Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની ફરીયાદનો તાકિદે નિકાલ કરાશે: રાજયનાં ૫૨૧ વિસ્તારોમાં ટેન્કર શરૂ કરાયા

રાજય રાજયમાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓછો વરસાદ થવાથી સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાઓના ડેમોમાં ઓછા પાણીની આવક થયેલ છે. આથી, ચાલુ વર્ષે ડેમોમાં હાલ નહિવત જથ્થો ઉપલબ્ધ છે. આ જિલ્લાઓમાં પાતાળ કુવાઓ પણ ઓછા રિચાર્જ થયેલ છે.

રાજય સરકારે પીવાના પાણી માટે નર્મદા નહેરની માળીયા અને વલ્લભીપુુર બ્રાંચ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધેલ છે, જે મુજબ હાલ પણ બંને બ્રાંચ કેનાલો ચાલુ છે, જેમાંથી પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવા માટે ઉપલબ્ધ થાય છે.

પોરબંદર જિલ્લાના ફોદારા ડેમમાં હાલ નહિવત પાણી છે. આ ડેમમાંથી પોરબંદર શહેરને અને જુથ યોજનાઓને ૨ કરોડ લિટર જેટલો જથ્થો પુરો પાડવામાં આવે છે. આ ઘટંને પુરી કરવા હેતુસર રાજય સરકારે રૂ.૧૨૦ કરોડની ૬૪ કિ.મી. લાંબી ઉપલેટા થી રાણાવાવ પાઈપલાઈનના કામો મંજુર કરેલ. આ કામો યુધ્ધના ધોરણે પુરા કરવામાં આવેલ અને પાણી પુરવઠો રાણાવાવ સુધી પહોચાડવામાં આવેલ છે. આગામી બે દિવસમાં આનુશાંગિક કામો પુરા કરી પોરબંદરને પાણી પુરૂ પાડવામાં આવશે.

અગાઉના વર્ષોમાં દેવભુમિ દ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારો માટે કાલાવડ પાસેના પાંચ દેવડા હેડવકર્સથી ૭ લીટર જેટલુ પાણી પુરૂ પાડવામાં આવતું, હાલ આ જથ્થામાં નોંધપાત્ર વધારો કરી ૧૩ કરોડ લીટર સુધી પાણી પુરૂ પાડવામાં આવે છે.કચ્છ જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષે ૨૭ કરોડ લિટર પાણી નર્મદા તેમજ ટપ્પર ડેમ દ્વારા પુરૂ પાડવામાં આવતું હતું જેની સામે હાલ ૩૨ કરોડ લિટરથી વધારે પાણી પુંરૂ પાડવામાં આવે છે.

ચાલુ વર્ષે અંજારથી ભુજના કુકમા સુધી કચ્છ જિલ્લાની પાઈપલાઈનના કામો યુધ્ધના ધોરણે પુર્ણ થયેલ છે. જેના દ્વારા ભુજ, બન્ની, લખપત, અબડાસા વિસ્તારોમાં વધારાનું ૩ કરોડ લિટર પાણી પુરૂ પાડવામાં આવે છે. ગઢડા મુકામની પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે નવા પંપો પણ કાર્યરત કરેલ છે, જેના દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ પાણી આપી શકાશે.અમરેલી જિલ્લામાં પણ ચાવંડ મુકામેથી ૧ કરોડ લિટરના જથ્થાનો વધારો થયેલ છે.

પ્રતિ દિવસ ઢાંકી, માળીયા, વલ્લભીપુુર કેનાલ, પરીયેજ-કનેવાલ દ્વારા હોલ ૧૯૦ કરોડ લિટર જેટલુ પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લિટર પ્રતિ દિવસ જેટલું વધારે છે. પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના વિસ્તારો માટે પાઈપલાઈનના કામો યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે જે ટુંક સમયમાં પુર્ણ થવાથી રાધનપુર અને સાંતલપુર વિસ્તારના ગામો અને શહેરોની પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી હલ થશે.

રાજયમાં ૬૨ તાલુકાઓના ૨૫૮ ગામો અને ૨૬૩ ફળીયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારો ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરૂ પાડવામાં આવે છે. કોઈ પણ વિસ્તારમાં પાણીની તકલીફ જણાય તો તે વિસ્તારમાં ટેન્કર મારફત પાણી આપવાની સુચના સંબંધિત કલેકટરને અપાયેલ છે.

આ વર્ષે નર્મદા નહેરથી જોડાયેલ હોય તેવા તથા સૌની યોજના મારફતે મચ્છુુ-૨, મચ્છુ-૧, આજી-૧, આજી-૩, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં પાણી ભરેલ છે. કચ્છ બ્રાંચ કેનાલ મારફતે ટપ્પર, સુવઈ અને ફતેગઢ ડેમોમાં પાણી ભરવામાં આવેલ છે, જે આગામી ચોમાસા સુધી ચાલશે. રાજયમાં ૫૧ તાલુકાઓમાં અછત જાહેર કરેલ છે, જેના કામો પ્રગતિમાં છે .

પરંતુ લોકસભાની ચુંટણીની ચુંટણીની આચારસંહિતા હોવાથી અમુક ગામોમાં બોરવેલ વગેરેના કામો હાથ પર લઈ શકાયેલ નથી. રાજય સરકાર દ્વારા ઈલેકશન કમીશનને આવા પ્રકારના કામો કરવા માટે અનુમતિ માંગેલ છે. ગાંધીનગર મુકામે ગ્રામ્ય વિસ્તારની પીવાના ફરીયાદ નિવારણ માટે પાણી પુરવઠાની વડી કચેરીમાં ૧૯૧૬ નંબરની ટોલ-ફ્રી હેલ્પ લાઈન ૨૪ કલાક કાર્યરત છે. જેના પર ફરીયાદ નોંધી તાત્કાલીક નિરાકરણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.