Abtak Media Google News

જગનમોહનના પક્ષના સાંસદને લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની ઓફર કરતી મોદી સરકાર

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ પ્રચંડ લોકસમર્થન સાથે ફરીથી સતા પ્રાપ્ત કરી છે. સંસદના નીચલા સદન લોકસભામા ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી આવી ગઈ છે. પરંતુ ઉપલા સદન રાજયસભામાં ભાજપ પાસે હજુ પણ બહુમતી નતી ગત ટર્મમાં પણ મોદી સરકાર પાસે રાજયસભામાં બહુમતી ન હોય ત્રીપલ તલ્લાક સહિતના અનેક ખરડાઓ પસાર થઈ શકયા નથી. ભાજપની દેશના તમામ રાજયોમાં જે વર્તમાન સ્થિતિ છે. તેને જોતા રાજય સભામાં આગામી ૨૦૨૦ બાદ જ બહુમતી આવે તેવી સંભાવના છે. જેથી ભાજપે તે પહેલા રાજયસભામાં બહુમતી માટે નવા સાથીદારોની તલ્લાસ શરૂ કરી છે. ખાસ કરીને દક્ષિણના રાજયોમાં પગદંડો જમાવવા પણ ભાજપે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં નવા સાથી પક્ષો બનાવવા તજવીજ હાથ ધરી છે.

તાજેતરમાં લોકસભાની સાથે યોજાયેલી આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવનારા વાય.એસ.આર. કોંગ્રેસ પક્ષ પર ભાજપે નજર ઠેરવી છે. વાય.એસ.આર. કોંગ્રેસના લોકસભામાં ૨૨ સાંસદો ચૂંટાયા હોય ભાજપે તેની સાથે મજબુત સંબંધો બનાવવા ઉપરાંત આંધપ્રદેશ સહિતના દક્ષિણના રાજયોમા મજબુત પગદંડો જમાવવા આ પક્ષના વડા અને મુખ્યમંત્રી જગનમોહન રેડીને તેમની સાંસદ માટે લોકસભાનું ડે. સ્પીકર પદ આપવાની ઓફર કરી છે. જયારે, લોકસભા સાથે યોજાયેલી ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી સ્પષ્ટ બહુમતી મેળવનારા બીજુ જનતાદળ સાથે પણ સુમેળભર્યા સંબંધો બનાવીને રાજયસભામાં બહુમતી મેળવવા માટેના પ્રયાસો ભાજપે શરૂ કર્યા છે. બીજુ જનતાદળનાનવીન પટ્ટનાયકે ઓરિસ્સાને વિશેષ રાજયનો દરજજો આપવાની માંગ કરી છે. જેને ટુંક સમયમાં મોદી સરકાર માન્યતા આપે તેવી સંભાવના રાજીકીય વર્તુળોમાં સેવાઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના ૧૭માં લોકસભા કાર્યકાળ માટે ડે. સ્પીકર પદ માટે ભાજપે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસ આરસીપીના પ્રમુખ જગનમોહન રેડ્ડીને તેમના સાંસદ માટે નાયબ સ્પીકર ઓફર કરી છે. હાલમાં વિજયવાડાના સાંસદ અને મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ૨૨ સાંસદોનું સંખ્યા બળ છે. આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે મોદી સરકારની દરખાસ્તને રેડ્ડીએ રાજદ્વારી રીતે સમીક્ષા કરી છે.મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકો તેમના મતદારો હોય અને તેમની લાગણીનું પોતાને સન્માન જાળવવાની જરૂરીયાત હોવાનું રેડ્ડીએ જણાવ્યું હતુ.

જગનમોહન રેડ્ડી અને નરસિંહમા રાવએ દોઢ કલાક સુધી આ અંગે ચર્ચા કરી હતી નરસિંહ રાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ વતી જગનમોહન રેડીને પક્ષને લોકસભાના ડે. સ્પીકર પદની ઓફર કરી રાષ્ટ્રસેવાનું ઈજન આપ્યું હતુ. લોકસભાનું સત્ર સતરમી જૂનથી મળશે. અને તેમાં સ્પીકર અંગેની ચૂંટણી નવા સભ્યોનાં શપથવિધિ બાદ યોજાશે. જગનમોહન ૧૫મી જૂને દિલ્હીની મુલાકાત લેનારા છે. નિતિઆયોગની બેઠકમાં હાજરી આપવાની સાથે સાથે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને સાથેસાથે સરકારની આ ઓફર સ્વીકારતા પહેલા તે પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.