Abtak Media Google News

ઉત્તરનાં રાજ્યોમાં ટેક્સ હોલિડેની સ્પર્ધા અને એમઆરપી આધારિત એક્સાઇઝ ડ્યૂટીનો સળંગ ૧૨ વર્ષ સામનો કરનારા ગુજરાતના ફાર્મા ઉદ્યોગ માટે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ ગેમ ચેન્જર પુરવાર થશે. જીએસટીના અમલ સાથે જ એમઆરપી આધારિત એક્સાઇઝનો અંત આવ્યો છે અને ઉત્પાદકોએ હવેથી ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પર જ ૧૨ ટકા જીએસટી ચૂકવવાનો છે. ઉપરાંત, સંપૂર્ણ ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ ઉપલબ્ધ બનશે તેના કારણે રાજ્યમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે નવાં રોકાણ આવવાની શરૂઆત થશે.

અગાઉ ફાર્મા કંપનીઓ ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પર એક્સાઇઝ ડ્યૂટી ચૂકવતી હતી પરંતુ વર્ષ ૨૦૦૫માં એમઆરપી આધારિત એક્સાઇઝ ડ્યૂટી લાગુ કરવામાં આવી હતી. એમઆરપીના ૬૫ ટકા પર છ ટકા એક્સાઇઝ ડ્યૂટીનો દર હતો, તેના કારણે ફાર્મા કંપનીઓ પર ટેક્સનું મોટું ભારણ આવ્યું હતું.બીજી તરફ, હિમાચલપ્રદેશ સહિતનાં રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ માટે સરકારે ટેક્સ ફ્રી ઝોન વિકસાવ્યા હતા, તેના કારણે ગુજરાત સહિતનાં રાજ્યોની ફાર્મા કંપનીઓએ ત્યાં નવા યુનિટો સ્થાપ્યા હતા. જોકે, ગુજરાતમાં ફરીથી મોટા પાયે નવાં રોકાણ આવવાનો સમય શરૂ થયો છે.ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ ક્ધટ્રોલ એડ્મિનિસ્ટ્રેશનના કમિશનર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે, જીએસટીના કારણે ગુજરાત જેવા દાયકાઓથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના હબ માટે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ૧૦-૧૫ દિવસમાં નવા પ્લાન્ટ્સ માટે કેટલીક અરજીઓ આવી છે. રાજ્યમાં આવનારા સમયમાં ટેક્સ ફ્રી ઝોનમાંથી પરત ફરતી કંપનીઓ ઉપરાંત નવાં રોકાણ પણ આવશે, ફાર્મા ક્ષેત્રે ગુજરાત ગુણવત્તા માટે બ્રાન્ડ ધરાવે છે અને જેમ જેમ જીએસટીના ફાયદા અંગેની જાગૃતિ વધશે તેમ નવી કંપનીઓનું આગમન થશે.  ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઇડમા)ના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિરંચી શાહે જણાવ્યું હતું કે, એમઆરપી આધારિત એક્સાઇઝ અને ટેક્સ ફ્રી ઝોનની સ્પર્ધાના કારણે ભારતના કુલ ફાર્મા ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૨૦૦૫માં ૪૨ ટકા હતો તે હાલમાં ઘટીને ૩૦ ટકા થઈ ગયો છે. જોકે, જીએસટી અમલી બનતાં અગાઉની જેમ જ ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પર ટેક્સ લાગવાની શરૂઆત થઈ છે.

અત્યાર સુધી ગુજરાતમાં એક્સાઇઝ અને વેટ સહિત ૯ ટકા ટેક્સ ભારણ થતું હતું તેની સામે ટેક્સ ફ્રી ઝોનમાં માત્ર એક ટકા સીએસટી લાગુ થતો હતો. જોકે, હવે આ તફાવત દૂર થયો છે અને ટેક્સ ફ્રી ઝોનમાં રહેલી કંપનીઓને મળતી આવકવેરાની રાહતનો સમય પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે તેથી ફાર્મા ક્ષેત્રે નવાં રોકાણ ગુજરાતમાં જ આવશે. ૨-૩ વર્ષમાં કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૩૦ ટકાથી વધીને ૩૫ ટકા પહોંચવાની શક્યતા છે.

તેમણે કહ્યું હતું કે, મોટી કંપનીઓ ટેક્સ ફ્રી ઝોનમાં ટેક્સના લાભના કારણે જ ઉત્પાદન કરાવતી હતી પરંતુ તફાવત દૂર થવાથી ગુજરાતમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગની કંપનીઓને ઘણો લાભ થશે.જીએસટીનો દર ૧૨ ટકા છે પરંતુ ઈનપુટ ટેક્સ ક્રેડિટના કારણે કંપનીઓને લાભ મળશે. ઉપરાંત, અત્યાર સુધી પેકેજિંગ કામ કરતી નાની કંપનીઓ એક્સાઇઝ હેઠળ નોંધાયેલી નહીં હોવાથી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતી નહોતી, પરંતુ હવે તેઓ ૧૮ ટકા જીએસટીના સ્લેબ હેઠળ આવી છે અને સરવાળે ફાર્મા ઉત્પાદકોને પેકેજિંગ ખર્ચની પણ આઇટીસી મળતી થશે તેના કારણે ખર્ચ નીચો આવશે.

– ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયાનો પહેલા રાઉન્ડ પુરો થયા બાદ હાલમા ફાર્મસીમાં મોક રાઉન્ડ માટે વિદ્યાર્થીઓને ચોઇસ આપવાની સૂચના આપવામાં આવી હતી. આ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવાયું છે. સામાન્ય રીતે મોક રાઉન્ડમાં પણ બેઠકો ખાલી પડતી હોય છે. પરંતુ આ વખતે મોકરાઉન્ડમાં તમામ ૪૨૭૭ બેઠકો ભરાઇ ગઇ છે. એટલું જ નહીં, ૫ હજારથી વધારે વિદ્યાર્થીઓેએ પ્રવેશ વંચિત રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.

ફાર્મસી કોલેજોમાં કુલ ૪૨૭૭ બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકમાં પ્રવેશ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૧૩૧૧ વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા મેરિટલીસ્ટમાં ૧૧૨૩૪ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. મેરિટમાં સામેલ વિદ્યાર્થીઓને ચોઇસ ફીલીંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં ૯૫૫૦ વિદ્યાર્થીઓએ મોકરાઉન્ડમાં ભાગ લીધો હતો. જેના આધારે કુલ ૪૨૭૭ વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવમાં આવી હતી. હવે વિદ્યાર્થીઓને તા.૧૨મીથી તા.૧૭મી જુલાઇ વચ્ચે પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેનું પરિણામ તા.૨૦મી જુલાઇએ જાહેર કરાશે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે સામાન્ય રીતે અત્યાર સુધી ફાર્મસીની બેઠકો ખાલી પડતી હતી. પરંતુ આ વખતે બી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી પેરા મેડિકલમાં જવા ન ઇચ્છતાં વિદ્યાર્થીઓએ ફાર્મસી કરવાનું પસંદ કરતાં ધસારો જોવા મળી રહ્યો છે. ડિગ્રી ઇજનેરીમાં પણ બેઠકો ખાલી પડી રહી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને ફાર્મસીમાં હવે નોકરી મળે તેવી તકો લાગતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓે ફાર્મસીના પ્રવેશમાં ઝુકાવ્યુ છે. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય પછી પણ ફાર્મસીમાં કોઇ મોટો તફાવત આવે તેમ નથી. પહેલી વખત ફાર્મસી કોલેજોની તમામ બેઠકો ફુલ થાય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.