Abtak Media Google News

હાલની પ્રવર્તમાન સ્‍થિતિને અનુલક્ષીને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોરે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ ની પેટા કલમ-૧ તથા કલમ-૩ તેમજ કલમ-૩૩ની સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડી નીચે મુજબની કાર્યવાહી પર પ્રતિબંધ ફરમાવેલ છે.

સમગ્ર અમરેલી જિલ્‍લાના વિસ્‍તારમાં તા.૩૦-૦૬-૨૦૧૮ થી તા.૧૪-૦૭-૨૦૧૮ સુધી (બન્ને દિવસો સહિત) કોઇપણ ઇસમે શસ્‍ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્‍પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ક્ષયધર્મી અથવા સ્‍ફોટક પદાર્થ અથવા પથ્થરો-બીજા શસ્‍ત્રો અથવા તે શસ્‍ત્રો ફેંકવા-નાખવાના યંત્રો સાથે ઘર બહાર નીકળવું નહિ કે એકઠા કરવા કે તૈયાર કરવા નહિ. કોઇ આકૃત્તિઓ અથવા પુતળા દેખાડવા નહીં અને બૂમો પાડવી નહી, ગીતો ગાવાની તેમજ વાદ્ય વગાડવા પર મનાઇ ફરમાવેલ છે.

છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાથી અથવા નકલ કરવાની-ચિત્રો નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્‍તુ તૈયાર કરવાથી, દેખાડવાથી-તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીશ્રીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અને તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની-દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની પણ મનાઇ ફરમાવેલ છે.

ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી-અર્ધસરકારી કર્મચારી-અધિકારીઓને તેમજ શારીરિક રીતે અશક્ત હોય અને લાકડી-લાઠી લઇને ફરવું જરૂરી હોય તેમને તેમજ લગ્‍નના વરઘોડા કે સ્‍મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ.

વધુમાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ની પેટા કલમ-૩ તથા કલમ-૩૩ હેઠળ તા.૩૦-૦૬-૨૦૧૮ થી તા.૧૪-૦૭-૨૦૧૮ સુધી (બન્ને દિવસો સહિત), અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારની અંદર સંબંધિત સબ ડિવિઝનલ મેજી.-તાલુકા એક્ઝીક્યુટિવ મેજી.ની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય કોઇ સભામંડળી ભરવાની કે સરઘસ કાઢવાની અથવા લાઉડ સ્‍પીકર વગાડવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

જાહેરનામાનું ઉલ્‍લંઘન કરનાર કે ઉલ્‍લંઘનમાં મદદરૂપ થનાર શખ્‍સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ની જોગવાઇ મુજબ દંડને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.