Abtak Media Google News

રાજ્યના નાના-મોટા તમામ ૫૬ લાખથી વધુ ખેડૂતોને વગર પ્રિમીયમે મળશે કિસાન સહાય: વિજયભાઈ રૂપાણી

દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાની વ્યાખ્યા પણ સ્પષ્ટ જાહેર કરાઈ: એસડીઆરએફના લાભો યથાવત રાખી નવી કિસાનલક્ષી યોજના જાહેર કરાઈ

રાજ્યના ખેડૂતોના વ્યાપક હિત માટે રાજ્ય સરકારે નાના-મોટા તમામ ખેડૂતોને આવરી લેતા અને વગર પ્રિમીયમની મુખ્યમંત્રી કિસાન યોજનાની રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ  જેમાં રાજ્યના બધાજ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને  આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો  છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે આ યોજનાનો લાભ રાજ્યના નાના-મોટા સીમાંત બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે. એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ.

આ યોજના સરળ અને પારદર્શી છે તેની ભૂમિકા  મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, એસ.ડી.આર.એફના લાભો યથાવત રાખીને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. મુખ્યમંત્રીએ આ યોજનાની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠુ)ના જોખમો આ યોજનામાં આવરી લેવાયા છે. આ જોખમોથી થયેલું પાક નુકશનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો તેમણે આપી હતી.

યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા  અંગે ની જાણકારી આપતા શ્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે. ખરીફ ૨૦૨૦થી યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે.

યોજનાના સહાયના ધોરણો અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

આ યોજના ની અન્યઅગત્યની જોગવાઈઓ  વિશે તેમણે કહ્યું કે, આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે. ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું વીએલઈને એક તૈયાર કરાવવાનું રહેશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ડીબીટી દ્વારા ચૂકવવામાં આવશે. લાભાર્થી ખેડુતોનાં પ્રશ્નો નાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે. ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના ટકઊ ને એક સફળ અરજી દિઠ રૂ.૮/-નું મહેનતાણું  ચુકવાશે. ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિજયભાઈ રૂપાણીએ આ યોજના અન્વયે પાક નુકસાન અંતર્ગત ગામો/તાલુકા/વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયાની જે માહિતી આપી તે મુજબ અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું)ના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે.

ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે. રાજ્ય સરકારની (મહેસુલ વિભાગ) દરખાસ્ત મળ્યાના દિવસ સાતમાં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર/ગામ/તાલુકાની યાદી મંજૂરીના હુકમો કરશે.

પાક નુકશાનનાં સર્વેની કામગીરી અંગે તેમણે જણાવ્યું કે,  રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે દિન-૧૫ માં કરાવશે. સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહી વાળા હુકમથી જાહેર કરશે.   આ યાદી ૩૩% થી ૬૦% અને ૬૦%થી વધુ નુકસાન એમ બે યાદી જાહેર થશે એમ તેમણે ઉમેર્યું હતું.

અનાવૃષ્ટિ (દુષ્કાળ) ક્યારે ગણાશે ?

જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

અતિવૃષ્ટિ ક્યારે ગણાશે ?

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.

કમોસમી વરસાદ (માવઠું) ક્યારે ગણાશે ?

૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મીમીથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠુ)નું જોખમ ગણવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.