Abtak Media Google News

દર્દીઓને સુવિધાને બદલે મળે છે દુવિધા: નબળા મેનેજમેન્ટનાં કારણે દર્દીઓને માર્ગદર્શન પણ નથી મળતુ

અનેક વાદ વિવાદો અને અંતરાયોને પાર કરી આખરે જુનાગઢની સીવીલ હોસ્પિટલ સરકારે બનાવેલા નવા અદ્યતન બિલ્ડીંગમાં ફેરવાઈ ગઈ છે. કેટલાય કહેવાતા આગેવાનો પહેલા સીવીલ હોસ્પિટલ ન ફેરવવા મેદાનમાં આવ્યા બાદમાં પોત પોતાના મંતવ્યો લઈને જુની સીવીલ હોસ્પિટલ માટે ખાલી પડેલી જગ્યાનો શું ઉપયોગ કરવો તે પોતપોતાની બુદ્ધિક્ષમતા મુજબ મંતવ્યો આપ્યા પરંતુ સીવીલ હોસ્પિટલ ખસેડાયા પછી ત્યાં શું ચાલે છે તે જોવા જવાની કોઈને ફુરસત ન મળી આ જોઈ જુનાગઢનો બુદ્ધિજીવી નાગરીક દુ:ખની લાગણી અનુભવી રહ્યો છે. નવી સીવીલ હોસ્પિટલનું મેનેજમેન્ટ રીતસર લબાડ માણસોના હાથમાં આપી દીધું છે.

આ અંગે વધુ વિગતો અનુસાર તાજેતરમાં સરકારે કરેલા વિકાસના દાવા સાથે અબજો ‚પિયાના ખર્ચે જુનાગઢને અદ્યતન મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ આપ્યા ત્યારે જુનાગઢના નાગરીકને રીતસર હાશકારો થયો હતો હવે જુનાગઢથી સારી સારવાર લેવા અનેક કિ.મી.નો ધકકો નહીં થાય તેવું તેને માની લીધું હતું. જુનાગઢ સીવીલ હોસ્પિટલના સતાવાળાઓને લગભગ આ અસુવિધાઓની સાથે કંઈ લાગતુ વળગતુ ન હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દરેકને લાગી રહ્યું છે. અદ્યતન વિશાળ ભવનોના નિર્માણ કરી શાસકો અને સતાવાળાઓ પોતાને માટીયાળા માની બેઠા છે પરંતુ આ નિર્માણ બાદ તેના નિભાવમાં રીતસર મીડું દેખાઈ રહ્યું છે. અબજો ‚પિયાના ખર્ચે તૈયાર થયેલા આ ભવનમાં આજે કદાચ અભણ વ્યકિત સારવાર લેવા જાય તો તે ભુલો પડી જાય તેમ છે. બિમાર વ્યકિત અને તેના સ્વજનની માનસિક હાલત કેવી હોય તે ડોકટર કક્ષાના વ્યકિતથી વધારે કોઈ ના સમજી શકવું જોઈએ પરંતુ અહીં ચિત્ર ઉંધુ દેખાઈ રહ્યું છે. આ સંસ્થામાં મેનેજમેન્ટ કરતા ડોકટર કક્ષાના વ્યકિતઓ અંગુઠાછાપ વ્યકિત નિર્ણય લે તેના કરતા પણ આડેધડ નિર્ણયો લઈ સીવીલ હોસ્પિટલ એવી રીતે તો ફેરની કે આજે અહીં સારવાર લેવા આવનાર વ્યકિત અને તેના સ્વજન માટે ભારોભાર સમસ્યાઓ સર્જાઈ રહી છે. અનેક વિભાગોની આ હોસ્પિટલમાં સામાન્ય અને અભણ વ્યકિત સમજી શકે તેવું માર્ગદર્શનવાળુ એક પણ સાઈન બોર્ડ નથી અસંખ્ય અને અનેક વિભાગોની આ હોસ્પિટલમાં બહારથી આવનારી દર્દી કે તેના સગાને માર્ગદર્શન આપી શકે તેવું એક પણ ટેબલ નથી.

આંગળીના વેઠે ગણી શકાય તેટલા આ સીવીલ હોસ્પિટલના કર્તા હર્તા અને સમા હર્તાઓ જ આને નુકસાન કરતા હોય તેવું બુદ્ધિજીવીઓને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે સુવિધાઓ જીલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલમાં હોવી જોઈએ તેમાની એક પણ સુવિધા આ સિવિલમાં દેખાઈ રહી નથી. સીવીલ હોસ્પિટલ ફેરવ્યા બાદ આશ્ર્ચર્ય સાથે દુ:ખની લાગણીથી અહીંના પ્રજાજનને દેખાઈ છે કે દીવસોથી ઓપરેશન થીએટર જ બંધ છે. ઈમરજન્સીમાં આવતા દર્દીઓને તરત અન્ય ખાનગી હોસ્પિટલોમાં અથવા તો રાજકોટ રીફર કરાઈ છે. કદાચ બુદ્ધિજીવી નાગરીક આને અક્ષમ્ય અપરાધ ગણાવે તો બુદ્ધિજીવીઓની દ્રષ્ટિએ એ ખોટુ નથી વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ રીતસર લગામ વગરની ઘોડી હોય તેમ મનફાવે તે રીતે ચાલી રહ્યા છે.

ઠેર-ઠેર ગંદકીના ગંજો ૨૪ કલાક લાઈટોથી ઝળહળતી સીવીલ હોસ્પિટલમાં બુદ્ધિજીવી અને સરકારી મિલકતને પોતાની સમજનારો અને સાફ સફાઈનો આગ્રહો વેડફાતી વિદ્યુત ઉર્જાને બચાવવા દિવસ દરમિયાન લાઈટો અને પંખાઓ બંધ કરવા સ્વીચો ગોતે છે પણ જડતી નથી.

કચરો કચરા ટોપલીમાં જ નાખવો છે તો કચરા ટોપલી તેને જડતી નથી કયા માળે કયો વિભાગ છે તે હોસ્પિટલ સ્ટાફને પુછવા જાય ત્યારે સફેદ કપડામાં દુરથી વિવેકી દેખાતા આ માણસોના ઉઘ્ધત જવાબો સાંભળી દુ:ખની લાગણી અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.