Abtak Media Google News

પૂર્વ ભારતને બાદ કરતા હાલ કયાંય નૈઋત્યનું ચોમાસુ સક્રિય નથી

ઉત્તર પૂર્વના પવનોએ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને વેર વિખેર કરી નાંખી

ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. કેરળમાં આ વર્ષ ત્રણ દિવસ વહેલુ નૈઋત્યનું ચોમાસુ બેસી ગયું હતુ. પરંતુ હાલ પૂર્વ ભારતના રાજયો કેરાલા અને ઓરિસ્સાને બાદ કરતા દેશમાં કયાંય ચોમાસુ સક્રિય નથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ૨૫મી જૂન સાર્વત્રીક વરસાદની સંભાવના ખૂબજ નહીવત હોવાનું હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે. મેઘરાજા મોડા પડતા જગતાતની ચિંતા વધી જવા પામી છે.

કેરળમાં નિર્ધારીત સમય કરતા ત્રણ દિવસ વહેલુ નૈઋત્યનું ચોમાસુ બેસી જતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આ વર્ષ ચોમાસુ ૧૫મી જૂન પહેલા બેસી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. રાજયમાં સાર્વત્રીક વરસાદ આવે તેવી સીસ્ટમ પણ અરબી સમુદ્રમાં ઉદભવી હતી. જોકે ઉતર પૂર્વના પવનોએ આ સિસ્ટમને વિખેરી નાંખતા રાજયમાં ચોમાસુ નિર્ધારીત સમય કરતા વહેલુ બેસવાના બદલે આઠથી દશ દિવસ મોડુ બેસે તેવી અટકળો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યુનુસાર હાલ પૂર્વ ભારતના રાજયોને બાદ કરતા દેશમાં એક પણ સ્થળે ચોમાસુ સક્રિય નથી. જેથી સાર્વત્રીક વરસાદની સંભાવના ખૂબજ નહિવત છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સાર્વત્રીક અને વાવણી લાયક વરસાદ પડે તેવી કોઈ જ સંભાવના હાલ દેખાતી નથી. અને સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ આગામી દિવસોમાં સર્જાય તેવા પણ એંધાણ દેખાતા નથી. સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫મી જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસુ બેસી જતુ હોય છે. આ વર્ષ બેથી ત્રણ દિવસ ચોમાસુ વહેલુ બેસે તેવા સંજોગો ચોકકસ ઉભા થયા હતા. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને ઉતર પૂર્વનાં પવનોએ વેર વિખેર કરી નાખતા હવે ગુજરાતમાં ૧૦ દિવસ મોડુ એટલે કે ૨૫મી જૂન આસપાસ ચોમાસુ બેસે તેવી અટકળ છે. ૨૫મી જૂન આસપાસ રાજયમાં સાર્વત્રીક વાવણી લાયક વસાદ થશષ તેવી આગાહી કરવી પણ હાલ વહેલી ગણાશે.

જોકે સૌરાષ્ટ્રમાં આજથી પ્રિમોન્સુન એકિટવિટીની શરૂઆત થઈ જશે જેની અસર તળે છૂટોછવાયો વરસાદ પડે તેવી શકયતા છે. આ વર્ષ રાજયમાં વહેલુ ચોમાસુ બેસી જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હોય જગતાતે વાવણીની તૈયારીઓ કરી લીધી હતી જો કે. મેઘરાજા મોડા પડતા જગતાતની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનું જોર ઘટયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ્ય બફારાનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓને હજી એક પખવાડીયા સુધી ગરમી કે બફારામાંથી રાહત મળે તેવા કોઈજ એંદાણ વર્તાતાનથી આ વર્ષ ગુજરાતમાં ૯૯ ટકા વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ જ આપવામાં આવી છે. પરંતુ જે રિતે ચોમાસાનું આગમન મોડુ થયું છે તેનાથી જગતાતની ચિંતા વધી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.