Abtak Media Google News

કોરોનાને પારખવામાં કોણ ઉણું ઉતર્યું?

કોરોના બાદ ક્વોરેન્ટાઇન થવા માટે હજુ કોઇ યોગ્ય પેરામીટર છે જ નહીં…: ક્વોરેન્ટાઇન પીરિયડ ૧૪ દિવસથી ઘટાડી સીધો ૭ દિવસ કરવા પાછળ સરકારનો તર્ક શું?

વિશ્ર્વ આખામાં વૈશ્ર્વિક મહામારીનાં પગલે લોકોને કવોરન્ટાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ હજી કોઈ યથાયોગ્ય સમય કેટલો હોવો જોઈએ તે અંગેનું કોઈ પેરામીટર સામે આવ્યું નથી. આ તકે ભારત દેશમાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા ફ્રન્ટ લાઈન વર્કર જેવા કે ડોકટર, નર્સ માટે કવોરન્ટાઈન પીરીયડ ૧૪ દિવસથી ઘટાડી એક સપ્તાહ જ કરવામાં આવ્યો છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે, એવું તો કયું કારણ કે ફ્રન્ટલાઈન વોરીયરનાં કવોરન્ટાઈન પીરીયડમાં ઘટાડો કરવામાં આવ્યો. કયાંક સ્પેસ પ્રોબ્લેમ કે પછી દિવસેને દિવસે જે રીતે કોરોનાના પોઝીટીવ કેસો વધી રહ્યા છે તે માટે કદાચ ડોકટરો અને નર્સીંગ સ્ટાફ માટે કવોરન્ટાઈન પીરીયડ ઘટાડવામાં આવ્યો હોય.

કોરોનાનાં કહેર વચ્ચે આજ દિવસનાં કવોરન્ટાઈન પીરીયડ બાદ તમામ ડોકટરો તથા નર્સીંગ સ્ટાફનું આઈસીએમઆર ટેસ્ટીંગ હાથ ધરવામાં આવશે. જેમાં જે કોઈ ફ્રન્ટલાઈન વોરીયરનો ટેસ્ટ પોઝીટીવ આવશે તો તે ડોકટરો માઈલ્ડ સીમટોમેટીક કેસોનું નિરાકરણ કરી શકશે અને જો તેઓનો ટેસ્ટ નેગેટીવ આવશે અને સીમટોમેટીકનાં ચિન્હો દેખાય તો તેઓને ૧૪ દિવસનો કવોરન્ટાઈન પીરીયડમાં જઈ ફરી તેઓ તેમનાં નિયત કામો પણ કરી શકશે. માઈલ્ડ કેસ ધરાવતા લોકોને હોમ આઈસોલેશન તથા મોડરેટ કેસ ધરાવતા લોકોને ઓકિસજન થેરાપી આપવામાં આવશે જે માત્રને માત્ર નિર્ધારીત કોવિડ હેલ્થ સેન્ટર ખાતે જ મળવાપાત્ર રહેશે.

દેશમાં કોરોનાનાં કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તેની સામે જે પુરતો ફ્રન્ટલાઈન સ્ટાફ હોવો જોઈએ જેવા કે ડોકટરો કે હજુ પુરતા પ્રમાણમાં ન હોવાથી તેઓનો કવોરન્ટાઈન પીરીયડ ઘટાડવામાં આવ્યો છે. દેશમાં હાલ કોરોના જે રીતે વકર્યો છે તેનાથી હવે ડોકટરો પણ જાણે સુરક્ષિત ન હોય તેવી સ્થિતિ પણ જોવા મળી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા જે ફ્રન્ટલાઈન કર્મચારીઓ છે તેઓ કોવિડની ટ્રીટમેન્ટમાં અસરગ્રસ્ત થતા હોય તેવી સ્થિતિમાં પણ હાલ વધારો જોવા મળ્યો છે પરંતુ પ્રશ્ર્ન એ વાતનો ઉદભવિત થાય છે કે, હજુ સુધી કવોરન્ટાઈન થવા માટેનો સમયગાળો કેટલો હોવો જોઈએ તે હજુ કિલયર થયું નથી. બીજી તરફ કવોરન્ટાઈન થવા માટેનાં કયાં પેરામીટરો હોવા જોઈએ તે પણ હજુ યોગ્ય રીતે સામે આવ્યો નથી.

