Abtak Media Google News

લખપત તાલુકાના દયાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા ૪૮ વર્ષિય હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ ગજુભા ભગવાનજી જાડેજાનું અજાણ્યા વાહનની અડફેટે ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું છે. માર્ગ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલના અકાળે થયેલાં મોતથી પશ્ચિમ કચ્છના પોલીસબેડામાં શોક છવાઈ ગયો છે. ગજુભા ગત રાત્રે ફરજ પૂરી કરી મોટર સાયકલ પર દોલતપર ખાતે આવેલાં નિવાસસ્થાને પરત જઈ રહ્યા હતા. ત્યારે, દયાપર પોલીસ સ્ટેશનથી બે કિલોમીટર દૂર દયાપરમાતાના મઢ હાઈવે પર આવેલી ફોરેસ્ટ નર્સરી પાસે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. દુર્ઘટનામાં તે બાઈક સાથે રોડની એકસાઈડે ઝાડીમાં ફંગોળાઈ ગયાં હતા. ગંભીર ઈજાઓથી તેમનું મોત નીપજ્યું હતું. દુર્ઘટના અંગે રાત્રિ દરમિયાન કોઈને કશી ખબર પડી નહોતી. આજે સવારે આ બનાવની જાણ થતાં લોકોએ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ, દયાપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગજુભા મૂળ અબડાસા તાલુકાના નારણપર ગામના વતની હતા. અગાઉ તે નારાયણ સરોવર સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યાં છે. તેમના મોટા ભાઈ એડવોકેટ બટુકસિંહ ભગવાનજી જાડેજાએ દુર્ઘટના અંગે દયાપર પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ આઈપીસી ૩૦૪, ૨૭૯ અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.