Abtak Media Google News

હાર્દિકે હિન્દુવાદી ચક્રપાની સાથે હિન્દુવાદના કટ્ટર વિરોધી જીજ્ઞેશ મેવાણીને એક સાથે લાવીને રાજયમાં ભાજપકોંગ્રેસ રહિત મમતા દીદીના સ્વપ્ન સમાન ત્રીજા મોરચા રચવા માટે તજવીજનો રાજકીય તર્ક

હાલનું રાજકારણ સગવડીયું બની ગયું છે. રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ કે લાભ માટે ગમે ત્યારે, ગમે તે તરફ પલ્ટી મારી જતા હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. આવી જ એક ઘટના આગામી સમયમાં બનવાની સંભાવના છે. જેમાં દલીત ચળવળકાર તરીકે જાણીતા વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કે જેઓ હિન્દુત્વ કટ્ટર ટીકાકાર મનાય છે.

તેઓ હાર્દિદ પટેલના કાર્યક્રમમાં ભાગ લેનારા છે. જયારે  હિન્દુત્વના વિચાર ધારક અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચર્ક્રપાની પણ  આગામી ૮મી ફેબ્રુઆરીએ જામનગરમાં યોજનારી આ બેઠકમાં ભાગ લેનારા  છે.  પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ખેડુતોના વિવિધ સમસ્યાઓને વાચા આપવા પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઇ ૨૦૧૬માં  દલીતો પર થયેલા અત્યાચારના ઉના કાંડનો જીજ્ઞેશ મેવાણીએ રાજયભરમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જે બાદ મેવાણી દલિતોના નવા નેતા તરીકે રાજયભરમાં છવાય ગયા હતા.

તેઓ ફાંસીવાદી અને માનુવાદી વિચારધારાના કટ્ટર વિરોધી મનાય છે અને સમયાંકરે આ વિચારધારાઓનો ઉગ્રતાથી વિરોધ કરતા રહ્યા છે. જયારે સ્વામી ચક્રપાની ગત ઓગસ્ટમાં વિવાદમાં ફસાયા હતા જયારે તેમણે એવું નિવેદન કર્યુ હતું કે કેરળમાં પુર દરમ્યાન માંસાહારીઓને કોઇ મદદ મળતી નથી.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જે પુર અસરગ્રસ્તો ભવિષ્યમાં કદી માંસ ખાશે નહી તેવી ખાતરી આપે પછી તેમને સહાય કરવામાં આવે છે.આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા મેં જીજ્ઞેશને આમંત્રણ આપ્યું છે કારણ કે તે યુવાનોને અસર કરતા બેરોજગારી સહીતના વિવિધ મુદ્દાઓ પર વાત કરીને સરકારની  ખોખલી નીતીને ખુલ્લી પાડે છે. જયારે સ્વામી ચક્રપાની ને એટલા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કે તેઓ ખેડુતોની કટોકટી અને રામ મંદીરના મુદ્દા પર સરકાર નિષ્ફળતાને સમયાંતરે ઉજાગર કરતા રહે છે.

આ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેવા ભાજપના નેતાઓને પણ આમંત્રણ આપવામા આવ્યું હતું. કારણ કે તેઓ પાર્ટીવાદમાં માનતા નથી પરંતુ નેતાઓ સાથે વ્યકિતગત સંબંધોમાં માને છે.હાર્દિકના આ કાર્યક્રમમાં ભાજપ વિરોધી નેતાઓ જીજ્ઞેશ મેવાણી, સ્વામી ચક્રપાની વગેરેને બોલાવવામાં આવ્યા છે.

પરંતુ કોંગ્રેસના કોઇ મહત્વના નેતાઓને બોલાવવામાં આવ્યા નથી. જેથી તેની આ હિલચાલ રાજયમાં ભાજણ-કોંગ્રેસ રહિત ત્રીજો મોરચો બનાવવાના તૃણુમલ કોંગ્ર.સના મમતાદીદીના સ્વપ્નને સાકાર કરવા સમાન હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.