Abtak Media Google News

પર્યાવરણ રક્ષાના કાર્યમાં સહયોગ આપવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ચેરમેન ડો. વલ્લભ કથીરીયાની જાહેર અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના છેલ્લા ’મન કી બાત’ કાર્યક્રમની શ્રૃંખલામાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા અંગે દેશની જનતાને આહવાન કર્યુ હતું. માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ આહવાનને સ્વીકારી ’રાષ્ટ્રીય કામધેનુ આયોગે’ વર્ષે ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન, પૂજન માટે અભિયાનરૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રીના ’આત્મ નિર્ભર’ ભારત અને અમેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને ધ્યાનમાં રાખી આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા-મહિલા ઉદ્યમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝની મૂર્તિઓ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાવા આગ્રહ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ વિગતો જણાવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીથી શરૂઆત કરી રાજકીય, સામાજીક અગ્રણીઓ, ધર્મ-સંપ્રદાયના વડાઓ અને પ્રતિષ્ઠિત સેલીબ્રીટીઓને આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.

વર્તમાનમાં કોરોનાના સંક્રમણ કાળમાં સૌ પોતપોતાના ઘરમાં ગોબરગોમયમાંથી બનાવેલા ગણપતિજીનું સ્થાપન કરી પૂજન અર્ચન કરી. ગણપતિ ઉત્સવ મનાવે. સાથે જયારે વિસર્જન કરવામાં આવે ત્યારે ઘરના જ વૃક્ષો છોડ માટે ખાતર તરીકે ઉપયોગ કરે. ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે, ગોમય-ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણ રક્ષા થશે. પી.ઓ.પી. થી થતુ પ્રદૂષણ અટકશે. ઘરમાં ગોબરના રાખવાથી નુકશાનકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ થશે. ઘરમાં પવિત્રતા રહેશે. ’ગોમયે વસતે લક્ષ્મી મુજબ ઘરમાં સમૃદ્ધિ વધશે. ભગવાન શ્રી ગણેશજીના આર્શીવાદ પ્રાપ્ત થશે. અને વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવામહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો ઉદ્દેશ સિધ્ધ થશે. જનતા જનાર્દનને આ અભિયાનમાં તન-મન-ધનથી જોડાવા આગ્રહ કરી રાષ્ટ્રીય કામધેનુ આયોગના જન અભિયાનને સાર્થક કરવા ડો. વલ્લભભાઈ કથીરીયાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.