Abtak Media Google News

જો તમે ઇચ્છતા હો કે તમારી યાદશક્તિ સારી બને તો રાતની પૂરતી ઊંઘ લો ,તાજેતરમાં એક રિસર્ચમાં એ સાબિત કરવામાં આવ્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે તેને બરાબર યાદ રહેતું નથી. ઊંઘ અને યાદશક્તિનો સીધો સંબંધ છે.

 

તાજેતરમાં બોર્ડની એક્ઝામ નજીક છે ત્યારે દસમા ધોરણમાં ભણતી  પંડિતના પપ્પા ચિંતામાં પડી ગયા, કારણ કે અઢળક મહેનત પછી પણ સ્કૂલમાંથી ફરિયાદ આવી કે સોહાનું જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. સોહા એક સ્કોલર છોકરી છે અને હોશિયાર પણ ઘણી, પરંતુ આ બોર્ડ આવ્યું ત્યારથી તેની મહેનતનું ફળ જાણે કે મળતું નહોતું. તેનાં માતા-પિતા એટલે વધુ ચિંતામાં હતાં, કેમ કે એવું બિલકુલ નહોતું કે સોહા ભણતી નહોતી કે મહેનત નહોતી કરતી. તો એવું શું હતું જેને લીધે તેને આમ થતું હતું? સોહા સાથે વાત કરી તો તેણે જવાબ આપ્યો કે પપ્પા, મને યાદ નથી રહેતું. ખબર નહીં કેમ. સોહાના પપ્પા તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તેની સાથે વાત કરીને જે તારણ કાઢ્યું એ ઘણું જ વિચિત્ર હતું. સોહાને બોર્ડના ભણતર અને એના રિઝલ્ટને લઈને દસમામાં આવી ત્યારથી જ ખૂબ ટેન્શન હતું. એટલે તે રાત્રે સૂઈ શકતી નહોતી. જાગે ત્યારે વિચારો આવ્યા કરે અને એને રોકવા માટે સોહાએ રાત્રે ભણવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તેને આ રાતનું ભણવાનું-વાંચવાનું ગમવા લાગ્યું અને તેણે પોતાનો ફિક્સ સમય કરી નાખ્યો. છેલ્લા જાન્યુઆરીથી તો તે રાત જાગતી અને વાંચતી. સવારે ૩-૪ કલાક સૂવે અને પછી સ્કૂલથી આવીને થોડું સૂઈ જાય. આમ તેણે પોતાનું રૂટીન ગોઠવ્યું. ડોક્ટરે કહ્યું કે સોહા ૬-૮ કલાકની રાતની ઊંઘ લેતી નથી એટલે તેની મેમરી નબળી બની ગઈ છે. તેનું રૂટીન તાત્કાલિક ફેરવવાની સૂચના આપવામાં આવી અને વાંચવાનો સમય સવારે કરવામાં આવ્યો.

મેમરી પર અસર

ઊંઘની અસર સીધી મેમરી પર થાય જ છે. આવું આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે. જ્યારે રાત્રે બરાબર ઊંઘ ન થઈ હોય એના બીજા દિવસે મગજ એની મેળે નબળું થઈ ગયેલું લાગે છે. ધ્યાન રાખી શકાતું નથી, ચીડ ચડે છે, કોઈ ગાણિતિક કે લોજિકલ વસ્તુ કરવાની હોય તો એ ટાસ્ક નોર્મલ કરતાં અઘરા પડે છે, પ્લાનિંગ કરી નથી શકાતું વગેરે. આ પ્રકારના કોૅગ્નટિવ પ્રોબ્લેમ નોર્મલ છે. પરંતુ એની સાથે એની અસર મેમરી પર પણ પડે છે. એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાના સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, ઊંઘ જ્યાં ઘટે ત્યાં એની જે સીધી પહેલી અસર અને ચિહ્નો દેખાય છે એ છે મગજ પર. ફક્ત એક દિવસની ઓછી ઊંઘ પણ અલર્ટનેસ, મેમરી, એકાગ્રતા જેવાં લક્ષણો પર અસર કરે છે અને જ્યારે લાંબા સમયથી આવું થતું હોય ત્યારે એ પ્રોબ્લેમ લંબાઈ જાય છે. ફક્ત અપૂરતી ઊંઘ જ નહીં; રાતે પૂરી ન થનારી ઊંઘ, નબળી ક્વોલિટીની ઊંઘ એટલે કે જેમને ગાઢ ઊંઘ આવતી ન હોય એવા લોકો, રાત્રે વારંવાર ઊઠતા લોકો વગેરેની મેમરી નબળી જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિને મેમરી સંબંધિત પ્રોબ્લેમ શરૂ થયા હોય તો તેમણે તેમનીઊંઘ અને ઊંઘ સંબંધિત તકલીફો પર ધ્યાન દેવું જરૂરી છે.

