Abtak Media Google News

તરલતા, રેરા સહિતનાં અનેકવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરાય: ક્રેડાઈનાં નેશનલ ચેરમેન  અને સેવી ગ્રુપનાં જક્ષય શાહ રહ્યા ઉપસ્થિત

આવનારા પાંચ વર્ષમાં દેશભરમાં પેન્ડિંગ પડેલા પ્રોજેકટોને પૂર્ણ કરવા માટે ૧૦ હજાર કરોડનું સ્ટ્રેસ ફંડ આપવા નાણામંત્રીએ સહાનુભુતી દાખવી

હાલ ભારત દેશની અર્થવ્યવસ્થાની હાલત ખુબ જ કફોડી બની હોય તેવું લાગી રહ્યું છે. અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અનેકવિધ મુદાઓને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીનું ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર હોવું જોઈએ તે ઉદેશ્યને ચરિતાર્થ કરવા માટે કયાં પ્રકારનાં પગલા લેવા તે દિશામાં સરકાર હાલ વિચારી રહી છે ત્યારે ભારત દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રીયલ એસ્ટેટ ડેવલોપર્સ અને ઘર ખરીદનારાઓ સાથે મિટીંગ યોજી હતી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓને કેવી રીતે દુર કરવું તે દિશામાં ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્રેડાઈ નેશનલ ચેરમેન અને સેવી ગ્રુપનાં જક્ષયભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ડેવલોપર્સને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા પણ કરી હતી.

હાલ દેશની અનેકવિધ ઈન્ડસ્ટ્રીઝની હાલત ખરાબ હોવાનાં કારણે તેની માઠી અસર રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ પડી રહી છે ત્યારે મુખ્ય પ્રશ્ર્ન એ ઉદભવિત થઈ રહ્યો છે કે, મોદી સરકારનું જે ઘરનાં ઘરનું સ્વપ્ન છે તેને રીયલ એસ્ટેટ ડેવલોપર્સ કઈ રીતે પૂર્ણ કરી શકશે. બીજો મુખ્ય મુદ્દો એ પણ ઉદભવિત થયો હતો કે, રેરા આવવાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને શું ફાયદો થયો છે. બિલ્ડરોને રેરામાં અનેકવિધ પ્રકારે હાલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રેરા કાયદામાં કેવા ફેરબદલ કે સુધારાઓ લાવવા જોઈએ તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. રિયલ એસ્ટેટ ક્ષેત્રે વ્યાજ ખાધ શું ભાગ ભજવે છે તે પણ એક મહત્વનો મુદ્દો ચર્ચાયો હતો. આ તમામ મુદાની સાથોસાથ તરલતામાં વધારો ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામને સ્ટોલ્ડ પ્રોજેકટ અંગે મુખ્યત્વે મીટીંગ યોજી હોવાનું સામે આવે છે. ત્યારે રીયલ એસ્ટેટ ડેવલોપર્સે નાણામંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેમનાં માત્ર સ્ટ્રેસફંડનું નિર્માણ કરવામાં આવે. આ જ સુજાવ ઘર ખરીદનારાઓ દ્વારા પણ આપવામાં આવ્યો હતો. બેઠકમાં ટેકસીસ અને હાલ બજારમાં તરલતાનો મુદ્દો ઉદભવિત થયો છે તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે દિશામાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જો તરલતા બજારમાં વધશે તો રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વૃદ્ધિ જોવા મળશે અને જે જીડીપી ગ્રોથ માટે મોદી સરકારે સ્વપ્ન જોયેલું છે તે પણ પૂર્ણ થશે અને સાથો સાથ રોજગારીની તકો પણ ઉભી થશે.

વધુમાં ક્રેડાઈનાં નેશનલ પ્રેસીડેન્ટ જક્ષેય શાહે રિયલ એસ્ટેટ ક્ષેત્રને શ્ર્વાસ લેતું કરવા અનેક મુદાઓ પર ચર્ચા પણ કરી હતી. આ તકે જક્ષયભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નાણામંત્રી સાથેની બેઠકમાં તરલતાનો મુદ્દો અને નિયમ સમયમાં ઘર ખરીદનારાઓને ખરનું પઝેશન સોંપવા માટેનાં મુદાઓ ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી તથા લેગેસી ઈસ્યુમાં રેરાને માન્યતા આપવાની પણ વાત કરવામાં આવી હતી. નાણામંત્રી સાથેની બેઠકમાં રેન્ટલ હાઉસીંગ સ્કિમને દેશમાં લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થતાની પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આવનારા પાંચ વર્ષમાં સ્ટ્રેસ ફંડ ઉભું કરી ભારતભરમાં બાકી રહેલા રિયલ એસ્ટેટ પ્રોજેકટોને પૂર્ણ કરવામાં આવશે જે માટે અંદાજીત ૧૦ હજાર કરોડ ‚પિયાની સહાય કરવાની પણ જાહેરાત કરવામાં આવી હોય તેમ સુત્રો દ્વારા માહિતી મળી રહી છે. સાથોસાથ પીપીપી ધોરણ હેઠળ બાકી રહેતા પ્રોજેકટોને પૂર્ણ કરવાની વાત મિટીંગ દરમિયાન કરવામાં આવી હતી.

અંતમાં એફપીસીઈ એટલે કે ફોરમ ફોર પીપલ્સ કલેકટીવ એફોર્ડસ દ્વારા જીએસટીનો દર અંડર ક્ધટ્રકશન પ્રોપર્ટી માટે ૮ ટકા ઈનપુટ ટેકસ ક્રેડીટ સાથે રાખવાની ભલામણ પણ કરી હતી. આ તકે ફોરમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આઈટીસી ઈનપુટ ટેકસ ક્રેડીટ વધતાં ગ્રાહકો પર ટેકસનું ભારણ વધી રહ્યું છે જેનાં કારણે ઘર ખરીદવામાં તેઓને અનેકગણી તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.