Abtak Media Google News

મેટ્રો, દ્વારકામાં હેલીકોપ્ટર સેવા અને સચાણામાં શીપ બ્રેકીંગ યાર્ડ માટે 25 કરોડની ફાળવણી: શેખપાટ પાસે જીઆઈડીસી બનશે, દ્વારકા સહિત 5 જિલ્લામાં આયુર્વેદિક ઔષધિ વન માટે 9 કરોડની જોગવાઈ જાહેરાત

જામનગર જિલ્લામાં રાજ્યના બજેટમાં અત્યાર સુધી સૌથી મોટી 3 જાહેરાતો કરતા હાલારવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ માટે જોગવાઈ તેમજ શહેરમાં મેટ્રો નિયો ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા ધામમાં હેલિકોપ્ટર સેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના નાણામંત્રીએ ગઈકાલે વર્ષ 2021-22નું પ્રથમ પેપર લેસ બજેટ રજૂ કર્યું હતું જેમાં જામનગર અને દ્વારકા જિલ્લા માટે 3 વધુ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને વધુ વિકસાવવા માટે 25 કરોડની ફાળવણીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શીપ બ્રેકીંગ યાર્ડ વિકસાવવાથી આ વિસ્તારમાં રોજગારીની તકો વધશે તેમજ જિલ્લામાં પણ વધુ એક મહત્વપૂર્ણ ઉદ્યોગ સ્થપાશે.

ગુજરાતનાં નવા નાણાંકીય વર્ષનાં બજેટમાં શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ માટે 23493 કરોડની જોગવાઈ કરવા સાથે અમદાવાદ-સુરત-ગાંધીનગર ઉપરાંત જામનગર સહીત અન્ય ચાર શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવાની યોજનાની દરખાસ્ત કરવામાં આવી છે.

રાજયના નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ પ્રવચનમાં કહ્યું હતું કે, અમદાવાદ, સુરત તથા ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનનું યોજન કરી દેવાયું છે. હવે વડોદરા, રાજકોટ, ભાવનગર તથા જામનગરમાં પણ મેટ્રો લાઈટ-મેટ્રો નીઓ જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પુરી પાડવાનું આયોજન કરાયું છે અને તે માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ સિવાય સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાપાલિકા, નગરપાલિકા તથા શહેરી વિકાસ સતામંડળો માટે 4563 કરોડની જોગવાઈ કરવામા આવી છે. 2022 સુધીમાં શહેરી વિસ્તારોમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે નવા 55000 આવાસ બનાવવા 900 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા તથા ગાંધીનગર મહાપાલીકાઓને સ્માર્ટ સીટી હેઠળ 700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમૃત યોજના અંતર્ગત 8 કોર્પોરેશન તથા 23 નગરપાલિકામાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનાં નિકાલ તથા પરિવહન સુવિધા માટે 650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સ્વચ્છ ભારત અર્બન મિશન તથા નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડ, દિનદયાળ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઈલીહુડ મિશન હેઠળ 150 કરોડની જોગવાઈ છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા ઉત્કર્ષ જુથ બનાવી 1 લાખ સુધીનાં વ્યાજ રહીત ધિરાણ યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નગરપાલિકાઓમાં ભૂગર્ભ યોજનાનાં માનવબળ રહીત સંચાલન માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા અગ્નિશમન સાધનો માટે 39 કરોડ ફાયર સેફટી કોપ પોર્ટલ ઉભી કરીને સેફટી અધિકારીઓને તાલીમ માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગરને મેટ્રો નિઓની જાહેરાત પણ કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, ભાવનગર અને વડોદરા માટે રૂા.50 કરોડની મેટ્રો રેલ જેવી મેટ્રો લાઈટ, મેટ્રો નિઓ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 3જી અને સૌથી મહત્વપૂર્ણ જાહેરાત જામનગર અને દ્વારકા જિલ્લાને લગત કરવામાં આવી છે જેમાં ચારધામ પૈકીનું એક દ્વારકા ધામમાં દ્વારકાધીશના દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા ઉપરાંત સોમનાથ, અંબાજી, સાપુતારા અને ગિરમાં પણ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ થશે. જામનગર અને દ્વારકા માટેની અતિ મહત્વપૂર્ણ ત્રણ જાહેરાતો થતાં હાલારવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.