Abtak Media Google News

નવા મંત્રી મંડળની કાલે જાહેર કાર્યક્રમમાં રચના કરાશે

આંધ્રપ્રદેશમાં ટીડીપીને સતામાંથી દુર કર્યા બાદ જગનમોહન રેડ્ડીની આગેવાનીમાં વાયએસઆર કોંગ્રેસની સરકારમાં પાંચ નાયબ મુખ્યમંત્રી હશે તેવો નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કારણકે તમામ જાતીનું સતામાં સમતુલન બનાવી શકાય. આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડીએ એક અભૂતપૂર્વ નિર્ણય કરતા પોતાનાં ૨૫ સભ્યોનાં મંત્રીમંડળમાં પાંચ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો આજે નિર્ણય કર્યો છે. નવા મંત્રીપરીષદની રચના આવતીકાલે જાહેર કાર્યક્રમમાં કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ શુક્રવારે પોતાનાં આવાસ પર વાય.એસ.આર. કોંગ્રેસ ધારાસભ્ય દળની એક બેઠક બોલાવી હતી. જેમાં તેમને પાંચ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. તેમાં એક અનુસુચિત જાતિ, એક જનજાતિ, પછાત વર્ગ, અલ્પસંખ્યક અને કાપુ સમુદાયનાં એક-એક નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

વધુમાં પોતાનાં ધારાસભ્યોને તેમને એમ પણ કહ્યું હતું કે, કેબિનેટમાં મુખ્ય રીતે નબળા વર્ગનાં સભ્યો હશે. જયારે અપેક્ષા એવી હતી કે, રેડ્ડી સમુદાયને મંત્રીમંડળમાં મુખ્ય સ્થાન મળશે જોકે પ્રથમવાર આંધ્રપ્રદેશમાં એક-બે નહીં પરંતુ પાંચ નાયબ મુખ્યમંત્રી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.