Abtak Media Google News

પત્ની અને દીકરીને સાળો મુકવા આવતો હતો તે વેળાએ માંડવા- ઢસા નજીક કાર અને આઇસર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા બાહોશ અને પોતાની કર્મનિષ્ઠાથી જાણીતા એવા ચરણસિંહ ગોહિલના પરિવારને અકસ્માત નડ્યો છે. તેઓની પત્ની અને દીકરીને સાળો મુકવા આવતો હતો. તે વેળાએ કારને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ત્રણેયના મોત નિપજ્યા હતા.

ગઢડાના ઢસાથી માંડવા જતા રોડ પર આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટ ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી સહિત તેમના સાળાનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના પગલે રાજકીય આગેવાનો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડાયા હતાં. અકસ્માતની જાણ થતા ચૂંટણી ફરજમાં વ્યસ્ત રાજકોટના ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ગઢડા(સ્વામિના) તાલુકાના ઢસા નજીક માંડવા-ઢસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા એકજ પરિવારના ૩ સદસ્યોના કરૂણ મોત નિપજવાની ઘટનાથી ભારે કમકમાટી ફેલાઇ જવા પામી હતી. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલના પત્ની અને પુત્રી બંને પોતાના પિયર મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મુકવા માટે ભાઈ ધનજયસિંહ ચુડાસમા રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માત માં ધનંજયસિંહ રણજીતસિંહ ચુડાસમા (ઉં.વ.૨૧) ગામ મોખડકા, ચેતનાબેન ચરણસિંહ ગોહિલ (ઉં.વ.૨૯) અને ગરીમા ચરણસિંહ ગોહિલ (ઉ.વ.૫)ના મોત નીપજ્યાં હતાં. અકસ્માતની ઘટના બનતા અન્ય વાહન ચાલકો અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા.અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફીકજામને હળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડેલ જયાં ગઢડા મામલતદાર, ગઢડા પીએસઆઈ, અન્ય ડેપ્યુટી કલેકટરો, તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઢસા અને માંડવા વચ્ચે બનેલ ગમખ્વાર અકસ્માતના પગલે ભાવનગર સહિત રાજકોટમાં પણ બનાવને લઇ અરેરાટી ફેલાઇ જવા પામી હતી. લોકડાઉનમાં દરરોજ જ્યાં સુધી ચરણસિંહ ઘરે ન આવતા ત્યાં સુધી દીકરી જમતી નહિં

ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ લોકડાઉનમાં ડ્યુટી ઉપર હતા. તેઓ દિવસ રાત લોકડાઉનની ડ્યુટીમાં રહેતા હતા. આ અરસામાં તેની લાડકવાયી દીકરી જ્યા સુધી તેઓ ઘરે ન આવતા ત્યાં સુધી તે જમતી ન હતી. રાતે ચરણસિંહ ઘરે આવે ત્યારે જ દીકરી તેની સાથે જમવા બેસતી હતી. ઉલ્લેખનીય છે કે આ બનાવથી ભારે કરુણાંતીકા સર્જાઈ છે. ફૂલ જેવી લાડકવાયી દીકરી જેના ક્લબલથી ઘર હંમેશા દિપી ઉઠતું હતું.અચાનક તેની વિદાયથી ગોહિલ પરિવાર શોકાતુર થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.