શું છે રોગપ્રતિકારક શકિતનું મહત્વ?

કોઈપણ રોગનાં ઉપચાર પહેલા લોકોની રોગપ્રતિકારક શકિત વધુ હોવી ખુબ જ જરૂરી છે જો લોકોનો રોગપ્રતિકારક શકિત સારી હોય તો તેઓને રોગની અસર નહિવત થતી હોય છે. વૈશ્ર્વિક મહામારી કોરોનામાં પણ જે લોકોની રોગપ્રતિકારક શકિત સારી હોય તેઓને કોરોના સ્પર્શયો નથી. બીજી તરફ વિશ્ર્વ આખામાં હાલ કોરોનાની દવા પણ શોધાઈ ન હોવાથી લોકોને રોગપ્રતિકારક શકિતમાં કેવી રીતે વધારો કરી શકાય તે દિશામાં જ તેઓને ઉપચાર આપવામાં આવે છે અને દવાઓ પણ રોગપ્રતિકારક શકિતને વધારવા માટેની જ અપાય છે. ભારતનાં ઘણાખરા એવા રાજયો છે કે જયાં કોરોનાની અસર નહિવત જોવા મળી હોય. ગુજરાત રાજયમાં વસતા લોકોની રોગપ્રતિકારક શકિત અન્ય રાજયો કરતા ખુબ જ સારી છે ત્યારે હાલ ડોકટરોનું પણ માનવું છે કે, જે લોકોની રોગપ્રતિકારક શકિત સારી હશે તેઓને કોરોનાનો શિકાર નહીં થવું પડે જે માટે અનેકવિધ પ્રકારનાં ઉપાયો પણ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવ્યા છે.

એક જ દિવસમાં ૧૪,૦૦૦થી વધુ કેસો નોંધાયા

દેશ આખામાં કોરોનાનો કહેર સાર્વત્રિક રીતે વ્યાપી ઉઠયો છે ત્યારે માત્ર એક જ દિવસમાં ૧૪,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુરુવારનાં રોજ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો હતો તો બીજી તરફ ૩.૮૧ લાખ પોઝીટીવ કેસોની સામે ૨ લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. જયારે દેશમાં એક જ દિવસમાં ૩૪૩ મોત પણ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશને બાદ કરતા આંધ્રપ્રદેશમાં ૩૫૨ નવા કેસો પણ નોંધાયા છે. જયારે મહારાષ્ટ્રમાં માત્ર એક જ દિવસમાં ૩૭૫૨ કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જેનાથી હાલ મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા ૧.૨૦ લાખને પાર પહોંચી છે. જયારે ૧૦૦ લોકોનાં મૃત્યુ પણ નિપજયા છે.

ભારતમાં કોરોનાનો રીકવરી રેટ ૫૦ ટકાથી પણ વધુ

જે રીતે દેશભરમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે તેની સામે રીકવરી રેટનું પ્રમાણ પણ ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. આંકડાકિય માહિતી મુજબ આશરે ૫૨.૯૫ એટલે કે ૫૩ ટકા જેટલો રીકવરી રેટ ભારત દેશમાં જોવા મળ્યો છે જે અન્ય દેશોની સરખામણીમાં ઘણાખરા અંશે આગળ પણ છે. બીજી તરફ વિશ્ર્વની તુલનામાં ભારતે કોરોના સામેની લડાઈની સાથો સાથ દેશનાં અર્થતંત્રને વિકસિત કરવા માટે પણ અનેકવિધ પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં વડાપ્રધાન મોદી દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હસ્તે રૂ૫૦ હજાર કરોડની રોજગારની સ્કિમ અમલી બનાવી છે જેનાથી પરપ્રાંતિય મજુરોને મહતમ લાભ મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.