Abtak Media Google News

જો પાક. સરકાર ભારત સાથે શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે તો સૈન્ય ચર્ચામાં ટેકો દેવા તૈયાર: જનરલ બાજવા

ભારત સાથે શાંતિ વાર્તા કરવાના કોઈ ચાન્સ હોય તો પાકિસ્તાનનું સૈન્ય તેના ટેકામાં હોવાનું પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ કામર જાવેદ બાજવાએ કહ્યું છે. ઈતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાનના સૈન્યએ ભારત સાથે કયારેય સમાધાન ઈચ્છયુ નથી. શાંતિ જાળવવા કયારેય એક ડગલુ આગળ ભર્યું નથી. ત્યારે એકાએક જનરલ બાજવાની ડાહ્યી ડમરી વાતો સામે આવી રહી છે. પાકિસ્તાનની સરકાર અને સૈન્ય ઉપર ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય દબાણ છે. અમેરિકા અને યુએન અવાર-નવાર આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ચેતવણી આપે છે. ત્યારે પાકિસ્તાનના સૈન્ય વડા હવે ભારત સાથે શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છી રહ્યાં છે જે ખરેખર અનેક લોકો માટે આશ્ર્ચર્યજનક બાબત ગણી શકાય.

ગઈકાલે પાકિસ્તાનના સદનમાં પાક.ના આર્મી ચીફ જનરલ બાજવાએ પોતાના છ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત હાજરી આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનું સૈન્ય કયારેય લોકશાહીના તરફેણમાં રહ્યું નતી. પાકિસ્તાનનો મોટાભાગનો સમય પાક. સૈન્યના ઓછાયા હેઠળ રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શરીફને બરખાસ્ત કરાયા બાદ ફરી પાકિસ્તાન સૈન્ય શાસનમાં ધકેલાય જાય તેવી ભીતિ હતી. જો કે આ શકય બન્યું નહીં.  ૨૦૧૧ બાદ પ્રથમ વખત પાકિસ્તાનના સૈન્યના વડાએ જોઈન્ટ પાર્લામેન્ટરી સેશન્સમાં ભાગ લીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનનું સૈન્ય ભારત અને અફઘાનિસ્તાન સહિતના તમામ પાડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે. આપણે યુદ્ધ વગર ભારત સાથે વાતચીતથી સમાધાન કરી શકીએ છીએ. જો સરકાર ભારત સાથે ચર્ચા કરવા ઈચ્છે તો પાકિસ્તાનનું સૈન્ય તેને સાથ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.