Abtak Media Google News

૪૪.૪ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર: ભુજ ૪૪.૨ ડિગ્રી, કંડલા ૪૪.૧, અમરેલી ૪૪ ડિગ્રી અને રાજકોટ ૪૩.૬ ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયા: આજે અને આવતીકાલે હિટવેવની આગાહી

બે દિવસ દરમિયાન રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના: સૂર્ય પ્રકોપથી લોકો ત્રાહિમામ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં સૂર્ય નારાયણ આકાશમાંથી રીતસર અગન વર્ષા કરી રહ્યાં છે. સૂર્ય પ્રકોપથી રાજયવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને ઓળંગી ગયો હતો. રાજકોટમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે રાજયમાં સિવિયર હિટવેવની આગાહી આપવામાં આવી હોય રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. કાળઝાળ ગરમીમાં લોકો સનસ્ટ્રોકનો ભોગ ન બને તે માટે તંત્ર સતર્ક બની ગયું છે.

આ વર્ષે ઉનાળાના આરંભથી આકાશમાંથી સૂર્ય નારાયણ અગન વર્ષા કરી રહ્યાં છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે પખવાડીયા પૂર્વે થયેલા કમોસમી વરસાદના કારણે લોકોને એકાદ સપ્તાહ સુધી ગરમીમાં રાહત મળી હતી. દરમિયાન છેલ્લા પાંચેક દિવસથી સૂર્ય નારાયણ લાલચોળ બની ગયા છે. શુક્રવારે રાજયભરમાં કાતીલ ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર ૪૪.૪ ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું.

આ ઉપરાંત કચ્છના ભુજનું તાપમાન ૪૪.૨ ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન ૪૪.૧ ડિગ્રી અને અમરેલીનું તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના ચાર શહેરોમાં શુક્રવારે પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજકોટનું મહત્તમ તાપમાન ગઈકાલે ૪૩.૬ ડિગ્રી, જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી અને ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે હિટવેવની આગાહી આપવામાં આવી છે.

એટલે કે, તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે જયારે રાજયની આર્થિક રાજધાની અમદાવાદમાં રવિવારે અને સોમવારના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય. પારો ૪૫ ડિગ્રીને પાર થાય તેવી પ્રબળ સંભાવના છે.સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અંગ દઝાડતા તડકા પડે છે. જયારે મોડી રાત્રી સુધી લુ નો અનુભવ થાય છે. સતત ગરમીના પ્રકોપથી લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે.

આ વર્ષે ઉનાળો પાછલા તમામ રેકોર્ડ તોડે તેવી શકયતા જણાય રહી છે. હિટવેવની સ્થિતિમાં લોકોને બપોરના સમયે કામ સીવાય ઘરની બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. સનસ્ટ્રોકથી બચવા શકય તેટલી માત્રામાં વધુ પાણી પીવુ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.આગામી દિવસોમાં રાજયભરમાં તાપમાનનો પારો હજુ ઉંચકાઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.