Abtak Media Google News

ખેડૂતોના રાત ઉજાગરા થશે બંધ !!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મીએ જૂનાગઢ ખાતેથી ‘કિસાન સર્વોદય’ યોજનાનો કરાવશે પ્રારંભ: રાજ્યના ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડાશે

પ્રાથમિક તબક્કે યોજનામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવાશે: ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડના ખર્ચની જોગવાઈ

માત્ર રાતે વીજળી મળવાથી ખેડૂતોને રાત ઉજાગરા થતા હતા જે હવે ભુતકાળ બનશે. કારણ કે સરકારે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત હતી તે હવે પરિપૂર્ણ થશે. કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ઊર્જા મંત્રી પટેલે ઉમેર્યુ કે, ખેડૂતો માટે મહત્વાકાંક્ષી કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ૨૪મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી શુભારંભ કરાવશે. આ યોજના હેઠળ રાજ્યના ૧૭.૨૫ લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોની વર્ષો જૂની માંગણી આજે પૂર્ણ કરી છે. દિવસે વીજળી મળતા ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને સાથે સાથે વીજળીની બચત પણ થશે. રાજ્યમાં હાલ ૧૫૩ ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે ૫-૦૦ વાગ્યાથી રાત્રિના ૦૯-૦૦ કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

મંત્રીએ ઉમેર્યુ કે, કિસાન સૂર્યોદય યોજના  હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠો – ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ અંતિત ૧૭૫ ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે જેમાં ૧૦૦ ગીગાવોટ (૧ લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા ૭૫ ગીગાવોટ (૭૫૦૦૦ મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે. રાજય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભારતના પશ્ચિમ છેડે હોવાથી ભૌગોલીક દ્રષ્ટિએ બિનપરંપરાગત ઊર્જાનો સ્ત્રોતો ખાસ કરીને પવન અને સૌર ઊર્જાના ઉત્પાદન માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે.રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૩૧૨૮ મેગાવોટ છે જે આગામી વર્ષોમાં ૧૦૭૫૦ મેગાવોટ કરવાનું આયોજન છે.તેમણે ઉમેર્યુ કે, સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમિયાન

જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે.રાજયમાં હાલ ૧૭.૨૫ લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને ૧૫૩ જૂથોમાં વહેંચીને ૮૪૦૦ થી વધુ ૧૧ કેવી ના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.આ જૂથોને ૨૪ કલાકમાં મહત્તમ ૮ કલાક થી ફેઝ વીજ પુરવઠો અને ૨૪ કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.આ જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રીના કલાકો દરમ્યાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમ્યાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.ખેડૂતોને રાત્રિ દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. છેલ્લા કેટલાય વર્ષથી તેમના તરફથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી તે આજે પૂર્ણ થઈ છે.

તેમણે ઉમેર્યુ કે, ખેતીવાડીમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તો સોલાર પાવર કે જે ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે તે ખેડૂતોને આપી શકાય જેનાથી ખેડૂતોએ વેઠવી પડતી મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે ત્યારે  ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પુરા કરવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે  જરુરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇની કરાઈ છે.

તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રુપિયા ૫૨૦  કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે. વી. સબસ્ટેશન, રુપિયા ૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪  નવી ૨૨૦ / ૧૩૨/ ૬૬  કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે.

પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવાયા છે અને ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું અમારૂ આયોજન છે તેમ તેમણે ઉમેર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.