Abtak Media Google News

૧૪મીએ ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન: ૧૮મીએ મતગણતરી

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ગત શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ આગામી ૧૪ ડિસેમ્બરના રોજ ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાવાનું છે.

જેના માટે આવતીકાલે મંગળવારે સાંજે ૫ કલાકે પ્રચારના ભુંગળા શાંત થઈ જશે. બંને તબકકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી સતાધારી ભાજપ અને ૨૨ વર્ષથી રાજયમાં સતાવિહોણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. છેલ્લા એક માસથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજયમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.

ચૂંટણીપંચના નિયમાનુસાર અનુસાર મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો હોય છે. ૧૪મી ડિસેમ્બરના રોજ ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાવાનું હોય. આવતીકાલે ૫ વાગ્યે પ્રચાર-પ્રસારના પડઘમ શાંત થઈ જશે. ત્યારબાદ ચૂંટણી લડતા ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર જ સંપર્ક કરી શકશે.

પ્રથમ તબકકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને એકંદરે ૬૫ ટકાથી વધુ મતદાન થયું હતું. બીજા તબકકામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહિવટી તંત્રએ કમરકસી છે. પ્રચાર-પ્રસાર માટે માત્ર બે દિવસનો સમય બાકી હોય ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

બંને તબકકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી સોમવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશની ચૂંટણીની મતગણતરી પણ તા.૧૮મી ડિસેમ્બરે હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.