Abtak Media Google News

જરૂર પડે તો સ્વયંભૂ બંધ પાળવા નાગરિકોને સજ્જ કરવા પીએમ નરેન્દ્ર મોદીના પ્રયત્ન

કોરોનાની મહામારીના કારણે વિશ્ર્વ આખુ ચિંતામાં મુકાયું છે. ભયનો માહોલ છે. વિશ્ર્વના ૧૦૦થી વધુ દેશો કોરોના વાયરસનો ભોગ બની ચૂકયા છે. ચીન, ઈટાલી અને ઈરાન જેવા દેશોમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત નિપજી ચુકયા છે અને લાખો લોકો વાયરસથી હજુ પણ સંક્રમીત છે. જેના કારણે મોતની સંખ્યા વધે તેવી દહેશત સેવવામાં આવી રહી છે. આવા સંજોગોમાં ભારતમાં પણ કોરોનાની મહામારીને લઈ વડાપ્રધાન મોદીએ દેશને સજ્જ રહેવા આહવાન કર્યું છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું હતું અને આગામી રવિવારે જનતા કફર્યુ પાડવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગઈકાલે દેશને કરેલા સંબોધનથી એ વાત ફલીત થઈ રહી છે કે આગામી સમયમાં દેશમાં કોરોના વાયરસ સામે મુદ્દે લોકડાઉનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ભવિષ્યમાં દેશમાં નાગરિકો સ્વયંભૂ લોકડાઉન પાડે તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.

5.Friday 1 3

વડાપ્રધાન મોદીએ દેશને એલર્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે આ વાયરસ માનવજાત માટે પડકારરૂપ છે અને તેને હળવાશથી ના લેવું જોઇએ. તેઓએ કહ્યું કે આજની યુવા પેઢીને કદાચ ખબર નહી હોય પણ ભુતકાળમાં જ્યારે યુદ્ધ થતા તે સમયે પુરા શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. આજે બીજા વિશ્ર્વયુદ્ધ જેટલા દેશ પ્રભાવિત નહોતા થયા તેટલા કોરોના વાયરસને કારણે થયા છે. ૧૭૭ દેશોમાં કોરોના વાયરસ ફેલાઇ ચુકયો છે. સંબોધન કરતા કહ્યું કે તમારો આવનારો અમુક સમય જોઇએ છે, અત્યાર સુધી વિજ્ઞાન કોરોનાની મહામારી બચવા માટે કોઇ નિશ્ર્ચિત ઉપાય સુઝાવી શકયુ નથી અને કોઇ દવા પણ બની નથી.

દુનિયામાં જ્યાં કોરોનાનો પ્રભાવ વધારે દેખાય છે ત્યાં અભ્યાસ કરતા એક એવી વાત જણાય છે કે આ દેશોમાં શરૂઆતના અમુક દિવસો બાદ અચાનક બિમારીનો વિસ્ફોટ થયો છે અને કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ખુબ જ ઝડપથી વધી છે. વડાપ્રધાન મોદીનું કાલનું સંબોધન આગામી સમયમાં દેશને લોકડાઉન કરવામાં આવે તે તરફ ઈશારો કરી રહ્યું છે.

સરકાર આ સ્થિતિ પર, આ મહામારીના ફેલાવાના ટ્રેક રેકર્ડ પર નજર રાખીને બેઠી છે. અમુક દેશ એવા પણ છે જેમણે જરૂરી નિર્ણયો કર્યા અને તેમના લોકોને વધુમાં વધુ આઇસોલેટ કરી સ્થિતિને કાબુમાં રાખવાની કોશીશ કરી. આ સંજોગોમાં નાગરીકોની ભૂમિકા ખુબ જ અગત્યની છે. ભારતમાં ૧૩૦ કરોડની આબાદી ધરાવતો દેશ છે અને તેમાં કોરોનાનું સંકટ સામાન્ય વાત નથી. મોટા અને વિકસીત દેશોમાં પણ આ મહામારીનો વ્યાપક પ્રભાવ જોઇ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઇ પ્રભાવ નહી પડે તે માની ન શકાય જેથી કરીને બહાર ફરવું અને માનવું કે આપણને કંઇ જ નહી થાય તો તે વાત તદ્દન ખોટી છે.

