Abtak Media Google News

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ, બહેનોએ માસ્ક બાંધી કર્યુ શિવ-પાર્વતીનું પૂજન, પાંચ દિવસ મોળા એકટાણા: મંગળવારે જાગરણ કરી વ્રતની પુર્ણાહૂતિ

આજે અષાઢ સુદ તેરસના દિનથી કુમારીકાઓના મનગમતા વ્રત જયા પાર્વતી પ્રારંભ થયો છે. આજથી પાંચ દિવસ બહેનો મોળા એકટાણા કરી શિવ-પાર્વતીનું પૂજન કરશે. દિકરીઓ સારુ સાસરુ અને મનગમતા વરની પ્રાપ્તી માટે આ વ્રત કરે છે.

અમુક પ્રાન્તોમાં જયાં સુધી દિકરીઓના લગ્ન ન થાય ત્યાં સુધી આ વ્રત કરવામાં આવે છે. લગ્ન થયા બાદ સાસરીમાં જયા પાર્વતીના વ્રતનું ઉજવણું કરવામાં આવે છે.

કહેવાય છે કે માતા પાર્વતીજીએ પણ આ કઠોર વ્રત કર્યુ હતું અને મહાદેવને પતિ તરીકે પામ્યા હતા આજથી પાંચ દિવસ સુધી બહેનો શોળે શણગાર સજી પૂજાપાની થાળી અને જવારા લઇ સમુહમાં શિવમંદીરે જશે. આ વ્રતની પૂજા ખાસ કરીને સૂર્યોદય પહેલા કરવાની હોય છે. પાંચ દિવસનાં પૂજન અર્ચન બાદ છેલ્લા દિવસો બહેન જાગરણ કરી છઠ્ઠા દિવસે પારણા કરી વ્રતની પુર્ણાહુતિ કરે છે આમ આ રીતે પાંચ કે સાત વર્ષ વ્રત કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર પ્રાન્તમાં દિકરીઓ લગ્ન બાદ આ વ્રતનું ઉવજણું કરે છે ઉજવણામાં પાંચ સૌભાગ્ય સ્ત્રીઓને જમાડી, સૌભાગ્ય ચિન્હોનું દાન કરી વ્રતને ભાવભેર ઉજવે છે.

પ્રવર્તમાન પરિસ્થિતિને ઘ્યાને લઇ રાજકોટના પંચનાથ મહાદેવ મંદીર ખાતે બહેનોએ માસ્ક પહેરી પૂજા વિધી કરી હતી.

જયા પાર્વતી વ્રતમાં નાગલાંનું મહત્વ

મનગમતો ભરથાર મેળવવા આપણી બહેન દિકરીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે. જયા પાર્વતી વ્રતમાં જવારા અને નાગલાંનું વિશેષ મહત્વ રહેલું છે. સાત ધાન્યના જવારાએ માતા પાર્વતીજીનું પ્રતિક છે જયારે નાગલાં એ શિવજીનું પ્રતિક છે. વ્રતમાં આ બન્નેનું વિશેષ પુજન કરવાનું હોય છે. નાગલાં વિના પૂજા વિધી અધૂરી હોવાનું મનાય છે. નાગલાં એટલે રૂ માંથી બનાવેલો જવારા માટેનો શણગાર રૂને કંકુ અને અક્ષત વડે સજાવી તેમાંથી નાગલાં ચૂંદડી તૈયાર કરવામાં આવે છે. જે પૂજન દરમિયાન પાર્વતીના પ્રતિક જવારા ઉપર ચડાવવામાં આવે છે આમ જયા પાર્વતી વ્રતમાં જવારા અને નાગલાનું સવિશેષ મહત્વ રહેલું છે. શિવજી મૃત્યુંજય તો માતા મૃત્યુંજવા છે જેથી બન્નેની સંયુકત પૂજા જવારા અને નાગલા થકી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.