Abtak Media Google News

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઉપાધ્યાયને શોકોઝ નોટિસ ફટકારાઈ

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને વરસાદને કારણે તંત્ર હાઇએલર્ટ બન્યું છે ત્યારે મોરબીના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઉંઘતા ઝડપાઇ ગયા છે, સિંચાઈ વિભાગના કંટ્રોલરૂમમાં ખુદ જિલ્લા કલેક્ટરનો ફોન ન ઉપડતા જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ કારણદર્શક નોટિસ ફટકારી આકરા પગલાં માટે તૈયાર રહેવા તાકીદ કરતા ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા કલેકટર આર. જે. માકડીયાએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયને નોટિસ ફટકારી જણાવ્યું હતું કે આથી તમોને નોટીસ આપવામાં આવે છે કે, હાલમાં આપના વિભાગનો મોન્સુન કંટ્રોલરૂમ કાર્યરત છે. અમારા દ્વારા આપના વિભાગ ખાતેના કંટ્રોલ રૂમના ફોન પર ફોન કરતાં અમારો ફોન ઉપાડવામાં આવેલ ન હતો. તેમજ હાજર કર્મચારી સંતોષકારક પ્રત્યુતર આપી શકેલ નથી. આ અંગે અમારા તરફથી આપને જણાવતાં આપના તરફથી પણ સંતોષકારક પ્રત્યુતર મળેલ નથી.

વધુમાં જિલ્લા કક્ષાની પ્રી-મોન્સુન મીર્ટીગમાં આપની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં રાઉન્ડ-ઘી-કલોક કર્મચારીઓની નિમણુંક્ના હુક્મો કરી, હુકમની નકલ અત્રેની કચેરી ખાતે મોકલવા અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હોવા છતાં આપના દ્વારા સદર સૂચનાનું પાલન કરવામાં આવેલ નથી. આપની કચેરી ખાતેના કંટ્રોલ રૂમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય તે જોવાની જવાબદારી આપની રહે છે પરંતુ આ બાબતે આપના તરફથી અંગત લક્ષ ન આપેલ હોવાનું સ્પષ્ટ જણાય છે અને આ બાબતે આપની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારીં માલૂમ પડે છે.

સબબ, ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૦૩ ની કલમ-૩૮ મુજબ આપની સામે તેમજ કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત કર્મચારી સામે છ મહિના સુધીની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બન્ને શિક્ષા કેમ ન કરવી ? તેનો લેખિત ખુલાસો તાત્કાલિક ધોરણે અત્રેના નામજોગ મોકલી આપવા નોંઘ લેશો.

સમયમર્યાદામાં ખુલાસો રજૂ નહીં થયેથી આ બાબતે આપને કશુ કહેવાતું થતુ નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે ધ્યાને લેવા અંતમાં તાકીદ પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.