Abtak Media Google News

સૂચિત સોસાયટીના રહીશોની માલીકીપણાના હકકની ચિંતા અમે દૂર કરી, અમે જે કહીએ તે કરીએ જ છીએ : મુખ્યમંત્રી

રાજકોટ જિલ્લામાં વિચરતી જાતિના ૧૬૫ પરિવારોને પ્લોટની સનદ અને સૂચિત

સોસાયટીના ૧૯૪૩ અરજદારોને હકદાવા મંજૂરી સહિત કુલ ૨૧૦૦ પરિવારોને 

સનદ અને દાવા મંજુરી પ્રમાણપત્રનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  વિતરણ

વિજયભાઈ રૂપાણીએ રાજકોટના પ્રમુખ ઓડિટોરીયમ ખાતે રાજકોટ શહેરના સૂચિત સોસાયટીના ૧૯૪૩ લાભાર્થીઓને હક્ક ચોકસીદાવા મંજૂરી પ્રમાણપત્ર  અને બેડી રામપરા સહિતના ગામોમાં વિચરતી જાતિના ૧૬૫ પરીવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી માટે સનદ વિતરણ કરતા કહયું કે, મારી સરકારે લોકો માટે ઓટલા અને રોટલાની ચિંતા કરી છે.  મુખ્યમંત્રીએ ક્હયું કે, ગુજરાતમાં વિચરતી વિમુકત જાતિનું એક પણ કુટુંબ ઘર સરનામા વગરનું નહીં રહે. આ માટે જિલ્લા કલેકટરોને મફત પ્લોટ  અને સુવિધા આપવાની સૂચના આપી દેવામાં આવી છે. બંધારણમાં લોકો જ સર્વોપરી છે. લોકોને તેના હક્કનું મળે, ગરીબો પણ વિકાસના ભાગીદાર બને તેવી નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહયું કે, જ્ઞાતિ, ભાષા, પ્રાંત, જાતિથી પર રહીને આપણે સૈા ભારતીય અને બંધુત્વ ભાવનાથી એકમેક થઈને રહીએ તે પણ પ્રજાસતાક લોકાશાહી રાષ્ટ્રનો મંત્ર છે.મુખ્યમંત્રીએ રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીને વિકાસના પર્વ સાથે જોડીને સૈાનો સાથ સૈાનો વિકાસના મુળમાં સૈાનું ભલુ થાય, ક્લ્યાણ  થાય તેવી ભાવના છે , લોકાભિમુખ અભિગમ છે તેમ પણ કહયું હતુ.

4 9

અગાઉ વિપક્ષની સરકાર માત્ર નારા આપતી, લોકોને ભ્રમિત કરતી અને ત્યાં સુધી કે ઘર વિહોણા લોકોને ઘર આપવાની ખોટી વાત કરી ફોર્મ ભરાવ્યા પણ અમારી સરકારે જેટલૂં થઈ શકે તેટલી જ વાત કરી અને કહ્યું તે કરી બતાવ્યું. મુખ્યમંત્રી ગુજરાતમાં એક પણ પરિવાર  કુટુંબ ઘર વિહોણું ન રહે તે માટે મોટા પાયે સરકારી સ્કીમો હેઠળ આવાસોનું નિર્માણ થઈ રહયું છે તેની અને દર વર્ષે લાખો લોકોનું ઘરનું ઘર મળે છે તેવી આંકડાકીય વિગતો આપી હતી. વિચરતી  વિમુકત જાતિને સરનામુ હોતું નથી. અમારે આ લોકોની  આ મુ્શકેલી દુર કરવી છે. તેમને મકાન અને રોજગારીની સાથે શિક્ષણ  આરોગ્યની સવલતો આપી છે. સૂચિત સોસાયટીમાં લોકો માલીકીપણાના ઘરની-કાયદેસરતાના મુદે ચિંતા  અને ભયમાં રહેતા હતા.તે ભય ચિંતા દૂર કરીને માલીકીપણાનો હક્ક આપી તેમને મિલકત પર લોન મળે, વારસદારો વીલ કરી શકે અને સૈા શાંતિથી સુખેથી રહે તેવું આયોજન કર્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. રાજકોટમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ થી વધુ લોકોને સૂચિત સોસાયટીના હક્ક દાવા મંજૂરી આપવાની કામગીરી થઈ છે. મુખ્યમંત્રીએ કહયું કે, અગાઉ સૂચિત સોસાયટીના લોકોનો પ્રશ્ન  કોઈ હાથમાં  લેતું ન હતુ. અમે મહેસૂલી કાયદામાં  સુધારા કર્યા છે અને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કર્યું છે.

3 13

રાજકોટ જિલ્લા કલેકટ વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં વિચરતી જાતિના ૧૬૫ પરિવારોને ૫૦ વારના વિના મૂલ્યે પ્લોટની સનદ તેમજ રાજકોટની ૧૫૭ સૂચિત સોસાયટીની હક્ક દાવા મંજૂરી  સ્કીમ હેઠળ સૂચિત વિસ્તારોના ૯૭૬ અને અન્ય વિસ્તારોના ૯૬૭ અરજદારોને પ્રાપર્ટી કાર્ડ મળી કુલ ૧૯૪૩ દાવા મંજુરી સહિત ૨૧૦૮ પરિવારોને પ્લોટ સનદ દાવા મંજૂરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં  પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સરકારના સંવેદનશીલ અભિગમ અંતર્ગત વિચરતી જાતિના પરિવારોને ઘરનું ઘર મળે  તે માટે તેમજ  સૂચિત વિસ્તારોમાં ટાઈટલ મળે તે માટે મુખ્યમંત્રીએ ખેવના દાખવી છે. તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમના આરંભે કલેકટર રેમ્યા મોહને જિલ્લા વહીવટી મહેસૂલી તંત્ર દ્રારા મિલકત ધારકોને દાવા મંજૂરી અને વિચરતી વિમુકત જાતિના લાભાર્થીઓને આપવામાં આવેલા લાભો અંગેની રૂપરેખા આપી સૈાનું સ્વાગત કર્યું હતુ.

1 25

આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી,કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, અશ્વીનભાઇ મોલીયા, દલસુખભાઇ, શ્રીમતી અંજલીબહેન રૂપાણી, વિચરતી જાતિ બોર્ડ મેમ્બર મિતલબેન પટેલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુ કમિશનર ઉદીત અગ્રવાલ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.