Abtak Media Google News

ભણે ગુજરાત !!!

સરકાર રોજગારી આપવા ઓએનજીસી, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને આઈઓસી સાથે નિયમીત અંતરાલે કરી રહી છે બેઠક

અમદાવાદ જિલ્લામાં ૪૮૭૧૫ જેટલા બેરોજગાર યુવા છે અને રાજ્યની વાત કરીએ તો રાજ્યભરમાં ૪.૯૩ લાખ શિક્ષીત અને અર્ધશિક્ષીત યુવાનો બેરોજગાર છે. રાજ્ય સરકારે બુધવારે આંકડા રજૂ કર્યા હતા. જેમાં ૪.૯૩ લાખ લોકો ગુજરાત રાજ્યમાં બેરોજગાર છે. એલીસબ્રીજ ધારાસભ્ય રાકેશ શાહના એક પ્રશ્ર્નનો લેખીતમાં જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં અમદાવાદમાં ૪૮૭૧૫ લોકો બેરોજગાર નોંધાયેલા હતા. સરકારે જણાવ્યું હતું કે, ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં જિલ્લામાં ૫૦૦૧૩ યુવાનોને રોજગારી આપવામાં આવી છે.

આ ઉપરાંત બરોડાની જો વાત કરવામાં આવે તો ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં બરોડામાં કુલ ૨૭૦૯૦ લોકો બેરોજગારીનો સામનો કરતા નોંધાયેલા જોવા મળ્યા છે અને એક વર્ષથી સરકારે ૨૯૯૦૮ લોકોને રોજગારી મળે તેવો નિર્ધાર કરી રહી છે. આ ઉપરાંત ડાંગના ધારાસભ્ય મંગલભાઈ ગેવીટના પ્રશ્ર્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં રાજ્યમાં ૪.૬૮ લાખ એજયુકેટેડ બેરોજગાર નોંધાયા છે. જ્યારે ૨૯૯૫૧ અર્ધ શિક્ષીત યુવાનો બેરોજગાર હતા.

આ ઉપરાંત સરકારે જણાવ્યું હતું કે, ૧ ઓકટોમ્બર ૨૦૧૩ અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ની વચ્ચે તેમને ૩૦૮૪ યુવાનોને નોકરી આપી છે. તેમજ ૧લી ઓકટોમ્બર ૨૦૧૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ની વચ્ચે વધુમાં વધુ સરકારી નોકરી આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ ૧૦૦૨ સરકારી નોકરીઓ આપવામાં આવી હતી. વાંસદાના ધારાસભ્ય અનંતકુમાર પટેલના પ્રશ્ર્નનો જવાબ આપતા ઓએનજીસી, એરપોર્ટ ઓથોરીટી ઈન્ડિયા અને આઈઓસી સૈનિક યુવાનોને રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે ૮૫ ટકા નોકરી આપતી હોવાનો દાવો કર્યો છે અને હવે શિક્ષીત બેરોજગારીનું પ્રમાણ ઘટે અને રોજગારી વધે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા નિયમીત મીટીંગ કરવા માટેનું પણ સરકારે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.