Abtak Media Google News

હત્યાના બનાવને પગલે પંથકમાં ચકચાર: આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

હળવદના રણછોડગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં મજુરી કામ કરતા આધેડને ગતમોડી રાત્રે કવાડાના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ડીવાયએસપી બન્નો જોષી સહિત હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ હત્યાનો ગુનો નોંધી બનાવ સંદર્ભે હળવદ પોલીસે હત્યાની સઘન તપાસ હાથધરી છે. જયારે મૃતકની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડાયો છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ લક્ષમણભાઈ મોહનભાઈ પટેલ (રહે.સમલી)વાળાની વાડીએ મજુરી કામ કરતા આધેડ માવુભાઈ લાલુભાઈ પઢિયાર (રાજપુત) (રહે.ચરાડવા, ઉ.વ.૬૫)ને ગત મોડી રાત્રીએ કવાડાના ત્રણ થી ચાર ઘા મારી મોઢું છુંદી નાખી કરપીણ હત્યા નિપજાવતા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ બનાવની જાણ થતા ડીવાયએસપી બન્નો જોષી, પી.આઈ એમ.આર.સોલંકી, હે.કો.વસંતભાઈ વઘેરા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વાડીમાં રહેલ વિવિધ ઓરડાની તપાસ ચલાવી રહ્યા છે. મૃતક આધેડની હત્યામાં વપરાયેલ હથિયારનો કબજા લઈ મૃતકની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

વધુમાં મળતી વિગતો મુજબ મૃતક માવુભાઈ લાલુભાઈ રણછોડગઢની સીમ વિસ્તારમાં આવેલ લક્ષમણભાઈની વાડીએ મજુરી કામ કરતા હતા તે દરમિયાન આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જયારે બીજી તરફ જાણકાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મજુરીકામ કરતા પરપ્રાંતિય મજુરો પણ સામાન મુકીને રાત્રીના ગુમ થઈ ગયા હોવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

તો અજાણ્યા ઈસમો હત્યા કરીને ફરાર થયા હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે. હળવદના નાના એવા ગામમાં હત્યાના બનાવને પગલે ચકચાર મચી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ આદરી છે. તેમજ વૃદ્ધની હત્યાનું કારણ શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.