Abtak Media Google News

સુરત-પંચમહાલ જિલ્લાની નવનિર્મિત પંચાયત કચેરીઓની ઈ-લોકાર્પણ વિધિ સંપન્ન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે. મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને ગામડાને જ મિની સચિવાલય બનાવી ગ્રામ સ્વરાજ્યનો જે ખ્યાલ આપ્યો છે તેને ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થાના સફળ અમલીકરણથી સાકાર કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ સુરત, પંચમહાલની જિલ્લા પંચાયત કચેરીઓ તેમજ વિરમગામ અને ધંધુકાની તાલુકા પંચાયત કચેરીઓના ભૂમિપૂજન અને ધોલેરા તથા ઘોઘા તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીઓના લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમાર આ અવસરે ગાંધીનગરથી તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સંબંધિત કાર્યક્રમ સ્થળેથી આ ઇ ભૂમિપૂજન-લોકાર્પણમાં સહભાગી થયા હતા.

રાજ્ય સરકારે સુરતના જિલ્લા પંચાયત ભવન નિર્માણ માટે રૂ. ર૯.૪૦ કરોડ, પંચમહાલ જિલ્લા પંચાયત ભવન માટે રૂ. ર૩.૦૬ કરોડ તેમજ વિરમગામ, ધંધુકા, ધોલેરા અને ઘોઘા તાલુકા પંચાયતોના ભવન માટે પ્રત્યેકને રૂ. ર.૪૦ કરોડ ફાળવ્યા છે.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણમાં પણ રાજ્યના વિકાસ કામોની ગતિ અટકી નથી અને પ્રજાના સહયોગથી આગળ ધપતી રહી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નાગરિકોના સહયોગ તેમજ સાવચેતી સલામતિથી રાજ્યમાં કોરોના સંક્રમણ ખાળી શકાયું છે. એટલું જ નહિ, પેશન્ટ રિકવરી રેટ ૮પ ટકા અને મૃત્યુદર ઘટીને ર.પ ટકા જેટલો થઇ ગયા છે.

દવાઓ, ઇન્જેકશનો વગેરે રાજ્ય સરકાર વિનામૂલ્યે આપે છે અને સંક્રમિતોની ત્વરિત સારવાર પણ થાય છે એમ તેમણે ઉમેર્યુ હતું. ઉપરાંત ગામડાં, ખેતીવાડીને વધુ સક્ષમ અને સમૃદ્ધ કરવા તથા ખરીફ પાકમાં થયેલા નૂકશાન સામે રૂ. ૩૭૦૦ કરોડના પેકેજ સાથે આ સરકાર ખેડૂતોની આફતમાં પડખે ઊભી રહી છે તેની પણ ભૂમિકા આપી હતી.

વિજયભાઇ રૂપાણીએ ખેતીથી ગામડાં, ગામડાંથી શહેર અને શહેરથી સમગ્ર રાજ્ય સુખી બને અને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે રાજ્યની વિકાસ યાત્રા આગળ ધપાવવાની નેમ આ તકે દર્શાવી હતી. પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, રાજ્યમાં ૧૪ર૯ર ગ્રામ પંચાયતો, ર૪૮ તાલુકા પંચાયતો અને ૩૩ જિલ્લા પંચાયતો દ્વારા ત્રીસ્તરીય પંચાયતી રાજનો અસરકારક અમલ થઇ રહ્યો છે.

ગ્રામીણ નાગરિકોને પોતાના ગ્રામ-તાલુકા મથકે સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર ફાયર સેફટી, સ્વચ્છ પાણી, બેસવા માટેની મોકળાશ વાળા ભવનોના નિર્માણ કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું. પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે સ્વાગત પ્રવચનમાં આ ભવનોની વિશેષતાઓની વિગત આપી હતી. વિકાસ કમિશનર ઠક્કરે આભાર સ્વીકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.