Abtak Media Google News

ભાણેજના જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરતા નડ્યો અકસ્માત

રઘુવંશી સમાજ, પત્રકાર આલમમાં શોક

જામનગરના મુર્ધન્ય પત્રકાર એવા ગીરિશભાઈ ગણાત્રાના જયેષ્ઠ પુત્ર ગુંજનભાઈનું રવિવારની રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગણાત્રા પરિવાર તેમજ પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઉલ્લેખ જરૂરી છે કે, મૃતક માત્ર 30 વર્ષના નવયુવાન હતાં.

ગુંજનભાઈના બહેન વિભાબેન ભાયાણીની પુત્રી અર્થાત ગુંજનની ભાણેજનો જન્મ દિવસ હોવાથી ભાયાણી પરિવાર દ્વારા પારિવારિક રીતે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સાત કિ.મી. દૂર આવેલ હોટલ રજવાડુમાં બર્થ ડે પાર્ટી રાખવામાં આવી હતી. ગુંજન અને ભાયાણી પરિવાર રાત્રે 11 વાગ્યા આસપાસ હોટલ રજવાડુથી જન્મ દિવસની પાર્ટીની ખુશાલી ઉજવી જામનગર ઘરે પરત આવવા નીકળ્યા હતાં. ગુંજન એકલો તેના મોટરસાઈકલ પર રજવાડુથી જામનગર પરત આવી રહ્યો હતો ત્યારે જામનગરથી બેડ ટોલ નાકા ઉપર નોકરી કરતા અને બેડ તરફ મોટરસાઈકલ ઉપર પૂરપાટ વેગે જતા યુવાનના મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાતા બન્ને મોટરસાઈકલ પરથી ફેંકાઈ ગયા હતાં જેમાં ગુંજનને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે સામેવાળા યુવાનને ઈજા થતાં તેને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ગિરીશભાઈ તથા સુભાષભાઈ ભાયાણી ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારપછી ગુંજનના મૃતદેહને જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને પોસ્ટમોર્ટમની વિધિ પત્યા પછી ગિરીશભાઈના નિવાસસ્થાન ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમ યાત્રા નીકળી હતી.

ગિરીશભાઈના નવયુવાન દીકરાના અકાળે અવસાનના સમાચાર જાણી સમગ્ર રઘુવંશી સમાજમાં તેમજ પત્રકાર આલમમાં ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. ગુંજન ગણાત્રા ગાંધીનગર સ્થિત એક ખાનગી અમેરિકન કંપનીમાં સર્વિસ કરતો હતો અને શનિ-રવિની રજા હોવાથી તથા ભાણેજના જન્મ દિવસના કારણે જામનગર આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.