Abtak Media Google News

વાલાસણમાં ચકચારી ઘટનામાં પિતાએ એકના એક પુત્રના મોત માટે પત્ની, સાસુ સાહિતનાઓને જવાબદાર ગણાવ્યા

વાંકાનેર : ચાર માસ પૂર્વે એકના એક પુત્રને ગુમાવનાર વાંકાનેરના વાલાસણ ગામના મજબૂર પિતાની કોર્ટમાં ફરિયાદ બાદ આજે કોર્ટના આદેશને પગલે મૃત્યુનું સાચું કારણ બહાર લાવવા કબરમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, નાના એવા ગામમાં કોર્ટના હુકમથી મૃતદેહ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે બહાર કાઢવામાં આવતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા.

આ ચકચારી બનાવની વિગત જોઇએ તો, વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા હુસેનભાઈ કડીવારનો એકના એક પુત્ર જાવીદનું ગત તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ મૃત્યુ થયું હતું. જેની વાલાસણ ખાતે દફન વિધિ કરવામાં આવી હતી. જાવીદના પિતાની ફરિયાદ મુજબ જાવિદે આશરે ૮ વર્ષ પહેલાં કુલસુમ રહીમભાઈ કડીવાર નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. થોડા સમયથી તેમને માથાકૂટ થતી હોવાથી તે વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં રહેવા જતો રહેલ , ત્યાં પણ તેમની સાથે માથાકૂટ થતી રહેતી અંતે જવીદ કંટાળીને વાલાસણ આવી ગયેલ અને તા. ૧૪-૨-૨૦૧૮ ના જાવીદને તેમની પત્નીએ વાંકાનેર બોલાવ્યો હતો,

આ દિવસે જાવીદ હમણાં પાછો આવું છું કહીને ગયેલ પરંતુ સાંજના વાલાસણ તેમના મોતના ખબર આવ્યા હતા અને જાહેર એવું થયું હતું કે, જાવિદે દવા પી ને આત્મહત્યા કરી છે.

આ બાબતે જાવીદના પિતાને શંકા હતી જેથી તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પણ ગયા હતા પરંતુ પોલીસે આમાં હત્યા જેવું કાંઈ છે નહી તારા છોકરાએ આત્મહત્યા જ કરી છે આવું કહીને ફરિયાદ ન લીધી અને કાઢી મુક્યા હતા

આખરે જેમનું બધું જ લૂંટાય ગયું હતું તેવા પિતા એ તા.૧૧-૫-૨૧૦૮ ના રોજ પોતાના પુત્રનું ખૂન થયું છે તેવી કોર્ટમાં ફરિયાદ કરી, જેમાં જાવીદની પત્ની ફૂલસમ, સાસુ નુરીબેન, સાળો આરીફ, સસરા રહિમભાઈ મેસણીયા (ઘીયાવડ) તથા તેમના મળતિયાઓ સામે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે મૃતદેહની એફએસએલ રિપોર્ટ કરવા આદેશ કરતા  પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે. અને કોર્ટના આદેશથી જાવીદના આશરે ચાર મહિના પૂર્વે દફન કરેલ મૃતદેહને આજે એફએસએલ માટે બહાર કાઢવામાં આવ્યો હતો.

નાના એવા વાલાસણમાં પોલીસની હાજરી વચ્ચે મૃતદેહ કાઢવાની કાર્યવાહી થતા કબ્રસ્તાન પાસે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. લોકમુખે ચર્ચાતું કે હવે ઇન્શાફ મળશે અને મોટમાથાના નામ ખુલશે..!!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.