મહામારીનો મુકાબલો કરવા માટે સંકલ્પ અને સંયમ અત્યંત જરૂરી ૧૩૦ દેશવાસીઓ અને તેમનો સંકલ્પ વધુ દ્રઢ કરવો પડશે કે આ વૈશ્ર્વિક મહામારી માટે દરેક નાગરીક પોતાની ફરજનું પાલન કરે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના દિશા નિર્દેશોનું સંપૂર્ણપણે પાલન કરે અને એવો સંકલ્પ લઇએ કે સંક્રમીત થવાથી બચીશુ અને બીજાને પણ બચાવીશું. આ પ્રકારની મહામારી એક જ મંત્ર કામ કરે છે આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થ. આવી સ્થિતિમાં જ્યારે બિમારીની કોઇ દવા નથી તો આપણે પોતે સ્વસ્થ રહીએ તે સૌથી પહેલી જરૂરીયાત છે. આ બિમારીથી બચવા અને સ્વસ્થ રહેવા માટે સંયમની પણ ખુબ જ જરૂર છે. ભીડથી બચવુ અને ઘરની બહાર અત્યંત જરૂરી કામ વગર ન નીકળવું.

દરેક દેશવાસીઓને મારો આગ્રહ છે કે આગામી અમુક અઠવાડિયા સુધી જો ખુબ જ જરૂરી કામ હોય તો જ તમે ઘરથી બહાર નીકળશો. જેટલું શકય બને તમે તમારૂ કામ, વ્યવસાય, ઓફિસ-દુકાનની સંભાળ થાય તો તમારે ઘરેથી જ કરો. જે કોઇ સરકારી સેવાઓમાં જનપ્રતિનિધિ કે મીડીયા કર્મી છે તેની સક્રિયતા જરૂરી છે. મોટી ઉંમરના કે પછી ૧૦ વર્ષથી નાના બાળકો આગામી અમુક અઠવાડીયા સુધી ઘરની બહાર ન નીકળે.

બે દેશ પણ એકબીજાની મદદ કરી નથી શકતા ત્યારે આ સંકટમાં તમારૂ યોગદાન આપો. ઉચ્ચ આવક ધરાવતા લોકોને સેવા આપતા લોકોનું માનવતામાં હિત જુઓ. ગરીબ અને મઘ્યમ વર્ગને કોરોનાએ ગંભીર ક્ષતિ પહોંચાડી છે. સંકટના આ સમયને સર્વ વેપારીઓ, ઉચ્ચ આવકવાળા લોકોને અપીલ કરૂ છું કે તેઓ જે લોકો પાસે સેવા લેતા હોય તેમના આર્થિક હિતનું ઘ્યાન રાખો અને સાથે જ માનવીયતા-સંવેદનશીલતા સાથે નિર્ણયો લો.દેશવાસીઓને વડાપ્રધાને આશ્ર્વાસન આપતા જણાવ્યું કે દેશમાં દૂધ, ખાણીપીણી, દવાઓ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની અછત નહીં થાય, સરકાર આ સપ્લાયને કયારેય રોકશે નહી તેથી દેશવાસીઓ આગ્રહ છે કે જરૂરી સામાન સંગ્રહ કરવા માટે દોડધામ ના કરે. નિયમિત રીતે પહેલાની જેમ જ જે તમે ખરીદી કરો તો બીલકુલ પેનીક થયા વગર ખરીદી કરો.

રર માર્ચ, રવિવારના રોજ સવારે ૭ થી રાત્રિના ૯ જનતા કફર્યુ :ઘરની બહાર નીકળવું નહી, જરૂરી ન હોય તેવી સર્જરી ટાળો, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પણ ત્યારે ન જવું. વૈશ્ર્વિક મહામારીનો અર્થવ્યવસ્થા પર પણ વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે ત્યારે આર્થિક પડકારોને ઘ્યાનમાં રાખીને સરકારે નાણામંત્રીના નેતૃત્વમાં એક કોવીડ-૧૯ ઇકોનોમીક રીસ્પોન્સ ટાસ્ક ફોર્સનો નિર્ણય લીધો છે જે દરેક સ્ટેક હોલ્ડર સાથે નિયમિત સંપર્કમાં રહી, ફીડબેક લઇ આવનારા દિવસો માટે નિર્ણય લેશે. રર માર્ચના સાંજના પાંચ વાગ્યે આપણે સૌ પાંચ મીનીટ માટે ઘરની બાલ્કની કે પછી બારી પાસે આવી જે લોકો જેમ કે ડોકટર, જનપ્રતિનિધિત્વ, મીડીયા કર્મીઓ, અન્ય જે આ મહામારીના સમયે મહેનત કરી રહ્યું છે તેના માટે આપણે તાલી વગાડી કે પછી અન્ય કોઇપણ રીતે તેની પ્રશંસા અને તેમના કામગીરીને બિરદાવી.

