Abtak Media Google News

સમાજના જવાનોએ ૧૩૦૦ ચીની સૈનિકોને માર્યા હતા તેની યાદમાં ૧૮ નવેમ્બરે મનાવાય છે ‘આહિર શૌર્ય દિન’

સમગ્ર આહીર સમાજ માટે ગઇકાલે તા. ૧૮ નવેમ્બર નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયેલો ઐતિહાસિક દિવસ હતો.. સને ૧૯૬૨ ના ૧૮ નવેમ્બરના દિવસે દેશની સેનાના મેજર શૈતાનસિંહ ભાટીના નેતૃત્વમાં ખમીરવંતા આહીર સમાજના માત્ર ૧૧૪ ભારતીય જવાનોએ ૧૩૦૦ ચીની સૈનિકોને માર્યાં હતાં અને ૧૧૪ આહીર જવાનોએ ચીનની મેલી મુરાદ પર પાણી ફેરવ્યું હતું. અને માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વહોરી હતી અને પોતાના શોર્યનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો હતો. એટલે આ દિવસને સોરઠ અને કચ્છ્ તથા ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષના આહીર સમાજ  “આહીર શોર્ય દિવસ” તરીકે મનાવે છે.

આજથી ૫૭ વર્ષ પહેલાં રેજાંગલાના યુદ્ધમાં લદ્દાખના ચુશૂલ ઘાટીની જવાબદારી ૧૩ કુમાઉંની એક ટૂકડીની પાસે હતી. જેના કંપની કમાન્ડર હતા  પરંતુ  મેજર શૈતાન સિંહ પાસે ખૂબ જ ઓછી સંખ્યામાંં સૈનિકો હતા છતાં મેજર  આહીર ચાર્લી કંપનીના જવાનોનો આત્મ વિશ્વાસ અખૂટ અને અતૂટ હતો.

સફેદ બરફની ચાદર છવાયેલ ચુશુલ ઘાટી પર તા. ૧૮ નવેમ્બર, ૧૯૬૨ના દિવસે ભારતીય જવાનો મજબૂતીથી દેશની બોર્ડરની સુરક્ષા કરતાં હતાં. ત્યારે અચાનક જ સવારે ચાર વાગે ચુશુલ ઘાટી પર અચાનક ગોળીબાર તથા તોપમારા સાથે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના અંદાજે ૫૦૦૦-૬૦૦૦ જવાનોએ હુમલો કર્યો હતો અને ચીન તરફથી સતત ગોળીબાર ચાલુ રાખ્યો હતો.

ચીન તરફથી અચાનક થયેલ આક્રમણના સમયે “જાજા વેરી જોઈને કદી હૈયામાં ન પામે હાર, લડવામાં પાછા ન હટે ઇ છે આહીરના એંધાણ…” ની યુક્તિ સાર્થક કરતા હોય તેમ આહીર ચાર્લી કંપનીના જવાનો સતર્ક અને સજાગ બની ગયા હતા. બીજી બાજુ શૈતાન સિહ પોતાની સેનાની તાલીમ અને અનુભવનો ભરપૂર ઉપયોગ કરી તેની ઓછી સંખ્યા બરવાળા આહિર ચાર્લી કંપનીના જવાનોને પ્રોત્સાહિત કરી, પોતાના તમામ જવાનોને ચીન સૈનિકોને ગોળીબારમાં વ્યસ્ત રાખવાનું કહી,  દારૂ ગોળો પૂરો થાય તેની રાહ જોવાની સલાહ આપી, મેજર ના આ આદેશનું આહિર ચાર્લી કંપનીના જવાનોએ અક્ષરે અક્ષર પાલન કર્યું અને બાદમાં જ્યારે ચીની સૈનિકોની પાસે ગોળા-બારૂદ ઓછો થયો ત્યારે શૈતાન સિંહ અને આહીર ચાર્લી કંપનીના જવાનોએ ચીની સૈનિકો પર આક્રમકતાથી વળતો હુમલો કર્યો. જના ફળસ્વરૂપ આ જાંબાઝ ટુકડીએ ૧૩૦૦ ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો.

Screenshot 20201119 085848

આજથી ૫૭ વર્ષ પહેલાં રેજાંગલાના યુદ્ધમાં આહિર છાતી ચાર્લી કંપનીના જવાનોએ માત્ર લદ્દાખને બચાવ્યું જ નહીં પરંતુ ચીનને માત આપીને હંમેશાં માટે પોતાનું નામ ઈતિહાસના પન્નાઓમાં અમર કરી દીધું. કારણ કે, આ ભયંકર યુદ્ધમાં મા ભોમની રક્ષા કરતા કરતા મેજર શેતાન સિંહ ભાટી અને આહીર ચાર્લી કંપનીના ૧૧૪ વીર જવાનો શહીદ થયા હતા અને આહીર જવાનોએ પોતાની વિરતાનો પરિચય આપીને ચીનનું લદ્દાખ છીનવવાનું સપનું નેસ્તાનાબૂદ કરી દીધું હતું.

૧૮ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ આ પોસ્ટ પર વિપરિત ભૌગોલિક પરિસ્થિત તથા બર્ફીલી મૌસમનો પડકાર અને ચીનની વિશાળ સૈના સામે ભારતીય સૈનિકોએ હિંમતથી સામનો કર્યો હતો. આ યુદ્ધમાં લદ્દાખને બચાવવા માટે રેઝાંગલા પોસ્ટ પર બતાવેલી બહાદુરી માટે ભારત સરકારે કંપની કમાન્ડર મેજર શૈતાન સિંહને પરમવી ચક્રથી સન્માનિત કર્યાં હતાં. આ બટાલિયનના અન્ય ૮ જવાનોને પણ વીરચક્ર, ચાર જવાનોને સેના મેડલ તથા એક જવાનને મેન્શન ઈન ડિસ્પેચથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ૧૩ કુમાઉના કમાન્ડિંગ ઓફિસરને એવીએસએમથી અલકૃંત કરવામાં આવ્યા હતાં. તથા રેઝાગલામાં આજે પણ ૧૧૪ શહીદોનું સ્મારક “આહીર ધામ” તેની સાક્ષીરૂપે હયાત છે.

ગઈકાલે તા. ૧૮ ના રોજ આ ઐતિહાસિક આહીર શોર્ય દિવસની સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ સંપૂર્ણ સાદાઈથી સરકારના નીતિ નિયમો જાળવી, આહીર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ઉજવણી કરી, વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.