Abtak Media Google News

માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં ઝડપાયેલા આરોપી સામેનું ચાર્જશીટ નિયત સમયમાં પોલીસે ફાઈલ ન કરતા આ આરોપીનો અદાલતે જામીન પર છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના ચંદ્રાગા ગામના ગોવિંદ વિઠ્ઠલભાઈ પરમાર નામના શખ્સે  માનસિક અસ્થિર એવી એક સગીરાનું અપહરણ કરી તેણી પર જુદી-જુદી જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ત્યારપછી આરોપી સામે તેની ધરપકડના ૯૦ દિવસ પછી ચાર્જશીટ કરવાનું હતું, પરંતુ તપાસનિશ અધિકારીએ નિયત સમયમર્યાદામાં ચાર્જશીટ ફાઈલ ન કરતા આરોપીએ કિમી. પ્રોસી. કોડની કલમ ૧૬૭(ર) હેઠળ ડિફોલ્ટ બેઈલના પ્રોવિઝન હેઠળ જામીન મુક્ત થવા ખાસ પોક્સો અદાલતમાં જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે ઉચ્ચ કોર્ટના ચૂકાદા મુજબ જામીન અરજી પેન્ડીંગ હોય તે દરમિયાન ચાર્જશીટ ફાઈલ કરવામાં આવે તો તેનાથી આરોપીના જામીન મુક્ત થવાના અધિકારને રોકી ન શકાય. અદાલતે આ આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, ચેતન રાઠોડ, સુરેન્દ્ર લટ્ટા રોકાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.