Abtak Media Google News

કોરોના વોરીયસ ઉપર થયેલા અભ્યાસથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા: કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ દર્દીના શરીરમાં છ મહિના સુધી રહે છે હાજર

કોરોના મહામારીની બીજી લહેર ભારતમાં વધુ તીવ્ર બને તેવી દહેશત વચ્ચે તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં લાખો લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. જોકે તાજેતરમાં થયેલા એક સંશોધનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ એક વખત કોરોના સંક્રમણ લાગ્યા બાદ છ મહિના સુધી ફરીથી સંક્રમણ લાગવાની શક્યતા નથી.

બ્રિટનમાં કોરોના મહામારી સામે લડતા આરોગ્ય કર્મચારીઓ ઉપર સંશોધન થયું હતું. જેના પરથી ફલિત થયું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ છ મહિના જેટલા ટૂંકા ગાળા માટે દર્દી કોરોનાથી રક્ષિત છે. કોરોના વાયરસ સામેની રોગપ્રતિકારક શક્તિ છ મહિના સુધી રહે છે. કોરોના મહામારીનો ફરીથી ભોગ બનેલા દર્દીઓની સંખ્યા હવે બ્રિટનમાં વધી છે.

કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ દર્દીના શરીરમાં એન્ટીબોડી વિકાસ પામે છે જેનાથી છ મહિના સુધી વ્યક્તિને કોરોના વાયરસનું સંક્રમણ લાગતું નથી અભ્યાસમા 11,052 દર્દી ઉપર નજર રાખવામાં આવી હતી જેમાંથી માત્ર ૮૯ દર્દીઓને જ ફરીથી સંક્રમણ લાગ્યું હોવાનું સામે આવ્યું હતું. ૧૨૪૬ એવા દર્દીઓ હતા જેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ હતી જેના પરિણામે તેમને ઇન્ફેક્શન લાગ્યું નહોતું.

જે લોકો અત્યાર સુધીમાં કોરોના વાયરસનો ભોગ બની ચૂક્યા છે તેઓ માટે આ રાહતની બાબત ગણી શકાય. સંક્રમણ લાગ્યા બાદ છ મહિના સુધી ફરીથી સંક્રમણ લાગવાની ટકાવારી એકદમ નહીવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.