Abtak Media Google News

જામનગરની લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવારની પસંદગી માટે પક્ષના ત્રણ નિરીક્ષકોની ટીમ જેમાં મનસુખભાઈ માંડવીયા, રમણભાઈ વોરા તથા બીનાબેન આચાર્યએ આજે અટલ ભવનમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં મોર્નિંગ સેશનમાં જામનગર જિલ્લાના પક્ષના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓના મંતવ્યો જાણ્યા હતાં. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયા નિરીક્ષકો સાથે જોડાયા હતાં.

આજે બપોર પછીની સેશનમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના પક્ષના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા કોર્પોરેટરો વગેરે સાથે ચર્ચા વિચારણા કરી મંતવ્યો જાણશે. ભાજપના નિરીક્ષકોની ટીમે ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા-દ્વારકા-ખંભાળીયાની મુલાકાત લઈ ત્યાં સેન્સ લેવાની પ્રક્રિયા કરી હતી. ત્રણ દિવસની આ પ્રક્રિયા કામગીરી પૂર્ણ કર્યા પછી નિરીક્ષકોની ટીમ તેમનો રીપોર્ટ પ્રદેશ ભાજપની તા. ૧૮મી માર્ચે યોજાનાર બેઠકમાં રજુ કરશે.

જામનગરમાં ભાજપના નિરીક્ષકો સમક્ષ લોકસભાની બેઠક માટે ભાજપની ટિકીટ માટે વર્તમાન સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, રિવાબા જાડેજા સહિતના નામો અંગે સેન્સ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાનાર હોય, તે બેઠકના ઉમેદવારની પસંદગી માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે. જેમાં ડો. વિનુભાઈ ભંડેરી, ચંદ્રેશ પટેલ, રાઘવજી પટેલ સહિતના નામો અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.