Abtak Media Google News

આપણા દેશના બંધારણ મુજબ ચૂૂંટણી લડનાર રાજકારણીઓ પણ ડાપ્રધાન, ગવર્નર કે પ્રધાન બની શકે છે, જેમની લાયકાતનું કોઇ નિશ્ચિત ધોરણ નથી!

આપણા દેશનું બંધારણ તમામ નાગરીકોને સમાન હકક આપે છે. દરેક નાગરીકને રહેવા, ફરવા, મિલકત ઉભી કરવાનો, વેચવાનો હકક કાયદાએ આપ્યો છે. તેમ દરેક નાગરીકના જાન-માલના રક્ષણ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રને ફરજ સોંપી છે.

પરંતુ આપણા કાયદો વ્યવસ્થાના તંત્રો કેવા છે? તેની પાસે હાથીના દાંત જેવું છે, ચાવવાના દાંત અલગ અને દેખાડવાના દાંત અલગ છે, એમ તેમની કિંમત પણ હાથીના જેવી જ ! મરે તો સવા લાખનો અને જીવે તો લાખનો પક્ષાંતરના પાપે જે ધારો તે કરી લઇ શકાય છે.

આપણે ત્યાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં શ્રી નરેન્દ્ર મોદીનો વિજય બેસક અપૂર્વ અને અદભૂત બન્યો છે. પોણા ભાગનો દેશ શ્રી મોદીના રંગે રંગાઇ ચૂકયો છે અને તે જે ધારે તે આસાનીથી કરી લઇ શકે તેમ છે. પરંતુ લોકશાહીને જીવંત અને ધબકતી રાખવા માટે સબળ વિરોધપક્ષ અનિવાર્ય બને છે, જેની નવી સંસદમાં ગેરહાજરી રહેશે.

આ કોયડો જેવો તેવા નથી. સંસદીય લોકશાહી શાસન પઘ્ધતિમાં સબળ વિરોધ પક્ષ ન હોય તો તે ‘અમંગળ એંધાણ’બની રહે છે. આપણા દેશના બંધારણ મુજબ તો ચૂંટણી ન લડનાર રાજકારણીઓ પણ વડાપ્રધાન, ગવર્નર અને પ્રધાન બની શકે છે. સવારે પક્ષાંતર કરનાર માણસ તે જ દિવસે સાંજે પ્રધાન બની જઇ શકે છે!

દર પાંચ વર્ષે આપણા દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે મતદાર કરતી વખતે એક એવા સુખદ ભ્રમને પોસીએ છીએ કે, ભારતમાં લોકશાહી છે અને ખરી સત્તા પ્રજાના અથવા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં છે. આ એક મોટું જૂઠાણું છે અથવા તો છેતરપીંડી છે હકીકતમાં ભારત પ્રસજાસત્તાક નથી પણ આપણા દેશમાં ખરી સત્તા અમલદારોના છે.

ભારતના રાજકારણીઓને અને કહેવાતા નેતાઓને પણ આ અમલદારો પોતાના ઇશારા મુજબ નચાવી શકે છે. અંગ્રેજોએ આપણા દેશ માટે જે કાયદાઓ ઘડયા હતા. તેમાં સરકારી અધિકારીઓને અને ખાસ કરીને પોલીસ અધિકારીઓને અમાનુષી સત્તાઓ આપવામાં આવી છે. આ જાલીમ સત્તાનો ઉપયોગ રાજકારણીઓ અને સરકારી અમલદારો આજે પણ પ્રજાને ગુલામ રાખવા માટે જ કરી રહ્યા છે.

ભારતના સંસદસભ્યો પ્રજાની કઇ મોટી સેવા કરે છે તે સંશોધકનો જ વિષય છે, ગાંધીજીએ પોતાના પુસ્તક ‘હિન્દ સ્વરાજ’માં બ્રિટનની સંસદને વાંઝણી અને વેશ્યા કહી હતી. વાંઝણી એટલા માટે કે સંસદે કયારેય કોઇ પ્રજાહિતનું કાર્ય કર્યુ નહોતું અને વેશ્યા એટલા માટે કે દેશના દરેક સ્થાપિત હિતો પોતાના સ્વાર્થ માટે આ સંસદનો મનફાવતો ઉપયોગ કરી શકતા હતા. ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’પુસ્તક લખ્યું ત્યારે ભારતમાં હજી લોકશાહી શાસનવ્યવસ્થા અને સંસદનો જન્મ થયો નહોતો. અન્યથા ગાંધીજી ભારતની સંસદ વિષે પણ તેવો જ અભિપ્રાય ધરાવતા હોય, તેવું ‘હિન્દ સ્વરાજ’પુસ્તક વાંચનારને લાગ્યા વિના રહેતું નથી.

