Abtak Media Google News

હર હાથને… યોગ્ય કામ આપવાની કુદરતની વ્યવસ્થા ક્યારેય બેકારીનો પ્રશ્ર્ન સર્જાવા દેતી નથી, હા એ વાત અલગ છે કે ગમતું કામ ન મળે તો વૈકલ્પિક રોજગારીથી કામ ચલાવવું પડે પરંતુ વૈકલ્પિક રોજગારીની આ મજબૂરીને બેકારીનું નામ ન અપાય

દેશભરમાં શિક્ષીત બેરોજગારીની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો હોવાના વારંવાર અહેવાલો પ્રગટ થયા કરે છે અને રોજગારીનું ચિત્ર બિહામણું હોય તેવો સીનારીયો રચવામાં આવે છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય રોજગાર સર્વેક્ષણ નામના એક અહેવાલમાં બેકારીનો દર ૧૧ ગણો વધી ચૂક્યો છે. આ આંકડાઓ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. બેકારી અને બેરોજગારીની વ્યાખ્યામાં માત્રને માત્ર સરકારી નોકરીઓ અને શિક્ષીત ભણેલ-ગણેલને ગમતું કામ મળી જાય તેના પર આ આંકડા બહાર પાડવામાં આવે છે. દરેક શિક્ષીત યુવાનને તેની લાયકાત મુજબ કામ મળી જાય તો જ તેને રોજગારી મળી એવું લેખાવાય છે. ખરેખર બીએસસી, બીએડ થયેલા યુવાનને વિજ્ઞાનના શિક્ષક તરીકે નોકરી મળે તો જ તે રોજગાર પ્રાપ્ત શિક્ષીત યુવાન ગણાય છે. આ જ બીએસસી, બીએડ યુવાન સરકારી કે સંસ્થાકીય ધોરણે શિક્ષક ન બને અને ઘરનો કોઈ વ્યવસાય કરે તેમાં સધ્ધર પગભર અને આવક રળતા થાય તો તે રોજગાર પ્રાપ્ય ન ગણાય ? શિક્ષીત યુવાન ઘરની ખેતી કે પૈતુક વ્યવસાયમાં કામ મેળવી લે તો પણ તેની રોજગારીની વ્યાખ્યા ખરા અર્થમાં પૂરી થાય છે.

ગુજરાતની જ વાત કરીએ તો ગામ હોય કે શહેર, ખેતી હોય કે ઉદ્યોગ, નાના મોટા તમામ પ્રકારના સ્વાશ્રય ધંધા રોજગારમાં કાયમી ધોરણે કાબેલ કામદારો, કારીગરો અને મેનફોર્સની અછત જ રહે છે. ગુજરાતમાં દરેક હાથને કામ નથી મળતું બેરોજગારીના સાત પ્રકાર અસ્તિત્વમાં છે જેમાં પ્રછન્ન, પ્રભાવિ, શિક્ષીત-દિક્ષીત સહિતના સાત પ્રકારોમાં દરેકને કામ મળી જાય પણ ગમતું કામ ન મળે તો તેને બેરોજગારીમાં ખપાવવામાં આવે છે.  ખરેખર દરેક હાથને કામ પૂરું પાડવાની કુદરતની વ્યવસ્થા છે જ પરંતુ એ વાત અલગ છે કે, દરેક કામને યોગ્ય હાથ નથી મળતા. દરેક ક્ષેત્રમાં સ્કિલ્ડ કામદારોની અછત છે પરંતુ કામ કરવાવાળાની અછત નથી. ગુજરાતમાં બેરોજગારી નહીં પરંતુ સક્ષમ બેરોજગારીનો પ્રશ્ર્ન છે. આ માટે સાધનીક વ્યવસ્થાની સાથે સાથે સામાજિક દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.