  • ઇટાલી-સ્પેન સહિત યુરોપિયન દેશોમાં ટપોટપ મોત

ચીન બાદ કોરોના વાયરસનું નવું ઠેકાણુ યુરોપ બની ચૂકયું છે. ઈટાલી અને સ્પેનમાં વાયરસના સંક્રમણના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. ઈટાલીમાં વાયરસના કારણે થયેલા મોતની સંખ્યા ચીનથી વધી ચૂકી છે. આવા સંજોગોમાં યુરોપ બાદ અમેરિકામાં પણ કોરોના વાયરસ તબાહી ન મચાવે તેવો ખૌફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છે. છેલ્લા બે દિવસમાં ઈટાલીમાં કોરાનાના કારણે ૯૦૨ લોકોનો ભોગ લેવાઈ ચૂકયો છે. બુધવારે ૪૭૫ અને ગુરૂવારે ૪૨૭ લોકો કોરોનાના કારણે મોતને ભેટયા હતા. હજુ પણ સંક્રમણની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અત્યારે ઈટાલીમાં ૪૧૦૩૫ સંક્રમણના કેસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત સ્પેનની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે. ઈટાલી અને સ્પેનમાં વાયરસના સંક્રમણ બાદ મોતના કેસમાં સતત વધારો થયો છે. મોર્ટાલીટી રેટ ૩૦ ટકાની નજીક છે. ૨૪ કલાકમાં ૭૬૭ લોકોના મોત સ્પેનમાં થઈ ચૂકયા છે. સ્પેનના મેડ્રીડમાં સૌથી વધુ લોકોને ઈન્ફેકશન લાગ્યું છે. વાયરસથી ટપોટપ થતાં મોતને ટાળવા લોકડાઉન સહિતના પગલા લેવાયા છે.

  • ચીનના કારણે વિશ્ર્વ આખાને ભારે કિંમત ચૂકવવી પડી : ટ્રમ્પ

ઘાતક કોરોના વાયરસની વિગતો ચીને છુપાવી હોવાના કારણે આખુ વિશ્ર્વ મોટી કિંમત ચૂકવી રહ્યું છે તેવો આક્ષેપ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરતા વૈશ્ર્વિક રાજકારણ ગરમાયું છે. વર્તમાન સમયે લગભગ તમામ દેશો કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યાં છે ત્યારે ચીન અને અમેરિકા એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. વિશ્ર્વમાં ૨.૧૦ લાખ લોકો કોરોનાના કારણે માંદગીના બીછાને છે. ૯ હજાર જેટલો લોકોના જીવ કોરોનાના સંક્રમણ બાદ ગયા છે. ઈટાલી, ઈરાનમાં સ્થિતિ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. કોરોનાનું ભારતના દ્વારે પણ આવીને ઉભુ છે ત્યારે સાપ, દેડકા, ચામાચીડીયા સહિતના જીવને જીવતા ખાનાર ચીનાઓના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે ટ્રમ્પે કહ્યું કે, જો બધાયને આ વાતની ખબર પડી હોત તો સ્થિતિ કંઈક અલગ હોત. ત્યાને ત્યાં જ ખતરાને ટાળી શકાયો હોત પરંતુ આખા વિશ્ર્વને બેખબર રાખવામાં આવ્યું હતું. જેના કારણે વાયરસનો ફેલાવો ખુબ ઝડપથી થયો અને હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકયો છે. નોંધનીય છે કે,અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને ચાઈનીઝ વાયરસ કહીને ચીન સામે આક્ષેપ કરી ચૂકયા હતા. હવે ફરીથી તેમણે આ વૈશ્ર્વિક મહામારીનો ચીન તરફ આંગળી ચીંધી છે.

