Abtak Media Google News

ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદા સામે સરકાર પક્ષે હાઇકોર્ટમાં દાખલ થયેલી અપીલની સુનાવણી પુરી થતા ત્રણને સજા ફટકારી: સુપ્રીમમાં અપીલમાં જવા માટે ૪૫ દિવસનો સમય અપાયો: ૧૪ વર્ષ પુર્વેના કેસમાં ઐતિહાસીક ચુકાદાથી રાજકીય ખળભળાટ

ગોંડલમાં ૧૪ વર્ષ પહેલાં નિલેશ રૈયાણીની થયેલી હત્યાના ગુનામાં ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ૧૫ સામે હાઇકોર્ટમાં થયેલી અપીલની સુનાવણી પુરી થતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા જયરાજસિંહ જાડેજા સહિત ત્રણને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. અને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવવામાં આવેલા સમીર પઠાણને નિદોર્ષ ઠરાવી છોડી મુકવા હુકમ કરતા ચુકાદાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સજાના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવા માટે  ૪૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.ગોંડલના નિલેશ રૈયાણીની ગોંડલના જેસીંગ કાળા ચોકમાં ગત તા.૮-૨-૨૦૦૪ના રાત્રે ફાયરિંગ કરી કરાયેલી હત્યા કેસમાં રાજકોટ ‚રલ પોલીસે ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ૧૬ની ધરપકડ કરી હતી. લાંબો સમય સુધી રાજકોટ જેલ હવાલે રહેલા જયરાજસિંહ જાડેજા સહિત ૧૬ સામેના કેસની રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન લાંબી કાનૂની લડાયના અંતે ૨૦૧૦માં સેશન્જ જજ ડી.ડી.રાજપૂતે સમીર પઠાણને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી અને અન્યને શંકાનો લાભ આપી છુટકારો કર્યો હતો.સેશન્સ કોર્ટના ચુકાદા બાદ સરકાર પક્ષે અને મુળ ફરિયાદી દ્વારા હાઇકોર્ટમાં ૨૦૧૧માં અપીલ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ તકસીરવાન સમીર પઠાણે પોતે નિર્દોષ હોવાનું જણાવી સજા રદ કરવા અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ વૈષ્ણવ અને કુરેશી સમક્ષ સુનાવણી પુરી થતા ખુલતી કોર્ટમાં સમીર પઠાણને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો જ્યારે ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા અને અમરજીતસિંહ અનિ‚ધ્ધસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો.વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ આવનાર છે ત્યારે હાઇકોર્ટના ચુકાદા રાજકીય ભૂકંપ આવ્યો છે. અને ગોંડલ મત વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિવિધ અટકળો સાથે સોગઠા ગોઠવી ર્હ્યા છે.

ગોંડલની રાજવાડી જમીન વિવાદના કારણે ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ રાણાની થયેલી હત્યાના પગલે ગોંડલ પંથકમાં પટેલ અને દરબારો વચ્ચે વૈમનશ્ય થતા રાજકોટ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ વિનુ શિંગાળાની હ્ત્યા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો. ગત તા.૮-૨-૨૦૦૪ના રોજ રાજકોટથી કારમાં વિનુ શિંગાળા, રામજી મારકણા, નિલેશ રૈયાણી અને જયેશ ઉર્ફે પાંચો મુળજી સાટોડીયા ગોંડલ આવી રહ્યાની માહિતી મળતા તેનો પીછો કરી ગોંડલના જેસીંગ કાળા ચોકમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જયંતી સવજી ઢોલ, અમરજીતસિંહ અનિ‚ધ્ધસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત પ્રવિણસિંહ રાણા, જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ બળવંતસિંહ જાડેજા, સમીર સિરાજ પઠાણ, અશોક છગન કુંભાણી, અમરસિંહ હઠુભા જાડેજા, સહદેવસિંહ બહાદુરસિંહ સરવૈયા, પ્રદ્યુમનસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, વિરમદેવસિંહ નોંધુભા જાડેજા, શિવભદ્રસિંહ ગીરીરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ સાવજુભા ઝાલા, અશોક ભીખુ પીપળીયા અને રતિલાલ ગોરધન હીરપરાએ કારને આતરી ફાયરિંગ કરી ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. વિનુ શિંગાળા રાજકોટ જ રોકાય ગયા હતો ગોળી લાગવાથી નિલેષ રૈયાણીનું મોત નીપજ્યું હતું અને રામજી મારકણા ઘવાયેલી હાલતમાં પોતાનો જીવ બચાવી ભાગી છુટયો હતો.રાજકોટ ‚રલ પોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. રાજકોટની સેશન્સ કોર્ટમાં તમામ સામેના કેસની સુનાવણી પુરી થતા સમીર પઠાણને સજા ફટકારી હતી અને અન્યને શંકા લાભ આપી છુટકારો કર્યા બાદ થયેલી અપીલની સુનાવણીના અંતે ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાણા અને અમરજીતસિંહ અનિ‚ધ્ધસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી જેલમાં સરન્ડર થવા હુકમ કર્યો છે. મુળ ફરિયાદી જયેશ ઉર્ફે પાંચો મુળજી સાટોડીયા વતી એડવોકેટ તરીકે પ્રકાશ ઠક્કર અને સુરેશ ફળદુ રોકાયા હતા.

૧૪ વર્ષ જેલમાં રહ્યા બાદ સમીર પઠાણ નિર્દોષ ઠર્યો

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાડનાર નિલેશ રૈયાણી હત્યા કેસમાં ૨૦૦૪થી જેલ હવાલે થયેલા સમીર પઠાણને રાજકોટ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તેની સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં સુનાવણી પુરી થતા સમીર પઠાણની અપીલ ગ્રાહ્ય રાખી નિર્દોષ છુટકારો કરતા છેલ્લા ૧૪ વર્ષથી જેલમાં રહેલા સમીર પઠાણ નિર્દોષ ઠર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.