Abtak Media Google News

જૂનાગઢમાં વડાપ્રધાને જાહેરસભા સંબોધી છતાં ભાજપ ઉમેદવાર જીત્યા: હારવાની પરંપરા તૂટી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ માટે તો શુકનવંતા બની રહ્યાં છે પરંતુ આ વખતે જૂનાગઢના ભાજપના ઉમેદવાર માટે પણ નરેન્દ્ર મોદીએ દાયકોઓ જૂની શ્રાપિત પરંપરાનો અંત લાવવા માટે નિમીત બન્યા છે. પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે, જે કોઈ વડાપ્રધાન જૂનાગઢના ઉમેદવાર માટે પ્રચાર-પ્રસાર અથવા તો સભા સંબોધતા હોય તો તે ઉમેદવારની હાર પૂર્ણત: નિશ્ચિત મનાતી હતી. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી વિશે વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના પ્રચાર-પ્રસાર અર્થે આવેલા નરેન્દ્ર મોદી વિશે પણ આ જ પ્રકારની ઘટના ઘટે તેવું માનવામાં આવતું હતું.

લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જૂનાગઢ બેઠક પર જયારે રાજેશ ચૂડાસમાનો વિજય થયો ત્યારે જૂનાગઢને જે શ્રાપિત પરંપરામાંથી પણ મુક્તિ મળી છે. ઈન્દિરા ગાંધી જયારે જૂનાગઢ પ્રચાર માટે આવ્યા હતા ત્યારે બદરમીયા મુન્સીનો પરાજય થયો હતો. વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી પ્રચાર માટે આવ્યા ત્યારે ઉમેદવાર મોહનભાઈ પટેલનો પણ પરાજય થયો હતો.

ગત વિધાનસભા ચૂંટણી વખતે વડાપ્રધાન મોદી પ્રચાર માટે આવ્યા ત્યારે સતત પાંચમી ટર્મથી વિજેતા મહેન્દ્ર મશરૂ પણ પરાજીત થયા હતા ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે આ પરંપરાની ચર્ચા અને આગોતરા સંજોગોની ચર્ચા પણ વહેતી થઈ હતી. અલબત નરેન્દ્ર મોદી રાજેશ ચુડાસમા અને પોરબંદરના રમેશ ધડુક માટે સુકનિયાળ વડાપ્રધાન સાબીત થયા છે અને જૂનાગઢની જે પરંપરા હતી કે જે ઉમેદવારના પ્રચાર કરવા માટે તેઓ આવતા હોય તો તે ઉમેદવારની કારમી હાર થતી હતી.

ગત વિધાનસભામાં ભાજપના જુવાર વચ્ચે કયારેય ન હારનાર મહેન્દ્ર મશ‚ને વડાપ્રધાનનો પ્રચાર ફળ્યો ન હતો પરંતુ આ વખતે શરૂઆતથી જ ભાજપ માટે કપરી ગણાતી જૂનાગઢની બેઠક જાળવી રાખવામાં ભાજપને સફળતા મળી છે. ત્યારે જૂનાગઢ માટે વડાપ્રધાનના પ્રવાસને અપસુકનીયાળ બનાવતી પરંપરા નરેન્દ્રભાઈ મોદીના હાથે જ સુખદ રીતે પુરી થઈ જૂની પરંપરા તૂટી ગઈ છે. ત્યારે કહી શકાય કે, રાજેશભાઈ ચુડાસમાનો વિજય ભાજપ માટે સુકનવંતો બની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.