Abtak Media Google News

બહુમતીના જોરે શાસકોએ બજેટ મંજૂર કર્યું: બોર્ડમાં ગરીમાનું વસ્ત્રાહરણ

જૂનાગઢ મનપાના આજે બજેટ સહિતનાં મળેલા બે જનરલ બોર્ડ દરમિયાન બોર્ડની ગરિમાને ન  છાજે તેવી ઘટનાઓ ઘટવા પામી હતી જેમાં કમિશનર સામે ઉગ્રતાભર્યા શબ્દો, શાસક વિપક્ષ વચ્ચે તું તું મે મે અને બીજા બોર્ડમાં વિપક્ષોને સાંભળ્યા કે ચર્ચા કર્યા વગર  માત્ર ૧૫ મીનીટમાં જુનાગઢની જનતા ઉપર લાખો રૂપિયાના કર બોજવાળું બજેટ શાસક ભાજપ દ્વારા બહુમતીથી મંજૂર કરી દેવાતા વિપક્ષ દ્વારા બજેટની હોળી કરવામાં આવી હતી.

આજે બપોરે ૧૨ વાગ્યે મળેલ પ્રથમ જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષએ સફાઈ, પાણી સહિતનાં મુદ્દાએ કમિશનર, મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઉગ્રઆક્રોશ સાથે ભારે રોષ ઠાલવ્યો હતો અને એક વખતે તો આ બોર્ડમાં કમિશનર વર્સીસ કોર્પોરેટરો જેવો માહોલ બની ગયો હતો, શાસક અને વિપક્ષ દ્વારા આકરા અને ઉગ્ર ભાષામાં સફાઈ બાબતે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આક્ષેપો પણ થયા હતા. તો બોર્ડની શરૂઆત સમયે જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા કોર્પોરેટરોના ફાળવવામાં આવેલ ગ્રંટમાં વ્હાલા દવલાની નીતિ થઈ હોવાનું જણાવી વેલમાં ધસી આવ્યા હતા અને સ્થાઈ સમિતિના ચેરમેન સામે ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારે તું તું મે મેં થવા પામ્યું હતું અને વાતાવરણ ગરમાઈ ગયું હતું માંડ કરી પૂર્વ મેયર ગિરીશ કોટેચા તથા ભાજપના મહિલા કોર્પોરેટરે  મંજુલાબેનને મનાવી બેસાડ્યા હતા.

વિપક્ષના વિજય વોરાએ પાણી અને સફાઈ પ્રશ્ને મનપાના કમિશનરને આડા હાથે લીધા હતા અને ઉગ્ર ભાષામાં મનપાના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારી તથા કમિશનરની કામગીરી સામે સવાલ ઉઠાવતા એક વખત બોર્ડમાં સોપો પડી ગયો હતો અને બાદમાં હોબાળો પણ મચી જવા પામ્યો હતો.

Img 20200214 Wa0003

પ્રથમ બોર્ડમાં કમિશનર સામે મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ કમિશનરનું માનતા નથી, ગામમાં સફાઈ થતી નથી, સફાઈ કર્મચારીઓ હાજર હોતા નથી, અને સફાઈ કર્મચારીઓ પૂરતો પગાર લઈ મજૂરો દ્વારા કામ કરતા કરાવે છે જે યોગ્ય નથી થતું ત્યારે જવાબદારી કોની ?  તેવા વેધક સવાલો ખુદ શાસક પક્ષના પૂર્વ ચેરમેન સંજય કોરડીયાએ કમિશનરને કર્યા હતા, તો શાસક પક્ષના નેતાએ શહેરમાં અઠવાડિયામાં એક પણ વખત સફાય ન થતી હોવાનો સણસણતો આક્ષેપ પણ કમિશનર સામે કર્યો હતો, ભાજપના જ કોર્પોરેટર કિરીટભાઈ ભિંભાએ ખોટી હાજરી પૂરવનું બંધ કરો, અમે આવું આઠ માસથી સાંભળીએ છીએ, તેવું જણાવતા બોર્ડમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. તો અધિકારીઓ કામ બાબતે એક બીજા પર ફેંકાફેંકી કરી  ખો આપે છે તે યોગ્ય નથી તેમ સ્થાઈ સમિતિના ચેરમેન ધુલેસિયાએ આક્ષેપ કર્યો હતો, જ્યારે ભાજપના શહેર પ્રમુખ અને કોર્પોરેટર એવા શશીકાંત ભીમાણીએ ભર્યા બોર્ડમાં ખુલ્લું નિવેદન આપ્યું હતું કે, શહેરની સફાઇ, પાણી, ગટર, લાઈટ સહિતની જવાબદારી મનપાના અધિકારીઓની છે, પરંતુ અધિકારીઓ કામ કરતા નથી, જેના કારણે ગામનું કામ થતું નથી અને બોડી બદનામ થાય તે ન ચલાવી લેવાય, તેવું જણાવી દેતા કમિશનર સહિતના અધિકારીઓ સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા.

જો કે કમિશનર ઉપર અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી મામલે બોલેલી તડા પીડ  બાદ આજે કમિશનર પણ અવઢવમાં મુકાય ગયા હશે અને તેમણે સ્થળ ઉપર જ સેનેટરી અધિકારીને બોર્ડ વચ્ચે જ સૂચના આપી દીધી હતી કે, જે સફાઇ કામદારો હાજર ન રહેતા હોય અને યોગ્ય કામ ન કરતા હોય તેને ત્રણ નોટિસ આપો અને તેમ છતાં સંતોષકારક કામગીરી ન હોય તો તેમને સસ્પેન્ડ ક રો અને શહેરમાં જે સફાઇ કામદારો દ્વારા મજૂર પ્રથા ચલાવાય છે તે બંધ કરાવા આદેશ અપાયા હતા, આ ઉપરાંત જે તે શાખાના અધિકારીઓને પોતાની લગત કામગીરીમા ધ્યાન અને ચોકસાઈ રાખવામાં આવે તેવા સૂચનો આપ્યા હતા.

