Abtak Media Google News

શાહદોલના એસપીને ઉજ્જૈનના નવા એસપી તરીકેની નિયુક્તિ અપાઈ: શિવરાજ સરકારે ઝડપી તપાસ ચલાવવા કર્યો આદેશ

બાર જ્યોતિર્લિંગ પૈકીના મહાકાળ જ્યોતિર્લિંગનું હિન્દૂ ધર્મમાં અનોખું મહત્વ છે અને મહાકાળના જ અંશ કાળભૈરવ કે જેમને પ્રસાદીમાં શરાબ ધરીને પ્રસન્ન કરવાની માન્યતા છે. આથી જ મધ્યપ્રદેશની દેવોની નગરી સમાન ઉજ્જૈનમાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે. શરાબના શોખીનોએ ઝેરી પ્રકારનો જીંજર દારૂ ઢીંચવાના કારણે એકસાથે ૧૩ના મોત થતાં તંત્રમાં દોડધામ મચી છે.

મધ્યપ્રદેશમાં અનેકવિધ ધાર્મિક સ્થળો આવેલા છે તેમાં પણ ખાસ જ્યોતિર્લિંગ મહાકાળની ભૂમિ ઉજ્જૈનનું અનોખું મહત્વ છે. દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ મહાકાલ અને કાલભૈરવના દર્શનાર્થે આવતા હોય છે. કાળભૈરવ મહાકાલના જ અંશ છે. અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ પ્રકારનો પ્રસાદ ધરી ભોગ ચડાવવામાં આવે છે. તેવી જ રીતે કાલભૈરવને ગુલાબના આથાવાળો સુગંધિત દારૂ ચડાવવાનો રિવાજ છે. સ્થાનિક ધોરણે ગુલાબના આથાવાળો સુગંધિત દારૂ કાલભૈરવને ખૂબ પસંદ હોય તેવી ધાર્મિક માન્યતા છે. આ તમામ બાબતોને કારણે મધ્યપ્રદેશમાં  દારૂનું વેચાણ અને સેવન પણ વધુ છે.

ઉજ્જૈનમાં ઝેરી જીંજર દારૂ દિનચી જતાં ૧૩ના મોત નિપજ્યા હતા. જેથી તંત્રમાં દોડધામ મચી છે. જેના પગલે આગાઉ બે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ હવે ઉજ્જૈનના પોલીસ વડા મનોજ સિંહ અને એએસપી રૂપેશ દ્વિવેદીનું ટ્રાન્સફર તેમજ એસપી રજનીશ કશ્યપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજેશ રાજોરા સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડની તપાસ માટે ગઠન કરાયેલી એસઆઈટીનું નિર્દેશન પણ રાજેશ રાજોરા કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ એસપી મનોજ સિંહની જગ્યાએ શાહદોલના એસપી સત્યેનદ્રકુમાર શુક્લાની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે પીટીએસ વિભાગ – ઇન્દોરના એસપી અવધેશ ગોસ્વામીની શાહદોલ એસપી તરીકે નિમણુંક કરવામાં આવી છે. એસપી મનોજ સિંઘની એઆઈજી પોલીસ હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ બાબત છે કે, મુખ્ય આરોપીઓમાં ઉજ્જૈન નગરપાલિકાના કર્મચારીઓ છે. જેમાં કુલ ત્રણ યુનુસ, ગબબર અને સિકંદરનો સમાવેશ થાય છે. જીંજર નામનો ઝેરી દારૂ ઢીંચતા કુલ ૧૨ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે વધુ એક શરાબના શોખીનનું મોત સારવાર દરમિયાન થયું હતું.

આ તમામ મામલામાં ઝડપી કાર્યવાહી થાય અને આરોપીઓ ઝડપથી પકડાય તે હેતુસર ચૌહાણ સરકાર ચિંતિત હોય અને તે જ ઉદેશ્યથી તાત્કાલિક અસરે બદલી કરીને ચૌહાણ સરકારે ઝડપી તપાસ ચલાવવા આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.