Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાં નેતાઓ ઉપસ્થિત: નવા સંગઠન માળખા અને મંત્રી મંડળનાં વિસ્તરણનાં મુદ્દે પણ ચર્ચાની સંભાવના

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૧૦ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર માસમાં સંભવિત પેટાચુંટણી યોજાય તેવા સંકેતો રાજય ચુંટણી પંચ દ્વારા આપી દેવામાં આવ્યા છે. ભાજપે ચુંટણીની તૈયારીઓ પણ આરંભી દીધી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં પેટાચુંટણી, નવા સંગઠન માળખા અને મંત્રી મંડળનાં વિસ્તરણ સહિતનાં મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાઈ રહી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ચાલી રહેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ મહામંત્રીઓ, કોર કમિટીના સભ્યો અને પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજયસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસનાં ૮ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા જે પૈકી ૫ ધારાસભ્યોએ શનિવારે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. સોમા ગાંડા, પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતે કેસરીયા કર્યા નથી. ગત સપ્તાહે રાજય ચુંટણીપંચ દ્વારા એવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે, રાજયમાં ખાલી પડેલી વિધાનસભાની ૧૦ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર માસમાં પેટાચુંટણી યોજાશે જયારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચુંટણી પણ સમયસર જ યોજાશે. સત્તાધારી પક્ષ ભાજપે ચુંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.

આજે સવારે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક બેઠક ચાલી રહી છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. આ બેઠકમાં વિધાનસભાની ૧૦ બેઠકો માટે આગામી દિવસોમાં યોજાનારી પેટાચુંટણી તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપનાં સંગઠન માળખાની નવી રચના કરવા માટેનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે પરંતુ એક યા બીજા કારણોસર નવા સંગઠન માળખાની નિમણુક સતત પાછી ઠેલાઈ રહી છે. પેટાચુંટણીની ચર્ચા સાથે નવા સંગઠન માળખાની પણ ચર્ચાઓ કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. પેટાચુંટણીનાં આડે હવે ગણતરીનાં જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે એક શકયતા એ પણ ચાલી રહી છે કે, વર્તમાન સંગઠન માળખાને પેટાચુંટણી અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજયની ચુંટણી સુધી યથાવત રાખવામાં આવે જો સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવશે તો તે આગામી એકાદ પખવાડિયામાં જાહેર કરી દેવામાં આવે તેવી પણ શકયતા હાલ નકારી શકાતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસનો સાથ છોડી ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેનાર ૮ પૈકી ૫ ધારાસભ્યોએ શનિવારે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે જેમાં બ્રિજેશ મેરજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી.કાકડીયા, અક્ષય પટેલ, જીતુભાઈ ચૌધરીએ ભાજપમાં જોડાઈ ગયા છે તો બીજી તરફ પક્ષમાં જ આંતરીક અસંતોષ હોવાનાં કારણે સોમા ગાંડા, પ્રવિણ મારુ અને મંગળ ગાવિતને ભાજપે હાલ કેસરીયા કરાવ્યા નથી. પેટાચુંટણીમાં જો કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યને ટીકીટ આપવામાં આવશે તો પક્ષમાં અસંતોષની આગ ચરમસીમાએ પહોંચી જાય તેવી પણ સંભાવના હાલ નકારી શકાતી નથી. હાલ આ તમામ મુદાઓ પર આજે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થાય તેવી સંભાવના જણાઈ રહી છે.

નવા સંગઠન માળખાને લઈને પણ લાંબાસમયથી ચાલી આવતી ખેંચતાણનો આજે અંત આવે તેવું લાગી રહ્યું છે જો સંગઠન માળખામાં હાલ કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો સ્થાનિક સ્વરાજયની ચુંટણીનાં પરીણામ બાદ નવા હોદેદારોની વરણી કરવામાં આવશે બીજી તરફ મંત્રી મંડળનાં વિસ્તરણની વાતો પણ ચાલી રહી છે જેના અંગે પણ આજે બેઠકમાં ચર્ચા થાય તેવું જણાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પેટાચુંટણી, પક્ષનાં વિવિધ કાર્યક્રમો, સ્થાનિક સ્વરાજયની ચુંટણી આવી રહી છે ત્યારે ભાજપની આજની બેઠક ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.