રિસર્ચ

તાજેતરમાં જર્નલ સાયન્સમાં છપાયેલા રિસર્ચ અનુસાર ઊંઘ દમ્યિાન મગજના કોષોને ફરીથી તૈયાર કરવામાં આવે છે શીખવા અને યાદ રાખવા માટે. ઉંદરો પર થયેલું આ રિસર્ચ જણાવે છે કે રાત્રે જ્યારે પ્રાણીઓ સૂઈ જાય છે ત્યારે તેની મેમરી સોલિડ બને છે એટલે કે દિવસભરના બનાવો અને બીજી વસ્તુઓ અંકિત થઈ જાય છે. અમેરિકાની હોપક્ધિસ યુનિવર્સિટીમાં થયેલા આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે યાદશક્તિ પર એની અસર દેખાય છે. એટલું તો આપણે સમજ્યા કે ઊંઘ અને યાદશક્તિને એકબીજા સાથે સંબંધ છે. હવે આગળ જાણીએ કે આપના મગજમાં કઈ રીતે પ્રોસેસ થઈને આપણને યાદ રહે છે એટલે કે આ પ્રોસેસ શું છે અને એ પ્રોસેસ દરમ્યાન ઊંઘનું શું મહત્વ છે. સામાન્ય રીતે આપણને જે સમજાય છે એ મુજબ આપણને લાગે છે કે બનાવ બને છે અને એ મગજમાં છપાઈ જાય છે, પરંતુ આ પ્રોસેસ આટલી સરળ તો ન હોઈ શકે.

કઈ રીતે રહે છે યાદ?

આપણા મગજમાં એક ટેમ્પોરલ લોબ હોય છે, જેનો એક ભાગ હિપોકેમ્પસ છે. આ હિપોકેમ્પસ મગજની લાઇબ્રેરી છે, જ્યાં દરેક માહિતી સ્ટોર થાય છે. હવે ઉદાહરણ સમજીએ તો લાઇબ્રેરીમાં બુક કોણે લખી છે, કાલ્પનિક છે કે સત્યઘટના પર આધારિત છે વગેરે રેફરન્સ સાથે ગોઠવવામાં આવે છે; જેને કારણે આટલીબધી બુક્સમાંથી એક બુક શોધવી હોય તો સરળતાથી મળી રહે એમ આ હિપોકેમ્પસમાં પણ કોઈ પણ યાદ તેના રેફરન્સ સાથે સ્ટોર થાય છે. એ બાબતે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના કોૅગ્નટિવ અને બિહેવ્યરલ ન્યુરોલોજીના સ્પેશ્યલિસ્ટ ક્ધસલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, આ રેફરન્સ ઇૅન્દ્રયના અનુભવ પરથી હોય છે; જેમ કે જોયેલી બાબત, સાંભળેલી બાબત, સૂંઘેલી બાબત કે સ્પર્શેલી બાબત. આપણે કોઈ પણ વસ્તુને એના જુદા-જુદા રેફરન્સથી યાદ રાખીએ છીએ; જેમ કે આપણે બગીચામાં ગયા ત્યાંની ગ્રીનરીનો અનુભવ આંખથી કર્યો, ફૂલોની સુગંધ નાકથી લીધી, કાનથી પક્ષીઓના અને બીજા અવાજો સાંભળ્યા. આ દરેક અનુભવ આપણે ઇૅન્દ્રય વડે કર્યો. અને એના અનુભવ મુજબ એ સ્ટોર થયું. જોકે એક જ ઇૅન્દ્રય નહીં, અહીં અલગ-અલગ ઇૅન્દ્રયો એકસાથે અનુભવ લેતી હોય છે અને એ અનુભવ એકસાથે જ સ્ટોર થાય છે. જેમ કે કોઈ એક ફિલ્મ જોઈ હોય તો એની યાદનું સ્ટોરેજ જોયેલી અને સાંભળેલી બાબત એમ બન્ને રીતે થાય છે. તેથી જ જ્યારે કોઈ-કોઈ હીરોની તસવીર જુઓ કે પછી જાણીતી ધૂન સાંભળો એમ બન્ને કન્ડિશનમાં તમને એ ફિલ્મ યાદ આવી જાય છે.

ઊંઘનું મહત્વ

હિપોકેમ્પસમાં જે રીતે બનાવો સ્ટોર થાય છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે. મેમરીને કાયમી બનાવવાનું કામ ઊંઘ કરે છે અથવા તો કહીએ કે વ્યક્તિ જ્યારે સૂઈ જાય ત્યારે આ પ્રોસેસ થતી હોય છે. જ્યારે રાત્રે વ્યક્તિ સૂઈ જાય ત્યારે મગજ નિર્ણય લે છે કે એને કઈ બાબતને યાદ રાખવી અને કઈ વાત ભૂલી જવી. એટલે કે કઈ બાબતને મહત્વ આપવું અને કઈ બાબતને ન આપવું. જેમ કે આપણને એ યાદ રહે છે કે આજે સવારે આપણે શેનો નાસ્તો કર્યો, પરંતુ ચાર દિવસ પહેલાં આપણે નાસ્તામાં શું ખાધું એ યાદ રહેતું નથી. પરંતુ એ કેવી રીતે નક્કી થાય કે શું યાદ રાખવું જરૂરી છે એ સમજાવતાં ડોકટર કહે છે, મેમરી માટે ઊંઘ અત્યંત એટલે જ જરૂરી છે, કારણ કે એ દરમ્યાન જ ટેમ્પરરી મેમરીને એનું મહત્વ છે કે નહીં એ સમજીને કાયમી બનાવવામાં આવે છે. સેન્સિસ અનુભવ લે છે અને મગજ સુધી પહોંચાડે છે, પરંતુ મગજ એને કાયમી ત્યારે જ બનાવશે જ્યારે એને ઊંઘ મળશે. આમ જો વ્યક્તિ ઊંઘે નહીં તો તેની મેમરી લોન્ગ ટર્મ ન રહે. આથી જ છેલ્લા દિવસે રાત જાગીને કરેલી તૈયારી મોટા ભાગના વિદ્યાર્થીઓને કામ લગતી નથી.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.