Abtak Media Google News

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાનાં નિવેદન સામે તીવ્ર પ્રત્યાઘાત આપતાં ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું  કે, હુમલાઓ તો થતાં રહે અને પુલવામાં હુમલામાં પાકિસ્તાન જવાબદાર નથી – આ પ્રકારનું સામ પિત્રોડાનું નિવેદન એ દેશ માટે આઘાતજનક છે. તેઓ રાહુલ ગાંધીની થીન્કટેન્ક ગણાય છે અને વિદેશમાં પણ તેમનાં કાર્યક્રમોનાં સંયોજક હોય છે. તેમનું આ પ્રકારનું દેશ વિરોધી નિવેદન એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનાં વિચારો અને ભાષા છે.

શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, દુનિયાનાં દેશો પુલવામા હુમલામાં પાકિસ્તાન જવાબદાર છે તેમ સ્વીકારીને ભારતને સંપૂર્ણ સમર્થન આપી રહ્યાં છે ત્યારે, દેશનો વિપક્ષ-કોંગ્રેસ પાકિસ્તાન જવાબદાર નથી તેમ કહે છે. હમેશાં કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એક સરખી કેમ હોય છે ? દેશનાં જવાનો પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરે છે અને કોંગ્રેસ અહીં કોમામાં કેમ જાય છે ? દેશની જનતા જવાનો માટે ગૌરવ લઈ રહી છે, ત્યારે કોંગ્રેસ શોકમાં કેમ જતી રહે છે?

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા શ્રી પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક વખતે પુરાવા માંગતાં કોંગ્રેસનાં નિવેદનો એ દેશનાં જવાનો અને શહીદોનું અપમાન છે. કોંગ્રેસનાં નિવેદનોનો ઉપયોગ પાકિસ્તાનનાં નેતાઓ – લશ્કર – આતંકવાદીઓ કરે છે અને પાકિસ્તાની મીડિયામાં હેડલાઇન થાય છે તે જ બતાવે છે કે, કોંગ્રેસનાં વિચારો, નિવેદનો, ભાષા એ દેશહિતમાં હોતા નથી. કોંગ્રેસ ભલે તેનાં વિચારો અને વલણ પાકિસ્તાન તરફી રાખે પરંતુ ભાજપના વિચારો, સ્ટેન્ડ અને એક્શન હમેશાં દેશ, જવાનો અને દેશની જનતા તરફી જ છે અને રહેશે.

દેશનાં જવાનો અને દેશનું અપમાન કરનાર કોંગ્રેસને ગુજરાત કે દેશની જનતા કયારેય માફ નહીં કરે તેમ શ્રી ભરત પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.