Abtak Media Google News

આજે પારસી નું નવું વર્ષ એટલે કે ” પતેતી” છે જેને “નવરોઝ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરંપરા લગભગ 3000 વર્ષો પહેલા શરૂ થઈ હતી, અને તે વિશ્વભરના પારસી સમુદાય દ્વારા મનાવવામાં આવે છે.

ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે.

પતેતી એટલે પશ્ચાતાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.પતેતી નવી શરૂઆતની નિશાની છે અને ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. લોકો સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને તેમના પાપ માટે ક્ષમા મેળવવા અગ્નિ મંદિરની મુલાકાત લે છે અને લોકો તેમના ઘરને સાફ કરે છે અને સજાવટ પણ કરે છે, પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને અગ્નિ મંદિરની મુલાકાત લે છે મીટિંગ અને શુભેચ્છા પછી, લોકો વિવિધ વાનગી બનાવે છે જેમાં મગની દાળ, પુલાવ અને સાલી બોટી જેવા વિશેષ ભોજનનો આનંદ માણતા હોય છે.

જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, તેની યાદમાં પતેતી સંવત શરુ થઈ. પારસીઓને ભારતમાં વસવાટ કરે 1350થી પણ વધારે વર્ષ થયાં. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા તેઓ લગભગ 1350થી પણ વધારે વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલાથી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા. અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી જે આતશ બહેરામને નામે ઓળખાય છે. હિંદુ ધર્મમાં જનોઈની વિધિ છે તેમ પારસીઓમા કુમાર- કુમારીઓ દરેકને માટે નવજોતની વિધિ છે.

પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે.

દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મેહતા, મીઠુબેન પટીટ, વીર નરિમાન, માદામ ભિખાઈજી કામા, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ, ડૉ. હોમી ભાભા, ડૉ હોમી શેઠ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, સોલી કાપડિયા વગેરે જેવા અનેક વીરલાઓ આ કોમમાંથી આવેલા છે અને વિશ્વમાં નામ રોશન કર્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.