Abtak Media Google News

હારશે કોરોના, જીતશે રાજકોટ

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો

રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘ભય’ થી નહીં પરંતુ ‘ભાવ’ થી જીવન જીવવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, સમાજની અંદર જ્યારે પણ કોઈને કોઈ કારણથી ઉત્પીડન શરૂ થાય છે, ત્યારે શાસ્ત્રોકત દ્રષ્ટિથી જોઈએ તો એના ઘણા બધા કારણ હોય છે.

વર્તમાન કોવીડ-૧૯ ના કહેરથી વિશ્વ આખુ સંક્રમિત છે. ભારત વર્ષ અને તેમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં લોકો ભયભીત બન્યા છે. તેવા સમયે એમ લાગી રહયુંછે કે, આ મહામારી – આ રોગ જેટલાને મારે છે, તેના કરતાં પણ વધુ લોકોને આ રોગનો ભય સતાવે છે, અને ભય જ વધુમારે છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે,  જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ જેને ભગવાનની રક્ષા છે, જેના પર પરમાત્માના હજાર હાથ છે તેને કોઈ મારી નથી શકતું.

મારી આપ સૌને હાર્દિક અપીલ છે કે, આપણે આપણા ઈષ્ટદેવમાં શ્રધ્ધા રાખીએ. આપણું ધર્મ જગત તો એવું જ કહે છે કે, ‘ભાવ’ થી જીવો ‘ભય’ થી નહી. ભય ભયાવહ છે. કોઈપણ કાર્યમાં ભય હશે તો સમજવું કે આપણું અડધું મરણ થઇ ચુકયું  છે.

ચાણકયએ નીતિશાસ્ત્રમાં કહયું છે,  જાગૃત માણસને કોઈ ભય નથી રહેતો, ધર્મશાસ્ત્ર, સૂત્રો, ગ્રંથો આપણને સમજાવે છે કે, આપણે આ રોગનો પ્રતિકાર કરવા માટે નિર્ભયતાથી જીવવાનું છે.

નરસિંહ મહેતા પણ કહે છે કે, જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેહને તે સમયે તે જ મળશે. તો શા માટે આપણે ભયથી જીવન જીવવું જોઈએ.

કોરોના આવ્યો છે અને ચાલ્યો પણ જશે. એ એનો ક્રમ હશે. પણ આ સમયમાં આપણે આપણી શાંતિ, વિચારોની ધૈર્યતા કયારેય ખોવી ન જોઈએ.

આ સમયનો તકાજો છે. સુખનો સૂરજ જો કાયમ ન રહેતો હોય તો દુ:ખનો સમય પણ કાયમ નથી જ રહેતો. આજે જે બીમારી છે, તે કાયમ નથી જ રહેવાની. એનો સમય થશે એટલે એ પણ ચાલી જ જશે. આપણે આ સમયે સંયમથી – ધૈર્યથી આપણા જીવનને વ્યતીત કરીએ. આપણે નિર્ભય થશું તો આપણો સમાજ, આપણું કુટુંબ, આપણી આજુબાજુનો સમાજ પણ નિર્ભય બનશે. આપણે સૌ જો નિર્ભય બનશું તો હારશે કોરોના, જીતશે રાજકોટની ઉક્તિ સનાતન સત્ય બનશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.