Abtak Media Google News

સિરામિક એસોસિએશન દ્વારા લોડિંગ, અનલોડિંગ, પ્રોડક્શન અને ડિસ્પેચિંગ બંધ કરવા ગંભીર વિચારણા

ઉત્પાદન ત્રણ ગણું વધી જતાં ભાવ તૂટ્યા 

નોટબંધી અને જીએસટી બાદ મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેમ માંગ અને પુરવઠાના નિયમ મુજબ હાલ વિટ્રિફાઇડ ટાઇલ્સના ભાવ તળિયે બેસી જતા સીરામીક એસોસિએશન દ્વારા ઉત્પાદન, ડિસ્પેચિંગ અને લોડિંગ, અનલોડિંગ બંધ કરવા ગંભીર વિચારણા કરી સર્વે શરૂ કરતાં સીરામીક ઉદ્યોગ જગતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

મોરબીમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ બનાવતા મેમ્બરો માટે છેલ્લા ચારેક દિવસથી મોરબી સીરામીક એસોસિએશન દ્વારા મિટિંગ બોલાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે ૧૯/૦૩/૨૦૧૮ ના રોજ એસોસિએશન હોલ ખાતે વિટ્રિફાઇડ એસોસિએશનના મેમ્બરોની જનરલ મિટિંગ મળેલ તેમાં હાજર રહેલ સભ્યોની બહુમતીથી સ્વૈછીક પોતાની કંપની બંધ કરવી તેવો નિર્ણય લેવામાં આવેલ પણ આ માટે તમામ મેમ્બરોના પોતાની કંપનીના લેટર પેડ ઉપર ફોર્મ એસોસિએશનની ઓફિસે મોકલવા જણાવાયું છે.

વધુમાં સામુહિક રીતે વિટ્રિફાઇડ સીરામીક યુનિટ બંધ કરવા તમામ સભ્યોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે અને સભ્યોને મોકલેલ ફોમ ભરી લેટર પેડ ઉપર પ્રિન્ટ કરીને સહી સિક્કા કરીને આગળની મિટિંગ માં સાથે લઈને આપવા વિનંતી કરવામાં આવી છે.

દરમિયાન મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાએ શટ ડાઉન વિશે જણાવ્યું હતું કે હાલમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ યુનિટમાં માંગ ના પ્રમાણમાં ત્રણ ગણું ઉત્પાદન વધી ગયું છે જેની સામે માલનો ભરાવો કાઢવા ઉત્પાદકો નીચા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે, પરિણામે હવે શટ ડાઉન જ વિકલ્પ હોવાનું જણાવી સીરામીક એસોસિએશન ગંભીર પણે ઉત્પાદન બંધ કરવા વિચારી રહ્યું હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.