Screenshot 1 32

  • વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓને વીડિયો કોન્ફરન્સથી સંબોધશે

કોરોના વાયરસની મહામારી સામે લડવા દેશ તૈયાર છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ આખા દેશને અપીલ કરી હતી. લોકો પોતાની સુરક્ષા માટે ઘરની બહાર ન નીકળે તેવું આહવાન કર્યું હતું. જનતા કફર્યુનું સુચન પણ આપ્યું હતું. હવે વડાપ્રધાન મોદી આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રીઓને સંબોધન કરશે. તેવો વડાપ્રધાન મોદી રાજ્યોમાં કઈ રીતે પગલા લઈ શકાય તે માટે ચર્ચા થશે. વડાપ્રધાન મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ દેશમાં ક્યાં પ્રકારના પગલા લેવાશે તે અંગેના સુચનોની પણ આપ-લે કરશે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોમાં પોઝીટીવ કેસની સંખ્યા વધી છે ત્યારે રાજ્ય સરકાર મહામારીને રોકવા કેવો ભાવ ભજવી શકે તે અંગે ચર્ચા આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં વકરે નહીં તે માટે કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકાર પણ કદમ થી કદમ મીલાવીને કામ કરે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • વિશ્ર્વમાં લાખો લોકો મોતને ભેટે તેવી દહેશત વ્યક્ત કરતા યુએનના પ્રમુખ

કોરોના વાયરસ અંગે બેદરકારી દાખવવામાં આવશે તો લાખો લોકો મોતને ભેટશે તેવી દહેશત યુએનના પ્રમુખ ઓનટેનીઓ બુટરેશ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, દાવાનળની જેમ આપણે વાયરસને ફેલાવા દઈશું તો લાખો લોકોના મોત નિપજશે. આ તમામ લોકોના હિતની વાત છે. આપણે આ પરિસ્થિતિમાં લડવા માટે તાત્કાલીક પગલા લેવા પડશે. આપણે પોતાની જાતની સ્ટ્રેટેજી ઘડવી પડશે. ધનીક દેશો એમ ન વિચારે કે આ માત્ર તેમના પોતાની નાગરિકોની વાત છે. જી-૨૦ સંગઠન અંદરના દેશોએ આફ્રિકન દેશોની પણ સંભાળ રાખવી જોઈએ. વાયરસના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા વિકાસશીલ દેશોની મદદ પણ વિકસીત દેશોએ કરવી જોઈએ તેવો મત યુએનના પ્રમુખ દ્વારા વ્યકત થયો હતો. તેમણે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડની સાથો સાથ વર્લ્ડ બેંકને પણ મહામારીના કપરા સંજોગોમાં ગરીબ દેશોની સાથે રહેવાની હિમાયત કરી હતી.

  • એક પણ આંતરરાષ્ટ્રીય કોમર્શીયલ ફલાઈટ ભારતમાં લેન્ડ નહીં થાય

ચીનના વુઆનમાંથી ઉભી થયેલી કોરોનાની ભુતાવળ ભારતમાં પણ ધુણવા લાગી છે ત્યારે સાવચેતીના પગલાના ભાગરૂપે આગામી રવિવાર ૨૨મી માર્ચથી એક સપ્તાહ સુધી ભારતે તમામ આંતરરાષ્ટ્રીય કોમર્શીયલ ફલાઈટનો ઉતરાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ભારતમાં કોરોનાના સતત ફેલાવાના પગલે એર લોક ડાઉનનો નિર્ણય કર્યો છે. ભારતમાં દર અઠવાડિયે વિદેશથી નિમિતપણે ૩૦૦ જેટલી કોમર્શીયલ ફલાઈટો આવે છે. ૨૨ માર્ચની મધરાતથી એકપણ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉતારૂઓની ફલાઈટ કોઈપણ વિદેશી એરપોર્ટ પરથી ભારત માટે નહીં ઉડે. ૨૨ થી ૨૯મી માર્ચ સુધીના આ એરલોક ડાઉનનો અમલ ચાલુ રહેશે. ડીજીસીએ ગઈ ગુરુવારે સાંજે તમામ વિમાની કંપનીઓને ભારત અને વિદેશમાંથી આવતા અને ઉડતી કંપનીઓને પત્ર પાઠવી દીધો છે. ભારતમાં આવતી વિદેશી વિમાનોના વધુમાં વધુ ૨૪ કલાકના રૂટવાળી ફલાઈટને આ જાહેરનામામાં આવરી લેવામાં આવી છે. કોરોના ઈફેકટના પગલે કોઈપણ વિદેશી ઉતારુઓને ભારતની ધરતી પર ઉતરવા નહીં દેવાય. આ જાહેરાતના અમલનું ચુસ્ત પાલન કરવામાં આવશે. કોરોનાની પરિસ્થિતિને લઈને સરકારે લીધેલા આ અમલનો ચુસ્ત અમલ કરવામાં આવશે તેમ સરકારે જાહેર કરેલા આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.