આ સંસદસભ્યો  પાછળ પ્રજાના પસીનાના કેટલા રૂપિયાનું પાણી કરવામાં આવે છે તે જાણો છો? ભારતના પ્રત્યેક સંસદસભ્યને મહિને ૧ર,૦૦૦ રૂપિયાના પગાર ઉપરાંત રાજા મહારાજાઓની જેમ વિવિધ સાલિયાણાંઓની પણ છુટુે હાથે લ્હાણી કરવામાં આવે છે. જયારે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે પ્રત્યેક સંસદસભ્યને સત્રમાં હાજરી આપવા માટે રોજનું પ૦૦ રૂપિયાનું વિશેષ ભથ્થુ આપવામાં આવે છે. સંસદસભ્યો પોતાના મતદારક્ષેત્રમાં જઇને પ્રજાનું ‘કલ્યાણ’કરી શકે તે માટે તેમને મહિને વધારાના ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. તેમને સ્ટેશનરીની ખરીદી માટે મહિને ૩,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે.તેમને પત્રો પોષ્ટ કરવા માટે મહિને ૧,૦૦૦ રૂપિયાની ફેન્કિગ

સવલત આપવામાં આવે છે,  તેઓ પોતાનો સેક્રેટરી રાખી શકે તે માટે  ૧૦,૦૦૦ રૂપિયા અલગથી આપવામાં આવે છે. તેઓ ભારતના કોઇપણ ભાગમાં રેલવે દ્વારા ફર્સ્ટ કલાસમાં મફત મુસાફરી કરી શકે છે. તેઓ વર્ષે ૪,૦૦૦  કિલોલીટર જેટલું પાણી અને પ૦,૦૦૦કિલોવોટ જેટલી વીજળી મફત વાપરી શકે છે. તેમને પોતાના ઘર કે ઓફીસના ફર્નીચરના સમારકામ માટે વર્ષે ૨૪,૦૦૦ રૂપિયા અલગથી મળે છે. વર્ષે તેઓ ૧.૫૦ લાખ ફોન કોલ મફતમાં કરી શકે છે. આ ઉપરાંત તેમને મફતમાં તબીબી સુવિધા મળે છે અને નિવૃત થાય ત્યારે પેન્શન પણ મળે છે. તેની સામે તેઓ પ્રજાની નહીં પણ પોતાની જાતની જ સેવા કરે છે.

આ દેશનો સૌથી મોટો અભિસાપ આપણને અંગ્રેજો તરફથી વારસામાં મળેલી ભ્રષ્ટ અને અત્યાચારી શાસન વ્યવસ્થા છે. ભારતમાં જો આટલી થર્ડ કલાસ શાસનપઘ્ધતિ અસ્તિત્વમાં ન હોતતો આપણો દેશ કયારનોય આર્થિક મહાસત્તા બની ગયો હોત, આવા ભ્રષ્ટ રાજકારણીઓને વશમાં રાખીને જ આજે સમૃઘ્ધ દેશો, મલ્ટીનેશનલ કંપનીઓ તેમ જ વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જેવી દુષ્ટ સંસ્થાઓ આપણી ગરીબ પ્રજાનું પારાવાર શોષણ કરી રહ્યા છે. આપણો સુજલામ સુકલામ જેવો દેશ ગરીબ અને કંગાળ બની ગયો છે તો તેના માટે પ્રજાના હાડમાં સચાય ચૂસતા આ રાજકારણીઓ જ જવાબદાર છે, આપણા દેશે જો વર્લ્ડ લિડર બનવું હશે તો આ રાજકારણીઓથી અને આ રાજયવ્યવસ્થાથી છૂટકારો મેળવવો જ પડશે.

સબળ વિપક્ષોની ગેરહાજરીમાં વડાપ્રધાન અને તેમના મળતીયાઓ આડેધડ વર્તે, નિજી સ્વાર્થ પામવા માટે રાષ્ટ્રના અને પ્રજાના હિતોને ઠોકરે મારે, ગરીબ પ્રજાની ધોર અવગણના કરે અને લોકશાહી ધારાધોરણોને અભેરાઇએ ચડાવે એવો અવાજ ઉઠયા વિના ન જ રહે કે લોકશાહીનો વિકલ્પ શોધવાનો સમય પાકી ગયો છે.

આપણા દેશમાં પ્રજાનો કશાં જ અવાજ નથી એવી ટીકા અને અમલદાર શાહી તથા વહીવટકારોની જ મનમાની ચાલે છે એવી ટીકા ઊધાડે છોગે થાય છે, પરંતુ આવા અમલદારો સામે પ્રધાનો પણ ઝૂકે છે એવી ફરીયાદોને તદ્દન નકારી શકાય તેમ નથી! આપણે ઇચ્છીએ કે, સબળ વિરોધ પક્ષોની ગેરહાજરીમાં શ્રી મોદી અને તેમની સરકાર સંયમ રાખશે, અને લોકશાહીને જીવંત રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.