Abtak Media Google News

મંદીના સમયમાં એક્સપોર્ટ વધારવાના ખાસ લક્ષયાંક સાથે ૧૧૦ દેશોના ૨૦૦૦ બાયરોને ખાસ આમંત્રણ અપાયું

એક્સપોમાં સનહાર્ટ સિરામિક અને બીજી અગ્રણી કંપનીઓ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, અગત્યની ટેક્નિકલ માહિતી આપતા સેમિનારો પણ યોજાશે

ગાંધીનગર ખાતે આગામી તા. ૨૧ થી ૨૪ દરમિયાન સીરામીક્ષ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સહિત દેશભરના સીરામીક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે આયોજીત આ એક્સપોમાં દેશ અને વિદેશથી ૨૦૦૦થી પણ વધુ બાયર્સ પધારવાના છે. હાલ આ એક્સપોની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વિશ્વના ૧૯૦થી વધુ દેશો સીરામીક પ્રોડકટનો વપરાશ કરે છે. પરંતુ આ સીરામીક પ્રોડકટ વ્યવસ્થિત રીતે ઉત્પાદન માત્ર ૪ દેશોમાં જ થાય છે. જેમાં ચીન, ભારત, સ્પેન અને ઇટાલીનો સમાવેશ થાય છે. ચીન દેશ સીરામીક ચાઈના, સ્પેન સેવીસામા અને ઇટાલી સેરસાઈ નામનું પ્લેટફોર્મ ધરાવે છે. આ પ્લેટફોર્મ ત્યાની સીરામીક પ્રોડક્ટને વિશ્વફલક ઉપર પહોંચાડવામાં મદદરૂપ બને છે. ભારતમાં જોઈએ તો આ પ્રકારનું કોઈ જ પ્લેટફોર્મ ઉપ્લબ્ધ નથી.

ભારત સીરામીક ક્ષેત્રે વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. ત્યારે ભારતના તેમાં પણ ખાસ કરીને મોરબીના સીરામીક ઉદ્યોગોને નિકાસની પૂરતી તક મળે અને ભારતની સીરામીક પ્રોડકટ વિશ્વભરમાં વેચાય તેવા હેતુથી ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા વાઇબ્રન્ટ સીરામીક વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭મા યોજવામાં આવ્યું હતું. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા બાદ હવે ત્રીજી સિઝન સીરામીક્ષ એક્સપો-૨૦૧૯ યોજાવા જઈ રહ્યું છે.

Screenshot 8

ભારતની નંબર વન સિરામિક એક્સપોર્ટ  કંપની સનહાર્ટ સિરામિક ના મેનેજિંગ ડાયરેક્ટર મનોજ વર્મોરા જણાવે છે કે, ભારતિય સિરામિક ઉદ્યોગ ને એક સતત અને કાયમી એકસીબિશન પ્લેટફોર્મ ની અત્યંત આવશ્યકતા છે, જે સીરામીક્ષ એક્સપો દ્વારા પરિપૂર્ણ થશે. સીરામિક્ષ કોન્કલેવ એન્ડ એક્સપોનું આગામી નવેમ્બર માસમાં તા. ૨૧ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ અંદાજીત ૧૧૦ દેશોના ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ ૫૦૦૦૦ થી વધુ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.

એક્સપોમાં બાયર્સ ઉપરાંત વિદેશી અને દેશભરના આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડીઝાઇનર પણ હાજરી આપવાના છે. મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક્ષ એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીરામીક્ષ એક્સપો ૨૦૧૯ને વિદેશમા ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.

એક્સપોના મુખ્ય આયોજક સંદીપ પટેલ જણાવે છે કે સેવિસામા, સેરસાઈ અને અમેરિકાના કવરિંગ્સ જેવા એક્ઝિબિશન જેટલું જ મહત્વ પૂર્ણ પ્લેટફોર્મ સાઉથ એશિયા માં ઉભુ કરવાના આશય સાથે એક્ઝિબિશનનું નામ પણ ઇન્ટરનેશનલ અપીલ ને ધ્યાનમાં રાખી ને રાખ્યું છે. સીરામીક્ષ નામે વિદેશમાં ખૂબ આકર્ષણ ઉભું કર્યું છે. આ એક્સપો માટે કેન્દ્ર સરકારનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ એક સમયે મોરબીમાં કહ્યું હતું કે આ શહેર સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચશે. નરેન્દ્ર મોદીનું આ વિધાન આજે હકીકત બનવા તરફ જઈ રહ્યું છે. સરકારે ૧૯૦ એમ્બેસીઓમાં આ એક્સપોના આયોજન અંગેના મેસેજ પહોંચાડીને ત્યાંના એસોસિએશનોને જાણ કરવાની સૂચના આપી છે. જેના આધારે અનેક ઇન્કવાયરીઓ મળી રહી છે.

વધુમાં આ અંગે સનહાર્ટ સીરામીકના મનોજ વરમોરા, મોટ્ટો સીરામીકના મહેન્દ્રભાઇ, કલર સીરામીકના વિપુલભાઇ, ઇટાકા સિરામિકના કિરણભાઇ અને એકોર્ડ સીરામીકના સાગરભાઇ સહિતના ઉદ્યોગકારો જણાવે છે  કે એક્સપોથી ઉદ્યોગને નુકશાન થતું નથી. તેનાથી ફાયદો થાય છે. આવા એક્સપોથી હેલ્ધી કોમ્પિટિશન બને છે. જે સીરામીક ઉદ્યોગ માટે ફાયદારૂપ છે. એક્ઝોબિશનથી ભાવ ઘટતા નથી. આ એક્સપો થકી ઉત્પાદન ૫ હજાર મિલિયન સ્કવેર મિટર ઉત્પાદન થાય તો પણ વાંધો આવે તેમ નથી. એક્સપોના સહયોગથી ભારત દુનિયાનું નંબર વન ક્લસ્ટર બનશે. ભવિષ્યમાં ૫૦ ટકા એક્સપોર્ટ ભારત એકલું કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.