Abtak Media Google News

હળવદ પંથકના મંડળીના હોદેદારો મુછે તા દઈને રખડે છે !

હળવદ સહિત મોરબી જિલ્લાને હચમચાવી નાખનાર નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં કૌભાંડીઓ પાસેથી નાણા પડાવાના આક્ષેપ બદલ ગઈકાલે પોલીસે ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ધરપકડ કર્યા બાદ હળવદ શહેર અને તાલુકામાં કંઈક કેટલાક વચેટીયાઓ પોતાની ધરપકડની બીકે ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું બહાર આવ્યું છે. તો સામા પક્ષે આ કૌભાંડના મુખ્ય સુત્રધાર એવા મંડળીના હોદેદારો ખુલ્લેઆમ ફરી રહ્યા હોય ત્યારે પોલીસની કામગીરી પ્રત્યે શંકા ઉપજી રહી છે.

તાલુકા સહિત જિલ્લામાં આચરવામાં આવેલ નાની સિંચાઈના કૌભાંડમાં હાલ તો પોલીસ દ્વારા મોટા માથાઓની ધરપકડ કરી વાહવાહી મેળવી રહી છે પરંતુ પોલીસ દ્વારા જે મંડળીના સંચાલકો છે તેઓને ઝડપી પાડવા કોની લાજ કાઢી બેઠી છે તેવા અનેક સવાલો પંથકમાં ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યા છે. તો એવા કેટલાય કૌભાંડીઓ છે જેમને ધારાસભ્યની જેમ પાછલા બારણે વહીવટી કર્યો હોય તેવા કૌંભાડીઓ હાલ તો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે.

હળવદ પંથક સહિત જિલ્લામાં આચરવામાં આવેલ નાની સિંચાઈ કૌભાંડમાં કૌભાંડીઓ દ્વારા નામદાર કોર્ટમાં આગોતરા જામીન પણ માંગ્યા હોય પરંતુ કોર્ટ દ્વારા જામીન નહીં મળતા કૌભાંડીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. તો અહીં સવાલ એ છે કે, લાંચ લેનારાઓને ઝડપી લેતી પોલીસ કૌભાંડીઓ સુધી કયારે પહોંચશે ? તો બીજી તરફ પંથકમાં એવી પણ ચર્ચાઓ જાર પકડયું છે કે, સમગ્ર કૌભાંડમાં અનેક રાજકીય નેતાઓએ તોડ કર્યો હોય તો શું ? તેઓની સામે પણ તપાસ થશે ખરી ?

નાની સિંચાઈ યોજનાની ભ્રષ્ટાચારની માયાજાળોમાં કેટલાક કૌભાંડી ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો આમા સંડોવાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે કેટલાક ભ્રષ્ટાચારીઓએ રાજકીય ગોડ ફાધરનો શરણુ લઈ લીધું હોવાનું જાણવા મળ્યું છે. તો સાથે સાથે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો પોતાના મોબાઈલ સ્વી ઓફ કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. તદ્ ઉપરાંત વધુ એક મળતી માહિતી

મુજબ આવા ભ્રષ્ટાચાર કોન્ટરાકરો આ કૌભાંડમાં સમાવીષ્ટ થયા હોય તેવા રાજકીય માથાઓ પણ દિવાળીની સહેલગા માણવા હળવદ બહાર નીકળી ગયા હોવાની પણ ચર્ચાએ જાર પકડયું છે.

ધારાસભ્ય સાબરીયાના એક દિવસના રિમાન્ડ મંજુર 

તળાવ કૌભાંડિયાઓ પાસેથી લાંચ લેવા મામલે મોરબી પોલીસ દ્વારા હળવદ ધારાસભ્ય અને તેમના નજીકના ગણાતા વકીલની ધરપકડ બાદ આજે પોલીસ રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા લોકોના ટોળે ટોળા જામ્યા હતા.અને નામદાર અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળી ધારાસભ્ય અને તેમના સાથીદારને એક દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કરતા ચકચાર જાગી છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાનું તળાવ કૌભાંડ આચરવામાં આવતા આ કૌભાંડને વિધાનસભામાં નહિ ઉખેડવા બદલ લાખો રૂપિયા કૌભાંડકારો પાસેથી લેવા બદલ મોરબી પોલીસ દ્વારા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તેમના નિકટના સાથી એવા વકીલ ભરત ગણેશિયાની ધરપકડ બાદ આજે બન્નેના રિમાન્ડની માંગ સાથે મોરબી અદાલતમાં રજૂ કરાતા અદાલતમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

જો કે પોલીસ રિમાન્ડ માંગવા મામલે સરકારપક્ષ અને બચાવપક્ષે ધારદાર દલીલો થયા બાદ નામદાર અદાલત દ્વારા ધારાસભ્ય સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને એક એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.