ટૂંકમાં આજનાં આજના પ્રથમ બોર્ડમાં શાસક ભાજપે અને વિરોધ પક્ષ એનસીપી અને કોંગ્રેસના નગરસેવકોએ જુનાગઢની સફાઇ, પાણી, લાઈટ જેવી બાબતોએ ગંભીરતાપૂર્વક ખેવના કરી તમામ પ્રશ્નો કમિશનર સમક્ષ મૂક્યા હતા અને આજના બોર્ડમાં કોર્પોરેટરો એ બોલાવેલ તડાપી ડ બાદ વાચાળ, હોંશિયાર અને કામ કરવાની આવડત ધરાવતા કમિશનર નગરસેવકોને કઈ રીતે અને કેવો જવાબ આપવો તે માટે વિચારતા થઇ ગયા હતા.

7537D2F3 11

જુનાગઢ મનપાનું બીજુ જનરલ બોર્ડ બપોરના પોણા વાગ્યાની આસપાસ શરૂ થવા પામ્યુ હતું, આ બોર્ડમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને હાલના મનપાના ભાજપના કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરું એક માત્ર ગેરહાજર રહ્યા હતા, એક વાત મુજબ તેમણે જૂનાગઢની જનતા ઉપર પાણી વેરો રૂપિયા ૭૦૦ના બદલે જે ૧૨૦૦  લાદવામાં આવ તો હતો તેનાથી તેઓ નારાજ હોવાથી આ બોર્ડમાં તેમણે રિપોર્ટ મૂકી બજેટ બેઠકમાં હાજર ન રહેવા મુનાસીબ માન્યું હતું.

બજેટ બેઠકની શરૂઆત સાથે બોર્ડના અધ્યક્ષ મેયર ધીરુભાઈ ગોહેલે વક્તવ્યની શરૂઆત કરતાની સાથે જ વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરાએ જૂનાગઢની જનતા ઉપર કર વેરો લાદવામાં ન આવે તેવી માગણી કરતા વિરોધ પક્ષના અન્ય સભ્યોએ આ બાબતે દેકારો મચાવ્યો હતો જ્યારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ એક બોટલમાં લાવેલ ગંદુ પાણી બોર્ડ સમક્ષ રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે આપણે જૂનાગઢની જનતાને પુરતુ અને ચોખ્ખું પાણી આપી નથી શકતા ત્યારે આવો કમરતોડ ભાવ વધારો કરવો યોગ્ય નથી ત્યારે શાસક પક્ષના સભ્યો એ સામે દેકારો બોલાવતા લગભગ દસેક મિનિટ જેટલી ઘોંઘાટ ભરી બેઠક ના અંતે જનરલ બોર્ડના અધ્યક્ષ અને મેયરે ભાજપના કોર્પોરેટરોની સંમતિ લઈને વર્ષા ૨૦૨૦નું બજેટ પત્ર બહુમતી મેળવી મંજૂર જાહેર કરી દીધું હતું.

માત્ર ૧૫ મિનિટમાં કોઈપણ જાતની ચર્ચા કે વિચારણા કર્યા વગર પાણી, સફાઇ, સહિતના વેરામાં કમરતોડ વધારો કરનાર આ બજેટનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો અને બજેટની હોળી કરવામાં આવી હતી.

આ અંગે વિરોધ પક્ષના નેતા અદ્રે માનભાઇ પંજાએ જણાવ્યું હતું કે એક તરફ મંદીનો માહોલ છે અને જુનાગઢ માત્ર પ્રવાસીઓ ના કારણે જીવી રહ્યું છે ત્યારે પાણીવેરામાં રૂ ૭૦૦ ની જગ્યાએ રૂ ૧૨૦૦ તથા જમીન-મકાન વેરામાં પણ કમરતોડ વધારો કરવો એ યોગ્ય નથી, ભાજપ જૂનાગઢ મનપાના માલિક નથી આપણે સૌ સેવક છીએ ત્યારે નગરજનો પાસેથી કમાવાની આશા રાખવી ન જોઈએ અને આવો વધારો કરવો ન જોઈએ જે કર્યો છે તે પણ પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો જૂનાગઢમાં જન આંદોલન શરૂ કરવામાં આવશે તેવી પત્રકારોને સમક્ષ ચીમકી પણ ઉચ્ચારી હતી.

અમદાવાદ-વડોદરા કરતા ઓછો કરબોજ નાંખ્યો છે : ધીરૂભાઈ ગોહિલ

જોકે આ બાબતે મનપાના મેયર ધીરુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટમાં દર વર્ષે ૧૦ ટકાનો વેરો વધારો કરવામાં આવે છે અને અમદાવાદ, બરોડા સેન્ટર કરતાં આપણે ઓછો કર વધારો કરેલ છે, જે વધારો કર્યો છે તે જુનાગઢનો સર્વાંગી વિકાસ થાય અને મનપા ઉપર જે ૨૦ કરોડ જેવું લાઈટ અને પાણીનું દેનું છે તે ચૂકવાઇ જાય તે માટે આ વધારો કરવામાં આવ્યો છે અને જૂનાગઢની જનતા તેમાં પૂરો સહયોગ આપે તેવી વિનંતી પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.