Abtak Media Google News

પ્રિન્ટ મિડિયા અને ઈલેકટ્રોનિક મિડિયાને સમાજ અને વહીવટીતંત્ર વચ્ચેના સેતુ ગણાવતા બાપુ

તીર્થસ્થળ સેતુબંધ, ધનુષકોડી  રામેશ્વરમમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. સંધ્યાની સહજ સભામાં બાપુએ સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યાં હતાં. અહીંના મોટાભાગના લોકો સ્થાનિક ભાષા સિવાય બીજી કોઇ ભાષા જાણતા નથી, તેથી એક દુભાષિયાની મદદથી બાપુએ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી. પૂજ્ય બાપુએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને સમાજ અને વહીવટીતંત્ર વચ્ચેના સેતુ ગણાવ્યાં હતાં.

દેશ અને દુનિયામાં નિરંતર ચાલતી રામકથાને બાપુએ સત્ય, પ્રેમ અને કરૂણાની કથા ગણાવી હતી અને કહ્યું હતું કે રામ નામની સાથે રામનું કામ પણ વ્યાસપીઠ કરતી આવી છે. રામની વનયાત્રાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે અયોધ્યાથી લઇને રામેશ્વરમ સુધીની યાત્રાનો રામનો હેતુ પ્રાંત-પ્રાંત, ભાષા-ભાષા, વર્ણ-વર્ણ, જાતિ-જાતિ અને રાષ્ટ્ર-રાષ્ટ્ર એમ તમામ વચ્ચે સેતુનું નિર્માણ થાય અને તમામ સદભાવના સાથે જોડાઇ જાય. આથી મીડિયાના પ્રતિનિધિઓનું કામ પણ દરેકને જોડવાનું છે. સેતુબંધનું આ કામ રામનું જ કામ છે.

બાપુએ ઉમેર્યું હતું કે, કોઇપણ સત્કાર્ય, માનસી, વિત્તજા અને તનુજા સેવા વિના સંભવ નથી. કથાના નિમિત્ત માત્ર યજમાન મદનભૈયાની સદભાવના અંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં બાપુએ ઉમેર્યું કે સામાન્ય રીતે જ્યાં કથા થાય ત્યાં ભોજન-પ્રસાદની વ્યવસ્થા અનિવાર્યરૂપે થતી હોય છે, પરંતુ કોવિડ-૧૯ની સ્થિતિમાં યજમાનશ્રીનો મનોરથ છે કે પ્રત્યેક ઘરમાં અન્નના સ્વરૂપે બ્રહ્મને સંપૂર્ણ સન્માન સાથે પહોંચાડવામાં આવે. ઉપનિષયમાં કહ્યું છે કે અન્ન જ બ્રહ્મ છે. આ શિવ સંકલ્પના પરિણામ સ્વરૂપે ૧૫૦૦૦ ઘરોમાં ખાદ્યાન્ન સામગ્રી પ્રસાદરૂપે વિનમ્રતા અને આદરની સાથે કથાના સમાપન પહેલાં પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત પોંગલના પવિત્ર તહેવારના ઉપલક્ષ્યમાં ૧૦૦૮ પોંગલ સેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જરૂરિયાતમંદો માટે ૧૦૮ સિલાઇ મશીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બાપુને પ્રશ્ન કરાયો કે શું અહીં રામ મંદિર બનશે. તેનો જવાબ આપતાં બાપુએ કહ્યું કે રામ મંદિર બને તો સ્વાગત છે, પરંતુ અહીં રામેશ્વર ભગવાન પર્યાપ્ત છે. બાપુએ વધુમાં જણાવ્યું કે મારી દ્રષ્ટિમાં અહીં રામ મંદિરની જગ્યાએ રામ સેતુ બની જાય તો તેને જ રામમંદિર માનવામાં આવશે. જો રામ સેતુ બની જાય તો મારી ઇચ્છા છે કે આ પવિત્ર જગ્યા ઉપર આવીને રામકથા કરીશું તેમજ પરસ્પર પ્રેમ અને વિચારોનો સેતુ બનાવીશું.

આખરે બાપુએ કથાના આયોજનમાં સહયોગ અને સ્વાગત માટે સ્થાનિક લોકો અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતાં તમામને પોંગલની શુભકામના પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.