Abtak Media Google News

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખુબજ મહત્ત્વનો પડાવ કહેવાય છે. બોર્ડની પરીક્ષા માટે કેટલા સમયથી વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારીઓ કરે છે. જેટલી ચિંતા વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને હોય છે તેના કરતા બમણી ઉપાધી વાલીઓને પણ હોય છે.

વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા સારી રીતે આપી શકે માટે પરિવારમાં પણ તેમને અભ્યાસ માટેનો માહોલ પુરો પાડવા વાલીઓ તત્પર હોય છે ત્યારે ધો.૧૨ની મહત્વની બોર્ડની પરીક્ષામાં સામાન્ય પ્રવાહના શેડયુલમાં એક જ દિવસે બે પરીક્ષા લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ રોષે ભરાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહના બે પેપરો એક જ દિવસે લેવાનો નિર્ણય કરાતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને સવારના ઈતિહાસની પરીક્ષા અને બપોર પછી તત્ત્વજ્ઞાનના પેપરનું શેડયુલ ગોઠવવામાં આવ્યું છે.

ત્યારે એક જ દિવસે બે પેપરના કારણે વિદ્યાર્થીઓમાં તનાવનો માહોલ છે.તેને કારણે વાલીઓમાં ચિંતા તેમજ રોષ જોવા મળી રહ્યો છે.

વાલીઓ એટલા માટે પણ નારાજ છે કારણ કે, ગત વર્ષે પણ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બોર્ડે એક જ દિવસે બે પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો.

આ અંગે વાલીઓએ બોર્ડ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ પ્રકારના શેડયુલ આગામી પરીક્ષામાં ન રાખવા પરંતુ આ વર્ષે ફરી વખત એક જ દિવસે બે પરીક્ષાના ટાઈમ ટેબલ નકકી થતાં વાલીઓએ શિક્ષણ મંત્રીને બોર્ડ અધિકારીઓ સામે ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે.

ત્યારે એક જ દિવસે ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનના પેપરને કારણે વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે.

ગત વર્ષે પણ આ જ પ્રકારે સામાન્ય પ્રવાહની પરીક્ષાના ટાઈમ ટેબલમાં એક જ દિવસે બે પેપર ગોઠવવામાં આવ્યા હતા.

જેને કારણે વિદ્યાર્થીઓમાંતનાવનો માહોલ હતો. ત્યારે ફરી વખત હવે સામાન્ય પ્રવાહની પરીક્ષામાંસવારે ઈતિહાસ અને બપોરે તત્વજ્ઞાનની પરીક્ષાનું શેડયુલ ગોઠવાતા વિદ્યાર્થીઓની તૈયારીપર તેની અસર જોવા મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.