નિપજતા ભાડલા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. ખડવાવડી અને આસપાસના ગામોમાં ખેતી કામ અર્થે વાડીએ જતા  લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. જસદણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. આર. માલમની સુચના મુજબ ભાડલા વિસ્તારના ફોરેસ્ટર બી. બી. મકવાણા, ફોરેસ્ટ ગાર્ડ આર. વી. કુકડીયા સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા દીપડાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી હતી. મુન્નાભાઈ લેલાએ જણાવ્યું હતું કે  બકરા જે જગ્યાએ રાખેલા હતા ત્યાં અંદાજે છ ફૂટ જેટલી ઊંચાઈ વાળી દિવાલ કરેલી છે આમ દીપડો છ ફૂટ જેટલી ઊંચી દીવાલ કૂદીને બકરાનું મારણ કરવા આવ્યો હતો. જસદણ તાલુકાના ખડવાવડી, રામળીયા, ભંડારીયા, રાજવડલા, કનેસરા અને આસપાસનો વિસ્તાર જંગલ જેવો વિસ્તાર હોય ભૂતકાળમાં પણ અનેક વખત આ વિસ્તારમાં દિપડા આટોફેરો કરી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.