Abtak Media Google News

ટોરેન્ટ ગેસના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરતા ઉપમુખ્યમંત્રીની વાત પ્રજાને દિવા સ્વપ્ત જેવી દેખાઈ છે.

ટોરેન્ટ ગેસ દ્વારા જીલ્લામાં ૪૫ સીએનજીસ્ટ્રે શરૂ કરાશે

જુનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં ગેસ વિતરણ પ્રોજેકટનું ગઈકાલે ડેપ્યુટી સીએમ નિતીન પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના ૬૫ જેટલા શહેરોમાં નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન મોદીએ આ પ્રોજેકટને લીલીઝંડી આપી હતી. આ ૬૫ શહેરોમાં ગુજરાતના પણ આઠ શહેરો હોય નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જુનાગઢ ખાતે આ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ અંગે વિસ્તૃત વિગત અનુસાર ગઈકાલે જુનાગઢના કૃષિ યુનિ.ના સરદાર પટેલ સભાગૃહ ખાતેથી ઉપમુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં ટોરેન્ટ ગેસ અને પેટ્રોલિયમ દ્વારા જુનાગઢમાં પાઈપ લાઈનથી ગેસ વિસ્તરણના પ્રોજેકટનું ખાતમુહૂર્ત થયું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત કુદરતી ગેસના વપરાશમાં વૈશ્વિક કક્ષાએ હરીફાઈ કરી રહ્યું છે. સમગ્ર દેશમાં ગેસની ખપત ૬ ટકા છે. જયારે ગુજરાતમાં ૨૬ ટકા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં શહેરી ગેસ વિતરણની વિકાસલક્ષી કામગીરી આગળ ધપાવી છે ત્યારે ગુજરાતમાં પણ ૧૦માં તબકકાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ વિતરણ અને વપરાશ વધારી પ્રદુષણ મુકત ભારત અભિયાનમાં આગેવાની લેશે.

નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટની કામગીરી ટોરેન્ટ ગેસને સોંપવામાં આવે છે. પારદર્શક પ્રક્રિયાથી આ કામ આગળ ધપી રહ્યું છે.આજે જુનાગઢ સહિત ગુજરાતના આઠ શહેરોમાં પાઈપલાઈન મારફતે ગેસ વિતરણ પ્રોજેકટ શરૂ થઈ જવા રહ્યો છે. આગામી બે વર્ષમાં ૭૭ હજાર ઘરોમાં પાઈપલાઈન મારફતે ગેસ મળતો થઈ જશે.

જેમ નળ શરૂ કરતા પાણી આવે છે તે રીતે જુનાગઢ શહેરમાં પણ ગેસ મળતો થશે. રાજય સરકારની વિકાસની રાજનીતિથી આવેલા ફળદાયી પરીણામોનો ઉલ્લેખ કરીને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, જુનાગઢ પ્રવાસન અને તીર્થધામ છે. ગીરનાર વિસ્તારમાં પ્રવાસન વિકાસના હાલ પ્રોજેકટ ચાલુ છે. વિકાસયાત્રા આગળ ધપતા શહેર જીલ્લામાં ડોમેસ્ટીક અને ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેસ પણ પાઈપલાઈન મારફતે વિતરણ થશે.

વાહનોમાં સીએનજી વપરાશ વધશે. જુનાગઢ શહેર જીલ્લામાં ૪૫ સીએનજી સ્ટેશન શરૂ કરવામાં આવશે. મનપા રાજય સરકાર અને ટોરેન્ટ ગેસ સંયુકત મળીને આ પ્રોજેકટ વહેલાસર પૂર્ણ કરશે તેવી પ્રતિબઘ્ધતા વ્યકત કરી હતી. જો કે મનપાના ૧૫ વર્ષ જેવા શાસનકાળ પછી પણ જુનાગઢને ઘરે-ઘરે પાણી વિતરણ વ્યવસ્થા નથી ત્યારે આ ગેસ વિતરણ વ્યવસ્થાની વાત પ્રજાને દિવા સ્વપ્ન જેવી દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.